VIDEO: સિદ્ધિવિનાયક મંદિરમાંથી દર વર્ષે ૧૮ કરોડની ચોરી: રામ મંદિર વિવાદ વચ્ચે રાજ ઠાકરેનો દાવો
અયોધ્યા સ્થિત રામ મંદિરમાં (Ram Mandir) દાન ચોરીના આરોપોને લઈને ચાલી રહેલા રાજકીય ઘમાસાણ વચ્ચે મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (MNS) ના પ્રમુખ રાજ ઠાકરેએ (Raj Thackeray) વધુ એક સળગતો દાવો કર્યો છે. રાજ ઠાકરેએ આરોપ લગાવ્યો છે કે મુંબઈના પ્રખ્યાત સિદ્ધિવિનાયક મંદિરમાંથી (Siddhivinayak Temple) દર વર્ષે આશરે ૧૮ કરોડ રૂપિયાની દાન રકમ ચોરાઈ રહી હતી. રામ મંદિરમાં ૧૪૦૦ કરોડની ચોરીનો આરોપ દોહરાવતા તેમણે કહ્યું કે આજકાલ મંદિરો પણ ભ્રષ્ટાચારથી મુક્ત નથી રહ્યા અને તેમણે આ મુદ્દે સીધા વડાપ્રધાન નરેન્દ્ર મોદી પાસે જવાબ માગ્યો છે.
ચોરી પકડાતાં સાપ્તાહિક કમાણી ૫૦ લાખથી વધીને ૧.૫ કરોડ થઈ!
ન્યૂઝ એજન્સી પીટીઆઈ (PTI) મુજબ, રાજ ઠાકરેએ મંદિરના આઠ ટ્રસ્ટીઓ દ્વારા લખાયેલો એક પત્ર વાંચીને સંભળાવ્યો હતો. તેમણે જણાવ્યું કે ટ્રસ્ટીઓની તકેદારીના કારણે દાન પાત્રમાંથી ચોરી કરતા કેટલાક કર્મચારીઓ રંગેહાથ પકડાયા હતા. ઠાકરેનો દાવો છે કે ચોરી પકડાતાં જ મંદિરની અઠવાડિયાની કમાણી ૫૦ લાખથી વધીને સીધી ૧.૫ કરોડ રૂપિયા થઈ ગઈ હતી.
સિદ્ધિવિનાયક ટ્રસ્ટના પ્રમુખની સ્પષ્ટતા
શિવસેના નેતા અને સિદ્ધિવિનાયક મંદિર ટ્રસ્ટના પ્રમુખ સદા સર્વણકરે (Sada Sarvankar) આ મામલે પ્રતિક્રિયા આપતાં પુષ્ટિ કરી હતી કે આ સંબંધમાં ૯ કર્મચારીઓની ધરપકડ કરવામાં આવી છે અને કાનૂની કાર્યવાહી ચાલી રહી છે. જોકે, દાનમાં થયેલા વધારા અંગે તેમણે સ્પષ્ટ કર્યું કે આ વધારો ટ્રસ્ટ દ્વારા કરવામાં આવેલા સુધારાનું પરિણામ છે. મંદિરની વાર્ષિક આવક બે વર્ષ પહેલાંના ૧૧૪ કરોડથી વધીને હવે ૧૮૨ કરોડ રૂપિયા થઈ ગઈ છે.
સંસદથી લઈને કોર્ટ સુધી રામ મંદિર દાન ચોરીનો ગરમાવો
રામ મંદિર દાન ચોરીનો મુદ્દો સંસદના મોનસૂન સત્રમાં (Monsoon Session) પણ છવાયેલો રહ્યો છે. શુક્રવારે વિપક્ષી સાંસદોએ સંસદ પરિસરમાં એક પ્રતીકાત્મક નાટક ભજવ્યું હતું. પૂર્ણિયાના અપક્ષ સાંસદ પપ્પુ યાદવે (Pappu Yadav) ભગવા વસ્ત્રો પહેરીને નાટકમાં ભાગ લીધો હતો, જેમાં રાહુલ ગાંધી (Rahul Gandhi) સહિતના નેતાઓએ દાન પાત્રમાં મૂકેલા પૈસા પપ્પુ યાદવે પોતાના ખિસ્સામાં મૂકી ચોરીનું પ્રતીક દર્શાવ્યું હતું.
રાહુલ ગાંધી અને પપ્પુ યાદવ સહિતના નેતાઓ સામે FIR
આ પ્રદર્શન બાદ વારાણસીના (Varanasi) કોતવાલી પોલીસ સ્ટેશનમાં લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી, સાંસદ પપ્પુ યાદવ અને અયોધ્યા (ફૈઝાબાદ) ના સપા સાંસદ અવધેશ પ્રસાદ (Awadhesh Prasad) સામે એફઆઈઆર (FIR) નોંધવામાં આવી છે. આ ઉપરાંત ભાજપ સાંસદ વાંસુરી સ્વરાજે (Bansuri Swaraj) પણ દિલ્હીમાં પોલીસ ફરિયાદ નોંધાવી છે.
કાશી ઝોનના ડીસીપી (DCP) ના જણાવ્યા અનુસાર, સંતો દ્વારા આપવામાં આવેલી ફરિયાદના આધારે આ ગુનો નોંધવામાં આવ્યો છે. સંતોનો આરોપ છે કે આ સાંસદોએ સનાતન ધર્મ (Sanatan Dharma) અને ભગવાન રામનું અપમાન કર્યું છે.

