ગુજરાત તરફ આવી રહેલા થાઈ કાર્ગો જહાજ પર હોર્મુઝ સ્ટ્રેટમાં હુમલો, આગ બાદ 20 ક્રૂ મેમ્બરને બચાવાયા

મધ્ય પૂર્વના મહત્વપૂર્ણ દરિયાઈ માર્ગ હોર્મુઝ સ્ટ્રેટમાં બુધવારે એક થાઈ કાર્ગો જહાજ પર હુમલો થયો છે. આ જહાજ ગુજરાત તરફ આવી રહ્યું હતું એ સમયે તેના પર ગોો પડ્યો અને આગ લાગી. બચાવ કામગીરી દરમિયાન 20 ક્રૂ સભ્યોને બચાવી લેવામાં આવ્યા હતા.
શિપ ટ્રેકિંગ ડેટા અનુસાર, જહાજની ઓળખ મયુરી નારી તરીકે થઈ છે. આ ઘટના ઓમાનના ઉત્તરી કિનારાથી આશરે 11 નોટિકલ માઈલ દૂર બની હતી. થાઈ સરકારે પુષ્ટિ કરી છે કે જહાજમાં સવાર 23 ક્રૂ સભ્યોમાંથી 20 સભ્યોને સુરક્ષિત રીતે બચાવી લેવામાં આવ્યા છે. ત્રણ હજુ પણ જહાજ પર છે.
દરિયાઈ સૂત્રોના જણાવ્યા અનુસાર, જહાજને થયેલા નુકસાન વિશે વિગતવાર માહિતી જાહેર કરવામાં આવી નથી. ઘટના બાદ ઓમાની નૌકાદળે તાત્કાલિક આ વિસ્તારમાં બચાવ કામગીરી શરૂ કરી હતી. રોયલ થાઈ નેવી અને યુનાઇટેડ કિંગડમ મેરીટાઇમ ટ્રેડ ઓપરેશને અહેવાલ આપ્યો હતો કે કાર્ગો જહાજ પર 11 માર્ચે અજાણ્યા પ્રોજેક્ટાઈલથી હુમલો થયો.
જહાજની ઓળખ તેના સુપરસ્ટ્રક્ચર, ઇન્ટરનેશનલ મેરીટાઇમ ઓર્ગેનાઇઝેશન નંબર દ્વારા પુષ્ટિ મળી હતી, જે અગાઉના ફોટોગ્રાફ્સ અને રેકોર્ડ્સ સાથે મેળ ખાય છે. મયુરી નારી જહાજ પ્રેશિયસ શિપિંગની માલિકીનું છે. હુમલા પછી જહાજમાં આગ લાગી હતી, જેના કારણે પરિસ્થિતિ વધુ વણસી હતી, પરંતુ તેને ઝડપથી બુઝાવી દેવામાં આવી હતી.
હુમલામાં વપરાયેલા હથિયારની હજુ સુધી સત્તાવાર રીતે ઓળખ થઈ નથી. રોયલ થાઈ નેવી અને દરિયાઈ સુરક્ષા અધિકારીઓ બંનેએ જણાવ્યું છે કે ગોળા અજાણ્યા હતા. હજુ સુધી કોઈ દેશ કે સંગઠને આ હુમલાની જવાબદારી સ્વીકારી નથી. હોર્મુઝ સ્ટ્રેટ વિશ્વના સૌથી મહત્વપૂર્ણ દરિયાઈ માર્ગોમાંનો એક છે.

