VIDEO: ANDARNI VAAT / આસામમાં અચાનક આવેલા પૂરમાં તણાઈ ઘરવખરી: અનેક પરિવારો ખુલ્લા આકાશ નીચે આવવા મજબૂર!
આસામના નાઝિરા સ્થિત ઉગ્રીજન મદ્રાજી ઘાટ ખાતે દિખોવ નદીમાં આવેલા વિનાશક પૂરના દિવસો બાદ પણ પરિસ્થિતિ અત્યંત ગંભીર બની રહી છે. અચાનક આવેલા પૂરના પાણી ઓસર્યા બાદ હવે સમગ્ર વિસ્તારમાં કાદવ-કીચડ અને રેતીના જાડા થર પથરાઈ ગયા છે, જેના કારણે સ્થાનિકોનું જનજીવન સંપૂર્ણપણે અસ્તવ્યસ્ત થઈ ગયું છે. આ કુદરતી હોનારતમાં અનેક મકાનો, મુખ્ય માર્ગો અને લોકોની આજીવિકાના સાધનો હોમાઈ ગયા છે. પૂરના પાણી એટલી ઝડપે ઘસી આવ્યા હતા કે લોકોને સંભાળવાનો મોકો પણ મળ્યો ન હતો. ઘણા પરિવારોએ પોતાના બાળ-બચ્ચાં અને સ્વજનોને માંડ-માંડ ઉગાર્યા હતા. ઘરવખરી, કપડાં અને કિંમતી સામાન પૂરના વહેણમાં તણાઈ જતાં પીડિત પરિવારો ખુલ્લા આકાશ નીચે આવી ગયા છે અને હાલમાં ભોજન તથા આશ્રય માટે રાહત સામગ્રી પર નિર્ભર બન્યા છે.
પૂરના પાણી ઓસર્યા પછી પણ વિસ્તારમાં ફેલાયેલી ગંદકી અને અસ્વચ્છતાને કારણે રોગચાળો ફેલાવાનો ભારે ભય ઉભો થયો છે. પીડિત પરિવારો પોતાના પરિવાર અને બાળકોના સ્વાસ્થ્યને લઈને અત્યંત ચિંતિત જોવા મળી રહ્યા છે. અસરગ્રસ્તોએ સરકાર અને વહીવટી તંત્ર સમક્ષ ગુહાર લગાવી છે કે તેમને તાત્કાલિક અસ્થાયી આશ્રય, ઘર બનાવવા માટે નાણાકીય સહાય તથા ક્ષતિગ્રસ્ત રસ્તાઓના પુનઃનિર્માણની સુવિધા પૂરી પાડવામાં આવે. આ ઉપરાંત, પૂરથી થયેલા નુકસાનનું યોગ્ય વળતર આપી પીડિતોનું વહેલી તકે પુનર્વસન કરવામાં આવે તેવી માંગ ઉઠી છે. મુશ્કેલીના આ સમયમાં તંત્ર દ્વારા ઝડપી રાહત અને પુનઃનિર્માણની કામગીરી હાથ ધરવામાં આવે તે અત્યંત જરૂરી બન્યું છે..
બ્યૂરો રિપોર્ટ જીએસટીવી

