૧૮ વર્ષ સુધી સાંકળોમાં જકડાયેલું રહ્યું બાળપણ: ૨૩ વર્ષે માતા-પુત્રના મિલનની હૃદયદ્રાવક કહાની!

કુદરતની લીલા પણ અપરંપાર છે! ૨૩ વર્ષ પહેલાં ગુમ થયેલો અને જેને પરિવારજનોએ મૃત માની લીધો હતો તે દીકરો જ્યારે ૨૩ વર્ષ પછી પોતાની વૃદ્ધ માતાની સામે આવીને ઊભો રહ્યો, ત્યારે બંનેની આંખો આંસુઓથી ભીંજાઈ ગઈ હતી. પંજાબના અમૃતસર પાસે આવેલા એક ડેરી ફાર્મમાં ૧૮ વર્ષ સુધી બંધુઆ મજૂર (Bonded Labourer) બનાવીને રાખવામાં આવેલા પ્રકાશની કહાણી સાંભળીને પથ્થર દિલ માનવીનું કાળજું પણ કંપી ઊઠે તેમ છે.
પશુઓ સાથે સાંકળથી બાંધીને રખાતો, દિવસમાં માત્ર બે વાર ખાવાનું
હરિયાણા સચિવાલયના નિવૃત્ત કર્મચારી સુભાષ ચંદ્ર, જેમણે પ્રકાશને તેની માતા સુધી પહોંચાડવામાં સિંહફાળો આપ્યો છે, તેમણે પ્રકાશની હૃદયદ્રાવક આપવીતી શેર કરી હતી. તેમણે જણાવ્યું કે, "તમે એ કમનસીબ માણસની દશાની કલ્પના કરો જેને દિવસમાં માત્ર બે વાર જ ખાવાનું અપાતું હતું. તેને મૌસમ ગમે તેવી હોય પશુઓ સાથે તબેલામાં જ રાખવામાં આવતો અને રાત્રે લોખંડના પલંગ સાથે લોખંડની સાંકળોથી બાંધી દેવાતો. તેના માટે ન કોઈ ગાદલું હતું કે ન કોઈ ઓઢવાની ચાદર. ૧૮ વર્ષ સુધી તેણે આ નરક ભોગવ્યું છે."
૨૦૦૩માં ઘર છોડ્યું, માનસિક સંતુલન ગુમાવ્યું
વર્ષ ૨૦૦૩માં એક નાની કૌટુંબિક બોલાચાલી બાદ પ્રકાશે તમિલનાડુ સ્થિત પોતાનું ઘર છોડી દીધું હતું. ભટકતાં ભટકતાં તે પંજાબ પહોંચ્યો, જ્યાં ડેરી ફાર્મના માલિકોએ તેનું માનસિક અને શારીરિક શોષણ કરીને તેને ગુલામ બનાવી લીધો. ૧૮ વર્ષના અત્યાચારના કારણે તે બોલવાનું પણ ભૂલી ગયો હતો અને માત્ર બીજાના શબ્દો દોહરાવતો હતો.
વર્ષ ૨૦૨૨માં 'અપના ફરજ સેવા સોસાયટી' (Apna Farz Sewa Society) ના સેવાકીય ટ્રસ્ટને આ બાબતની જાણ થતાં તેમણે પ્રકાશને ત્યાંથી મુક્ત કરાવ્યો (Rescued) હતો. શરૂઆતમાં પ્રકાશ પેટ ભરીને ખાતાં પણ ડરતો હતો, પણ પ્રેમ અને યોગ્ય સારવાર બાદ તેની સ્થિતિ સુધરી અને તેણે તમિલનાડુના પોતાના ઘર વિશે જણાવવાનું શરૂ કર્યું.
તમિલનાડુમાં મા-પુત્રનું ભાવુક મિલન
હરિયાણાના સુભાષ ચંદ્ર અને તમિલનાડુના પત્રકાર મિત્ર મુથૈયાના ભગીરથ પ્રયાસોથી પ્રકાશને તમિલનાડુના વિરુધુનગર જિલ્લાના અનાઈકુલમ ગામે તેની વૃદ્ધ માતા સુંદરી પાસે સુરક્ષિત પહોંચાડવામાં આવ્યો.
અશ્રુભીની આંખે પુત્રને વળગી પડેલી માતા સુંદરીએ કાળજું કંપાવતા શબ્દોમાં કહ્યું: "મારો દીકરો આટલા વર્ષો સુધી જે યાતનાઓમાંથી પસાર થયો છે તે વિચારીને પણ મારું કાળજું કાંપી ઊઠે છે. જે નરાધમોએ મારા માસૂમ દીકરાને આટલા વર્ષો સુધી બંધક બનાવીને અત્યાચાર કર્યા છે તેમને હું ક્યારેય માફ નહીં કરું. મને આશા છે કે કાનૂન તેમને કડકમાં કડક સજા આપશે."

