VIDEO: HEALTH/ ઉપવાસ કરવું દરેક માટે ફાયદાકારક નથી! જાણો, લાંબા સમય સુધી ભૂખ્યા રહેવાથી થઈ શકે છે નુકસાન
વજન ઘટાડવા અને સારા સ્વાસ્થ્ય માટે આજકાલ ઇન્ટરમિટેન્ટ ફાસ્ટિંગ (Intermittent Fasting) અને લાંબા સમય સુધી ઉપવાસ રાખવાનો ટ્રેન્ડ ખૂબ વધી ગયો છે. ઘણા લોકોનું માનવું છે કે ઉપવાસ રાખવાથી શરીર ડિટોક્સ થાય છે અને મેટાબોલિઝમ સુધરે છે. પરંતુ, ઉપવાસ તમારા થાઈરોઈડના સ્વાસ્થ્યને પણ પ્રભાવિત કરી શકે છે. થાઈરોઈડ ગ્રંથિ શરીરના મેટાબોલિઝમ, ઉર્જા ઉત્પાદન અને તાપમાન નિયંત્રણ જેવા ઘણા મહત્વપૂર્ણ કાર્યોને નિયંત્રિત કરે છે. ઉપવાસ દરમિયાન જ્યારે શરીરને પૂરતી કેલરી મળતી નથી, ત્યારે થાઈરોઈડ હોર્મોનના પ્રોડક્શન (ઉત્પાદન) અને એક્ટિવેશનમાં ફેરફાર આવી શકે છે. કેટલાક સંશોધનો દર્શાવે છે કે લાંબા સમય સુધી કેલરી ન મળવાને કારણે T3 હોર્મોનનું સ્તર ઘટી શકે છે, જેનાથી મેટાબોલિઝમ ધીમું પડી શકે છે.
શું ઉપવાસથી થાઈરોઈડની સમસ્યા થઈ શકે છે?
ઉપવાસ સીધી રીતે થાઈરોઈડના રોગનું કારણ નથી બનતો, પરંતુ લાંબા સમય સુધી કેલરીની અછત થાઈરોઈડ હોર્મોનના સ્તરને અસર કરી શકે છે. થાઈરોઈડ ગ્લેન્ડ (ગ્રંથિ) આપણી ગરદનમાં પતંગિયાના આકારની હોય છે, જે મુખ્યત્વે T3 અને T4 હોર્મોન્સ બનાવે છે. આ હોર્મોન્સ ઉર્જાનો ઉપયોગ કરવા, મેટાબોલિઝમ, શરીરનું તાપમાન, હૃદયના ધબકારા અને અન્ય કાર્યોને નિયંત્રિત કરવામાં મદદ કરે છે.
NCBI (નેશનલ સેન્ટર ફોર બાયોટેકનોલોજી ઇન્ફોર્મેશન) અનુસાર, જ્યારે શરીરને પૂરતી એનર્જી કે કેલરી મળતી નથી, ત્યારે બોડી એનર્જી બચાવવા માટે મેટાબોલિઝમને ધીમું કરવાનો પ્રયાસ કરે છે. આ પ્રતિક્રિયાને કારણે T4 અને T3 હોર્મોન્સ બનવાની માત્રામાં ઘટાડો થઈ શકે છે, કારણ કે T3 હોર્મોન શરીર દ્વારા થતા એનર્જીના ઉપયોગને કંટ્રોલ કરે છે. એનો અર્થ એ નથી કે ઉપવાસ કરવાથી દરેક વ્યક્તિને થાઈરોઈડનો રોગ થઈ જશે, પરંતુ જેમને પહેલાથી જ થાઈરોઈડની સમસ્યા છે તેમના પર આની અસર વધુ સ્પષ્ટપણે જોવા મળી શકે છે.
ઉપવાસ થાઈરોઈડ હોર્મોનને કેવી રીતે પ્રભાવિત કરે છે?
શરીર સતત ઉર્જાની ઉપલબ્ધતાના આધારે હોર્મોનલ ફેરફારો કરે છે. જ્યારે શરીરને લાંબા સમય સુધી ખોરાક ન મળે, ત્યારે શરીર "સર્વાઇવલ મોડ" (Survival Mode) માં જતું રહે છે. NCBI અનુસાર, ઉપવાસ દરમિયાન T3 હોર્મોનનું સ્તર ઘટી શકે છે. આ સિવાય, રિવર્સ T3 વધી શકે છે. સાથે જ, મેટાબોલિઝમ ધીમું થાય છે અને શરીર એનર્જી બચાવવાનો પ્રયત્ન કરે છે.
ઉપવાસ થાઈરોઈડના લક્ષણોને કેવી રીતે વધારી શકે છે?
જો કોઈ વ્યક્તિને પહેલાથી જ હાઈપોથાઈરોઈડિઝમ (Hypothyroidism) હોય, તો વધુ પડતા અથવા ખોટા ઉપવાસ કેટલાક લક્ષણોને વધારી શકે છે. રિપોર્ટ અનુસાર આ લક્ષણો નીચે મુજબ છે:
-
થાક અને નબળાઈ વધવી: થાઈરોઈડ હોર્મોન પહેલાથી જ ઓછા હોવાને કારણે શરીરનું એનર્જી લેવલ પ્રભાવિત રહે છે. લાંબા સમય સુધી ભૂખ્યા રહેવાથી થાક અને નબળાઈ વધુ અનુભવાઈ શકે છે.
-
વધુ ઠંડી લાગવી: મેયો ક્લિનિકના જણાવ્યા અનુસાર, થાઈરોઈડ હોર્મોન્સ શરીરના તાપમાનને નિયંત્રિત કરે છે. T3 ઓછું થવાને કારણે વ્યક્તિને વધુ ઠંડી લાગી શકે છે.
-
ધ્યાન કેન્દ્રિત કરવામાં મુશ્કેલી: મગજને સતત ગ્લુકોઝની જરૂર હોય છે. લાંબા સમય સુધી ખોરાક ન મળવા અને હોર્મોનલ ફેરફારોને કારણે કોઈ કામમાં ધ્યાન લગાવવામાં તકલીફ પડી શકે છે.
-
વજન ઘટવાની પ્રક્રિયા અટકી જવી: ઘણા લોકો વજન ઘટાડવા માટે ઉપવાસ કરે છે, પરંતુ કેલરીમાં ભારે ઘટાડો થવાથી મેટાબોલિઝમ ધીમું પડી જાય છે, જેનાથી વજન ઘટવાની પ્રક્રિયા ખોરવાઈ શકે છે.
શું ઇન્ટરમિટેન્ટ ફાસ્ટિંગ હંમેશા નુકસાનકારક હોય છે?
તેનો જવાબ છે - ના, એવું જરૂરી નથી કે તે દરેક માટે નુકસાનકારક હોય. અભ્યાસો દર્શાવે છે કે નિયંત્રિત ઇન્ટરમિટેન્ટ ફાસ્ટિંગ સ્થૂળતા, ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ અને સોજાને ઘટાડવામાં મદદ કરી શકે છે. જો વ્યક્તિ સંતુલિત આહાર લઈ રહી હોય અને ઉપવાસનો સમયગાળો બહુ લાંબો ન હોય, તો તે ઘણા લોકો માટે સલામત સાબિત થઈ શકે છે. જો કે, થાઈરોઈડના દર્દીઓ માટે વ્યક્તિગત તબીબી સલાહ લેવી અનિવાર્ય છે.
ઉપવાસ દરમિયાન કયા લોકોએ સાવચેતી રાખવી જોઈએ?
NCBI ના રિપોર્ટ અનુસાર, કેટલાક લોકોએ ઉપવાસ કરવાનું ટાળવું જોઈએ:
-
જે લોકો પહેલાથી જ થાઈરોઈડની દવા લઈ રહ્યા હોય.
-
સગર્ભા (પ્રેગ્નન્ટ) મહિલાઓએ ઉપવાસ ન કરવા જોઈએ.
-
ઓછું વજન ધરાવતી વ્યક્તિઓમાં કેલરીનો વધુ પડતો પ્રતિબંધ હોર્મોનલ અસંતુલન પેદા કરી શકે છે.
-
ઓટોઇમ્યુન થાઈરોઈડ રોગ ધરાવતા દર્દીઓ, જેમ કે 'હાશિમોટોઝ થાઈરોઈડાઈટીસ' (Hashimoto's Thyroiditis) વાળા લોકોએ ઉપવાસના સમયગાળા અને ખોરાકની ગુણવત્તા પર વિશેષ ધ્યાન આપવું જોઈએ.
ઉપવાસ સીધી રીતે થાઈરોઈડ રોગનું કારણ નથી બનતો, પરંતુ તે થાઈરોઈડ હોર્મોનની પ્રવૃત્તિ અને મેટાબોલિઝમને અસર કરી શકે છે. ખાસ કરીને હાઈપોથાઈરોઈડિઝમ અથવા અન્ય થાઈરોઈડ સમસ્યાઓથી પીડાતા લોકો માટે લાંબા સમય સુધી ભૂખ્યા રહેવું લક્ષણોને વધારી શકે છે. તેથી થાઈરોઈડના દર્દીઓએ કોઈપણ પ્રકારના ઉપવાસ શરૂ કરતા પહેલા ડૉક્ટર અથવા એન્ડોક્રિનોલોજિસ્ટની સલાહ જરૂર લેવી જોઈએ.

