'યુક્રેનનું આખું બંદર તબાહ- 8ના મોત', સીઝફાયર વચ્ચે રશિયાનો ભયાવહ હુમલો

એક તરફ શાંતિ મંત્રણા અને સીઝફાયરના પ્રયાસોની ચર્ચાઓ ચાલી રહી છે, ત્યારે બીજી તરફ રશિયાએ યુક્રેન પર અત્યાર સુધીનો સૌથી ભયાનક ગણી શકાય તેવો હુમલો કર્યો છે. દક્ષિણ યુક્રેનના વ્યૂહાત્મક રીતે મહત્ત્વના શહેર ઓડેસા પર રશિયાએ બેલાસ્ટિક મિસાઇલો વડે હુમલો કરતા આખું બંદર તબાહ થઈ ગયું છે. આ હુમલામાં 8 લોકોના મોત નિપજ્યાં છે, જ્યારે 27થી વધુ લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે.
બીજી તરફ ગઈકાલે રાત્રે બંદર હુમલાનું કેન્દ્ર હોવાથી બસના મુસાફરો ઈજાગ્રસ્ત થયા હતા. આ ઉપરાંત પાર્કિંગમાં પાર્ક કરેલા એક ટ્રકમાં આગ લાગી હતી. આ પછી ઘણી કારને પણ નુકસાન થયું હતું.
બેલિસ્ટિક મિસાઇલ હુમલો
અહેવાલો અનુસાર, ઓડેસાના પ્રમુખ ઓલેહ કિપરે જણાવ્યું હતું કે, 'ઓડેસા બંદર પર બેલિસ્ટિક મિસાઇલોથી હુમલો કરવામાં આવ્યો હતો. જવાબમાં, યુક્રેનની સેનાએ ડ્રોનથી રશિયાના યુદ્ધ જહાજોને નિશાન બનાવ્યા હતા.' યુક્રેનના જનરલ સ્ટાફે શનિવારે એક નિવેદનમાં રશિયન હુમલા અને વળતો હુમલો કરવાની પુષ્ટિ કરી હતી. હુમલામાં રશિયાના યુદ્ધ જહાજ 'ઓખોટનિક' ને નિશાન બનાવવામાં આવ્યું હતું. જહાજ કેસ્પિયન સમુદ્રમાં ક્રૂડ ઓઈલ અને ગેસ ઉત્પાદન પ્લેટફોર્મ નજીક પેટ્રોલિંગ કરી રહ્યું હતું.
હુમલાથી થયેલા નુકસાનનું પ્રમાણ હજુ સ્પષ્ટ નથી અને તેનું મૂલ્યાંકન કરવામાં આવી રહ્યું છે. કેસ્પિયન સાગરમાં ફિલાનોવસ્કી ક્રૂડ ઓઈલ અને ગેસ ક્ષેત્રના એક ડ્રિલિંગ પ્લેટફોર્મને પણ નિશાન બનાવવામાં આવ્યું હતું. આ સુવિધા રશિયાના ક્રૂડ ઓઈલના દિગ્ગજ લુકોઈલ દ્વારા સંચાલિત છે. યુક્રેનના ડ્રોનએ ક્રિમીઆના ક્રાસ્નોસેલ્સ્કી પ્રદેશમાં એક રડાર સિસ્ટમને પણ નિશાન બનાવી હતી, જેને રશિયાએ 2014માં યુક્રેનથી ગેરકાયદે રીતે કબજે કરી હતી.
પુતિન શરતો સાથે યુદ્ધ બંધ કરવા તૈયાર
ઉલ્લેખનીય છે કે,રશિયાના પ્રમુખ વ્લાદિમીર પુતિને એક નિવેદનમાં કહ્યું કે, 'અમે શરતો સાથે યુક્રેનમાં યુદ્ધ બંધ કરવા તૈયાર છે. જો યુક્રેન આવતા વર્ષે શાંતિથી રહેવા માંગે છે, તો તેણે શાંતિ મંત્રણાની શરતો છોડી દેવી પડશે અને રશિયાના કબજા હેઠળના પ્રદેશો પરના પોતાના દાવાઓ છોડી દેવા પડશે.'

