VIDEO: Health Tips : ચોમાસામાં સામાન્ય ગણાતી આ 5 ભૂલો ક્યારેય ન કરતા, નહિતર સીધા પહોંચી જશો હોસ્પિટલ
ચોમાસાની ઋતુ સ્વાસ્થ્યની દ્રષ્ટિએ ખૂબ જ નાજુક હોય છે. આ સમયે બેક્ટેરિયા અને જીવાણુઓનો ફેલાવો ખૂબ ઝડપથી થાય છે અને તમારી જરા પણ બેદરકારી તમને હોસ્પિટલ પહોંચાડી શકે છે. એવું અમે નહીં પણ ડોક્ટર્સ કહી રહ્યા છે. ડોક્ટરે મોનસૂનની એવી 5 ભૂલો વિશે જણાવ્યું છે, જેને લોકો અવારનવાર દરેક વરસાદમાં પુનરાવર્તન કરે છે અને બીમાર પડે છે.તો અહીં જાણો કઈ છે તે ભૂલો જે ક્યારેય ના કરવી જોઈએ.
દરેક તાવ વાયરલ નથી હોતો
સામાન્ય રીતે બદલાતી ઋતુના કારણે ચોમાસામાં શરદી-ઉધરસ થવી નોર્મલ છે. તાવ આવે ત્યારે લોકો પેરાસિટામોલ ખાઈ લે છે. પરંતુ જો 48 કલાકથી વધુ સમય સુધી તાવ રહે અને સાથે ઉધરસ, શ્વાસ લેવામાં તકલીફ ,શરીરમાંથી લોહી વહેવું હોય તો તેને અવગણશો નહીં. તરત જ ચેકઅપ કરાવો કારણ કે સામાન્ય તાવ ડેન્ગ્યુ, ચિકનગુનિયા, મેલેરિયા અને લેપ્ટોસ્પાયરોસિસ જેવી ગંભીર અને ખતરનાક બીમારીઓની શરૂઆત પણ હોઈ શકે છે.
વરસાદના પાણીમાં ચાલવું
ચોમાસામાં જ્યાં પાણી ભરાયું હોય ત્યાંથી પસાર થવું એ માત્ર તમારા બૂટ-ચંપલ બગાડે છે એવું નથી, પણ તે તમારા સ્વાસ્થ્યને પણ ગંભીર નુકસાન પહોંચાડી શકે છે. ખાસ કરીને જો તમારા પગમાં કોઈ કટ, ઈજા કે ઘા થયો હોય તો રોડ પર જમા થયેલા પાણીમાં ચાલવાથી માત્ર સ્કીન ઇન્ફેક્શન જ નથી થતું, પરંતુ તે શરીરમાં બેક્ટેરિયા પણ ફેલાવે છે. આ બેક્ટેરિયા ઘા દ્વારા શરીરમાં પ્રવેશીને લેપ્ટોસ્પાયરોસિસ નામની ગંભીર બીમારી ફેલાવે છે, જેનાથી લિવર, કિડની અને ફેફસાં ફેઈલ થવાનો ડર રહે છે. તેથી વરસાદમાં બહારથી આવ્યા પછી પગને સારી રીતે સાફ કરો અને જો ઘા હોય તો તેને ઢાંકીને રાખો.
ઘરમાં મચ્છરોનો ઉપદ્રવ
લોકોને લાગે છે કે મચ્છર બહારથી આવે છે, પરંતુ આ ખોટું છે. બહાર કરતાં વધુ મચ્છરો તમારા ઘરમાં જ હોય છે. ફ્લાવર પોટ (ફૂલદાની), એસીની ડ્રિપ ટ્રે, ફ્રિજની આસપાસની જગ્યા, કૂલર અને કુંડાની નીચે રાખેલી ટ્રે—આ બધી જગ્યાઓ મચ્છરોના ઉછેર માટેના કેન્દ્રો બને છે. દરરોજ તેની તપાસ અને સફાઈ કરવાથી ઘરમાં મચ્છરોનો ફેલાવો અટકાવી શકાય છે.
ભીના કપડાં ઘરની અંદર સૂકવવા
આજકાલ એપાર્ટમેન્ટ અને નાના ઘરોમાં લોકો ભીના કપડાં ઘરની અંદર જ સૂકવે છે. વરસાદના દિવસોમાં આવું કરવાથી ઘરમાં ભેજ વધે છે, જેના કારણે અસ્થમા, એલર્જી અને સાઇનસ જેવી સમસ્યાઓ વધી જાય છે. જો ઘરની અંદર કપડાં સૂકવવા સિવાય બીજો કોઈ વિકલ્પ ન હોય, તો ઘરમાં વેન્ટિલેશન સારું હોવું જોઈએ, પંખો ચાલુ રાખો અથવા સારા ડિહ્યુમિડિફાયરનો ઉપયોગ કરો જેથી ઘરનો ભેજ દૂર રહે અને બીમારી ન ફેલાય.
એન્ટીબાયોટીક ન ખાઓ
ડોક્ટરની સલાહ વગર ઘરમાં પોતાની જાતે ક્યારેય પણ દવા ભૂલથી પણ ન ખાઓ. આ દવાઓ ડેન્ગ્યુ, ચિકનગુનિયા, ઇન્ફ્લુએન્ઝા કે અન્ય વાયરલ તાવમાં કોઈ અસર કરતી નથી. આ દવાઓથી તાવ મટતો નથી, પરંતુ તેને સતત લેવાથી તમારા શરીરમાં 'એન્ટીબાયોટીક રેઝિસ્ટન્સ'ની સમસ્યા થઈ શકે છે, જેના કારણે ભવિષ્યમાં કોઈ પણ એન્ટીબાયોટીક અસર નહીં કરે અને તમારી સારવારમાં વિલંબ થશે.

