શેરબજારના ધંધામાં ખોટ જતા નકલી ચલણી નોટોનો ધંધો શરૂ કર્યો, આ રીતે પોલીસે ઝડપ્યા

શેરબજારના ધંધામાં ખોટ જતા આર્થિક ભીંસમાં આવી ગયેલા બે મિત્રોએ નકલી ચલણી નોટો નજીવી કિંમતે મેળવી બજારમાં ફરતી કરી હતી. એસ.ઓ.જી. એ તપાસ દરમિયાન બંને આરોપીઓને ઝડપી પાડયા છે. જ્યારે નકલી નોટોના મુખ્ય સૂત્રધાર સુધી પહોંચવા પોલીસે તપાસ હાથ ધરી છે.
વાઘોડિયા રોડની આઇસીઆઇસીઆઇ બેન્કના કેશ ડિપોઝિટ મશીનમાં ગઇ તા.૧૪મી ફેબુ્રઆરીએ રાત્રે ૧૦.૧૭ વાગે કોઇ અજાણ્યો શખ્સ કેશ ડિપોઝિટ કરી ગયો હતો.જેમાં તેના ખાતામાં માત્ર રૃ.૩૦૦ જમા થયા હતા.જ્યારે રૂ. .૨૦૦ના દરની ૭ નોટો ડૂપ્લિકેટ હોવાથી કેશ રિજેક્શન બોક્સમાંથી મળી આવી હતી.
આ બનાવ અંગે બેન્ક મેનેજરે ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ શરૃ કરી હતી. નાણા જમા કરાવનાર સ્વીગી રાઇડરોની તપાસ કરતા મળેલી માહિતીના આધારે પોલીસે યાદી તૈયાર કરી હતી.તેના આધારે ઓર્ડર પેમેન્ટના રૃપિયા નિરવ પ્રભુલાલ મહેતા (રહે.સાહિત્ય ગ્રીન, માધવપુરા,મૂળ રહે. કચ્છ) ની પૂછપરછ કરી તેના ઘરે તપાસ કરતા ૨૦૦ ના દરની શંકાસ્પદ ૬૦ નોટો મળી આવી હતી.
એફ.એસ.એલ. દ્વારા ચકાસણી કરાવવામાં આવતા આ નોટો ડૂપ્લિકેટ હોવાનું જણાઇ આવ્યું હતું. જેથી, પોલીસે નિરવની ધરપકડ કરી હતી. આ નોટો આપનાર મનિષ ખીમજીભાઇ પાનસુરીયા (રહે.શુભ શાંતિ રેસિડેન્સી, વેલેન્જા ગામ,સુરત, મૂળ રહે. ઉજડા ગામ,નવા ફળિયા,તા.હામકંડોરણા,જિ.રાજકોટ) ને પણ એસ.ઓ.જી.એ ઝડપી પાડયો છે.
પોલીસની પૂછપરછમાં એવી વિગતો જાણવા મળી છે કે,મનિષ અને નિરવ અગાઉ સુરતમાં ઓફિસ ખોલી શેરબજારનું કામ ભાગીદારીમાં કરતા હતા. શેરબજારના ધંધામાં ખોટ આવતા આર્થિક તંગીના કારણે મનિષે તેના મિત્રની મદદગારીમાં બારડોલી પાસેના એક ગામમાંથી અસલ નોટોના બદલામાં નકલો નોટોનું બંડલ લીધું હતું. તે નોટો તેઓએ બજારમાં ફરતી કરી હતી.

