રશિયામાં ઇંધણનું મોટું સંકટ: પુતિને સ્વીકાર્યું કે યુક્રેનના ડ્રોન હુમલાને કારણે દેશમાં પેટ્રોલ-ડીઝલની ભારે અછત

રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધની સીધી અસર હવે રશિયાના સ્થાનિક બજાર અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર જોવા મળી રહી છે. રશિયાના રાષ્ટ્રપ્રમુખ વ્લાદિમીર પુતિને રવિવારે સત્તાવાર રીતે સ્વીકાર્યું છે કે દેશના વિવિધ પ્રદેશોમાં ઇંધણ પુરવઠાની ગંભીર સમસ્યા ઉભી થઈ છે. જેના કારણે સ્થાનિક સ્તરે પેટ્રોલ અને ડીઝલની ભારે અછત સર્જાઈ છે. ઇંધણ પુરવઠા અને વિતરણ અંગે વરિષ્ઠ અધિકારીઓ સાથે યોજાયેલી એક ઉચ્ચ સ્તરીય બેઠકને સંબોધતા પુતિને જણાવ્યું હતું કે, તેલના કુવાઓ અને રિફાઇનરીઓ (ઓઇલ ઇન્સ્ટોલેશન્સ) પર યુક્રેન દ્વારા કરવામાં આવેલા ડ્રોન હુમલાના કારણે દેશમાં આ અછત સર્જાઈ છે.
પેટ્રોલ પંપો પર લાઇનો અને વધતું સંકટ
રશિયન ન્યૂઝ એજન્સીના અહેવાલ અનુસાર જાહેર કરાયેલા અહેવાલો અનુસાર, રાષ્ટ્રપ્રમુખ પુતિને બેઠકમાં કહ્યું, "તમે બધા સારી રીતે જાણો છો કે વાહનચાલકો અને વ્યવસાયો માટે સમસ્યાઓ હજુ પણ યથાવત છે. કમનસીબે, ગેસ સ્ટેશનો (પેટ્રોલ પંપો) પર હજુ પણ વાહનોની લાંબી લાઇનો જોવા મળી રહી છે." તેમણે અધિકારીઓને આદેશ આપ્યો છે કે નાગરિક લક્ષ્યો અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર થઈ રહેલા આવા હુમલાઓની અસરને લઘુત્તમ કરવા માટે તાત્કાલિક પગલાં ભરવામાં આવે. ઉલ્લેખનીય છે કે, યુક્રેને તાજેતરમાં રશિયાના ઔદ્યોગિક અને ખાસ કરીને ઓઇલ સેક્ટરને નિશાન બનાવીને મધ્યમ અને લાંબા અંતરના હુમલા તેજ કર્યા છે.
ડીઝલની નિકાસ પર સંપૂર્ણ પ્રતિબંધની તૈયારી
દેશમાં ઇંધણની તંગીને પહોંચી વળવા માટે રશિયા હાલમાં તેના 1.7 મિલિયન મેટ્રિક ટનના ગેસોલિન અનામત (રિઝર્વ) ભંડોળનો ઉપયોગ કરી રહ્યું છે. પુતિને સંકેત આપ્યા છે કે સ્થાનિક જરૂરિયાતોને પૂરી કરવા માટે ડીઝલની નિકાસ પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવાની દરખાસ્ત પર ગંભીરતાથી વિચારણા ચાલી રહી છે. જો કે, આ અગાઉ રશિયાના નાયબ વડાપ્રધાન એલેક્ઝાન્ડર નોવાકે જણાવ્યું હતું કે ડીઝલ નિકાસ પર પ્રતિબંધ મૂકવાની કોઈ તાત્કાલિક જરૂર નથી, પરંતુ વર્તમાન પરિસ્થિતિ જોતાં રાષ્ટ્રપ્રમુખ આકરા નિર્ણયો તરફ આગળ વધી રહ્યા છે.
કૃષિ ક્ષેત્ર પર મોટો ખતરો, ટાસ્ક ફોર્સ ચોવીસ કલાક કાર્યરત
પુતિને આ બેઠકમાં ખાસ કરીને કૃષિ ક્ષેત્ર (ખેતીવાડી) ને અવિરત ઇંધણ પૂરું પાડવા પર સૌથી વધુ ભાર મૂક્યો હતો. તેમણે કહ્યું કે, કૃષિ-ઔદ્યોગિક સાહસો માટે તમામ મોસમી ઇંધણ પુરવઠાના સમયપત્રક જાળવી રાખવા માટે તમામ પ્રયાસો કરવા જરૂરી છે, કારણ કે દેશમાં આગામી પાકની લણણી આ પુરવઠા પર જ નિર્ભર છે. હાલમાં દેશભરમાં યોગ્ય માત્રામાં ઇંધણ પહોંચાડવા અને કિંમતોને નિયંત્રણમાં રાખવા માટે એક વિશેષ ટાસ્ક ફોર્સ ચોવીસ કલાક કામ કરી રહી છે.

