'18મી લોકસભા નવા સંકલ્પો સાથે કામ કરશે', સંસદ સત્ર પહેલા PM મોદી

18મી લોકસભાનું પ્રથમ સત્ર શરૂ થયું છે. આ સત્રમાં નવા ચૂંટાયેલા સાંસદોને શપથ લેવડાવવામાં આવશે. તે બાદ 26 જૂનથી લોકસભાના અધ્યક્ષની ચૂંટણી યોજાશે અને 27 જૂને રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ બન્ને સદનની સંયુક્ત બેઠકને સંબોધિત કરશે. આ પહેલા વડાપ્રધાન મોદીએ કહ્યું કે, આજનો દિવસ વૈભવનો દિવસ છે. આઝાદી બાદ પ્રથમ વખત નવી સંસદમાં શપથ સમારંભ યોજાઇ રહ્યો છે. હું નવા ચૂંટાયેલા સાંસદોનું સ્વાગત કરૂ છું. વિકસિત ભારતના 2047 સુધીના લક્ષ્યને લઇને સંસદ સત્ર શરૂ થઇ રહ્યો છે.
લોકસભા સત્રની શરૂઆત પહેલા વડાપ્રધાન
લોકસભા સત્રની શરૂઆત પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશને સંબોધિત કર્યા હતા. આ દરમિયાન તેમને કહ્યું, '18મની લોકસભા નવા સંકલ્પો સાથે કામ કરશે.PM મોદીએ કહ્યું, 'આ નવી ઉંમગ, નવા ઉત્સાહ અને નવી ગતિને પ્રાપ્ત કરવાનો અવસર છે. વિશ્વની સૌથી મોટી ચૂંટણી ઘણી સારી રીતે અને ગૌરવમય રીતે સંપન્ન થઇ છે. આ 140 કરોડ ભારતવાસીઓ માટે ગર્વની વાત છે.'
દેશ ચલાવવા માટે સહમતિ જરૂરી- PM મોદી
પીએમ મોદીએ કહ્યું, 'જો આપણા દેશના નાગરિકોએ સતત ત્રીજી વખત કોઇ સરકાર પર વિશ્વાસ કર્યો છે તો તેનો અર્થ છે કે તેમને સરકારની નીતિઓ અને નીયત પર મોહર લગાવી છે. હું તમારા બધાના સમર્થન અને વિશ્વાસ માટે આભારી છું. સરકાર ચલાવવા માટે બહુમત જરૂરી છે પરંતુ દેશ ચલાવવા માટે બધાની સહમતિ જરૂરી છે.'
25 જૂને ભારતના લોકતંત્ર પર કાળો ડાગ લાગ્યો હતો
પીએમ મોદીએ કહ્યું કે 25 જૂને ભારતના લોકતંત્ર પર કાળો ડાગ લાગ્યો હતો. ઇમરજન્સીને 50 વર્ષ થઇ રહ્યાં છે. દેશને જેલખાનુ બનાવી દેવામાં આવ્યું હતું. ભારતમાં ફરી ક્યારેય કોઇ આમ કરવાની હિમ્મત નહીં કરે.

