આસામ પૂર કટોકટી વચ્ચે નીતા અંબાણીનો મોટો નિર્ણય, રૂપિયા 21 કરોડની મદદ સાથે ગ્રાઉન્ડ પર ઉતારી આખી ટીમ!

આસામના વિનાશક પૂરથી પ્રભાવિત લોકો માટે એક ભાવુક સંદેશ આપતા રિલાયન્સ ફાઉન્ડેશનના સ્થાપક અને ચેરપર્સન નીતા અંબાણીએ પૂર પીડિત પરિવારોની મદદ માટે 'મુખ્યમંત્રી રાહત કોષ'માં ₹21 કરોડ આપવાની જાહેરાત કરી છે. આ અંગે નીતા અંબાણીએ જણાવ્યું હતું કે, ‘અમારી પ્રાર્થના અને સંવેદનાઓ આસામના લોકો સાથે છે. આ વિનાશક પૂરથી પ્રભાવિત થયેલા દરેક પરિવાર માટે મારું હૃદય દ્રવી ઉઠે છે. મહેરબાની કરીને યાદ રાખો કે તમે આ મુશ્કેલીમાં એકલા નથી.’ આસામના પૂરમાં આર્થિક સહાયની સાથે જમીની સ્તરે મદદ કરવા બદલ મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમાએ સોશિયલ મીડિયા પર નીતા અંબાણી અને રિલાયન્સ ફાઉન્ડેશનનો તેમના સતત સહયોગ બદલ આભાર માન્યો હતો.
આસામના CMએ સોશિયલ મીડિયા પોસ્ટ કરીને આભાર માન્યો
સરમાએ તેમની સોશિયલ મીડિયા પોસ્ટમાં લખ્યું, "રિલાયન્સ ફાઉન્ડેશનના સ્થાપક અને ચેરપર્સન શ્રીમતી નીતા અંબાણી જ્યારે પણ આપણા રાજ્ય પર મુશ્કેલ સમય આવ્યો છે ત્યારે હંમેશા આસામના લોકોની સાથે ઊભા રહ્યા છે. કોવિડ-19 મહામારી દરમિયાન જ્યારે રિલાયન્સ ફાઉન્ડેશને સમયસર સહાય પૂરી પાડી હતી તે હું આદરપૂર્વક યાદ કરું છું. હવે તેમણે અપર આસામના પૂર પીડિત પરિવારોની સહાય માટે મુખ્યમંત્રી રાહત કોષમાં ₹21 કરોડનું દાન આપીને ફરી એકવાર એ જ ભાવના દર્શાવી છે. આ યોગદાન સાથે રિલાયન્સ ફાઉન્ડેશનની ટીમો ગ્રાઉન્ડ પર પણ અથાક પરિશ્રમ કરી રહી છે — ભોજન, જાહેર આરોગ્ય સેવાઓ, ઈમરજન્સી શેલ્ટર અને પશુધનની સંભાળ પૂરી પાડી રહી છે. આસામના લોકો પ્રત્યેની દયા અને સહાનુભૂતિ બદલ હું શ્રીમતી નીતા અંબાણી અને રિલાયન્સ ફાઉન્ડેશનનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું.’
અમે આવનારા દિવસોમાં તમારી સાથે રહીશુંઃ નીતા અંબાણી
રિલાયન્સ પરિવારની ભાવનાને પુનરોચ્ચારિત કરતા નીતા અંબાણીએ કહ્યું હતું કે, ‘રિલાયન્સ ફાઉન્ડેશન અને વનતારાની ટીમો તેમજ સમગ્ર રિલાયન્સ પરિવારના સ્વયંસેવકો આસામના પૂરપીડિતો માટે ગ્રાઉન્ડ પર હાજર છે. તેઓ આસામ સરકાર તથા સ્થાનિક સમુદાયો સાથે મળીને શક્ય તમામ મદદ કરી રહ્યા છે. આસામના લોકોએ મુશ્કેલીના સમયમાં હંમેશા અસાધારણ હિંમત અને ધૈર્ય દર્શાવ્યું છે. અમે આજે તમારી સાથે છીએ અને આવનારા દિવસોમાં પણ તમારી સાથે ઊભા રહીશું, જેથી આપણે સૌ સાથે મળીને જીવનનું પુનઃનિર્માણ કરી શકીએ અને આશાનો સંચાર કરી શકીએ.’
ઓછામાં ઓછા 50,000 લોકો સુધી મદદ પહોંચાડવાનો સંકલ્પ
આસામમાં ‘મુખ્યમંત્રી રાહત કોષ’માં આપેલી આર્થિક સહાય, એ અપર આસામના પૂરગ્રસ્ત વિસ્તારોમાં છેલ્લા કેટલાક દિવસોથી રિલાયન્સ ફાઉન્ડેશન દ્વારા હાથ કરાતા રાહત કાર્યોનો જ એક ભાગ છે, જેમાં નિષ્ણાતો, સ્વયંસેવકો અને જરૂરી સામગ્રીને તાત્કાલિક ધોરણે ગ્રાઉન્ડ પર મોકલાઈ છે. રિલાયન્સ ફાઉન્ડેશન સૌથી વધુ પ્રભાવિત એવા શિવહસાગર અને ચરાઈદેવો જિલ્લાના અતિ સંવેદનશીલ પરિવારો પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યું છે, જેનો મુખ્ય હેતુ આશરે 50,000 થી વધુ જરૂરિયાતમંદ લોકો સુધી નિર્ણાયક રાહત અને પુનઃવસન પહોંચાડવાનો છે.
દેશના 98,000 ગામડાંમાં મહત્ત્વની કામગીરી
રિલાયન્સ ફાઉન્ડેશન, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિ. દ્વારા કાર્યરત સ્વૈચ્છિક સંસ્થા છે. તે ઇનોવેટિવ અને સસ્ટેઇનેબલ ઉપાયો દ્વારા ભારતની વિકાસલક્ષી પડકારો ઉકેલવામાં મહત્ત્વની ભૂમિકા ભજવે છે. નીતા અંબાણીના નેતૃત્વ હેઠળ આ ફાઉન્ડેશન ગ્રામીણ પરિવર્તન, શિક્ષણ, આરોગ્ય, સ્પોર્ટ્સ, આપત્તિ વ્યવસ્થાપન, મહિલા સશક્તિકરણ અને કળા-સંસ્કૃતિ જેવા ક્ષેત્રોમાં સક્રિય છે. તેણે સમગ્ર ભારતમાં 98,000 થી વધુ ગામડાં અને શહેરી વિસ્તારોમાં 10 કરોડથી વધુ લોકોના જીવનમાં પરિવર્તનનો પ્રયાસ કર્યો છે.

