VIDEO: 'યુક્રેન યુદ્ધમાં રશિયાને પરમાણુ હુમલો કરતા પીએમ મોદીએ રોક્યા હતા', પોલેન્ડના મંત્રીએ કર્યો ખુલાસો
રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધને રોકવા અને સ્થિતિને વધુ ગંભીર બનતી અટકાવવામાં ભારતના પ્રયાસોની પોલેન્ડે જોરદાર પ્રશંસા કરી છે. પોલેન્ડના નાયબ વિદેશ મંત્રી અને રાજ્ય સચિવ વ્લાદિસ્લાવ થિયોફિલ બટોવસ્કીએ એક મોટો ખુલાસો કરતા દાવો કર્યો છે કે, વર્ષ 2022ના અંતમાં જ્યારે યુદ્ધ ચરમસીમા પર હતું, ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનને ટેક્ટિકલ પરમાણુ હથિયારોનો ઉપયોગ ન કરવા માટે રાજી કરવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી.
પુતિન માત્ર પીએમ મોદીની વાત સાંભળે છે"
પોલિશ મંત્રી બટોવસ્કીએ જણાવ્યું હતું કે, ભારતની દાયકાઓ જૂની તટસ્થતા અને રશિયા સાથેના ઐતિહાસિક સંબંધો નવી દિલ્હીને અત્યંત અનોખી અને મજબૂત સ્થિતિમાં મૂકે છે. તેમણે કહ્યું, "વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિશ્વના એક અત્યંત સન્માનિત અને જાણીતા રાજનેતા છે. ભારતના રશિયન ફેડરેશન અને તે પહેલાં સોવિયેત સંઘ સાથે ગુટનિરપેક્ષ રાષ્ટ્ર તરીકે બહુ જૂના અને ગાઢ સંબંધો રહ્યા છે. રાષ્ટ્રપતિ પુતિન વાસ્તવમાં આ વાત પર પૂરેપૂરું ધ્યાન આપે છે કે વડાપ્રધાન મોદી તેમને શું કહી રહ્યા છે." તેમણે ઉમેર્યું કે આજે જ્યારે મોસ્કો સાથે સીધી વાતચીતના તમામ રસ્તાઓ બંધ છે, ત્યારે પીએમ મોદી એવા ગણ્યાગાંઠ્યા વૈશ્વિક નેતાઓમાંથી એક છે જે રશિયન રાષ્ટ્રપતિ પર પોતાનો પ્રભાવ પાડી શકે છે.
બિન-વિરોધી દેશોની અપીલની વધુ અસર
પોલિશ મંત્રીના જણાવ્યા અનુસાર, જ્યારે કોઈ એવો દેશ તણાવ ઓછો કરવાની અપીલ કરે છે જેને રશિયા પોતાનો દુશ્મન નથી માનતું, ત્યારે તે વાતનું વજન ઘણું વધી જાય છે. યુદ્ધ આગળ વધતું રોકવાના પક્ષમાં માત્ર ભારત અને પીએમ મોદી જ નહીં, પરંતુ ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ પણ વિરોધમાં છે. રશિયા માટે બિન-વિરોધી દેશોના આ અવાજો યુદ્ધ રોકવામાં સૌથી નિર્ણાયક સાબિત થઈ શકે છે. તેમણે પીએમ મોદીની પોલેન્ડ મુલાકાતને યાદ કરતા ઉમેર્યું કે તેઓ યુક્રેનમાં એક સ્થિર અને સુરક્ષિત શાંતિ ઈચ્છે છે.
રશિયન તેલ અંગે પોલેન્ડ અને ભારત વચ્ચેના મતભેદો દૂર થયા
ભારત દ્વારા રશિયા પાસેથી ખરીદવામાં આવી રહેલા સસ્તા ક્રૂડ ઓઈલ અંગે પોલેન્ડ અને ભારત વચ્ચેની કડવાશ હવે ઘણી હદ સુધી ઉકેલાઈ ગઈ છે. બટોવસ્કીએ સ્વીકાર્યું કે પહેલા પોલેન્ડ આ ખરીદીનો વિરોધ કરતું હતું કારણ કે તેમનું માનવું હતું કે આ તેલના નાણાંથી રશિયા પોતાની યુદ્ધ અર્થવ્યવસ્થાને મજબૂત કરી રહ્યું છે. પરંતુ હવે તેઓ ભારતના આર્થિક કારણોને સમજે છે, કારણ કે ભારતને આ તેલ બજાર કિંમત કરતાં લગભગ ૪૦ ટકા જેટલી મોટી છૂટ પર મળી રહ્યું હતું. હવે બંને દેશો એકબીજાના દ્રષ્ટિકોણને વધુ સારી રીતે સમજે છે અને આ મુદ્દો હવે કોઈ મોટી અડચણ નથી.
રાષ્ટ્રપતિ પુતિને પણ કર્યા હતા પીએમ મોદીના વખાણ
પોલિશ મંત્રીનું આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે થોડા સમય પહેલા રશિયન રાષ્ટ્રપતિ પુતિને પોતે સેન્ટ પીટર્સબર્ગ ઇન્ટરનેશનલ ઇકોનોમિક ફોરમ (SPIEF) દરમિયાન પીએમ મોદી અને ભારતની સ્વતંત્ર વિદેશ નીતિની જોરદાર પ્રશંસા કરી હતી. પુતિને સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે ભારત જેવી વિશ્વની સૌથી મોટી વસ્તી અને મહાસક્તિ પર કોઈ પણ બાહ્ય દેશ દ્વારા દબાણ લાવવાના પ્રયાસો સંપૂર્ણપણે નકામા સાબિત થશે. તેમણે કહ્યું હતું કે ભારત પોતાના રાષ્ટ્રીય હિતોને ધ્યાનમાં રાખીને નિર્ણયો લે છે.

