પાકિસ્તાન ફરી પોતાની અસલી હરકતો પર આવ્યું! સિંધુ જળ સંધિ પર કરગર્યા બાદ હવે બિલાવલ ભુટ્ટોની નવી ધમકી

સિંધુ જળ સંધિ (Indus Waters Treaty) મુદ્દે ભારત સામે કરગરી ચૂકેલું પાકિસ્તાન ફરી એકવાર ઉશ્કેરણીજનક નિવેદનબાજી પર ઉતરી આવ્યું છે. સંયુક્ત રાષ્ટ્ર (UN) અને અન્ય આંતરરાષ્ટ્રીય મંચો પર કાલાવાલા કરનારા પાકિસ્તાનની અરજીઓને ભારતે ફગાવી દીધી છે. ભારતે દુનિયા સામે સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે 'લોહી અને પાણી એકસાથે ન વહી શકે'. જો પાકિસ્તાનને સિંધુ નદીનું પાણી જોઈતું હોય, તો તેણે પહેલા સરહદ પારથી ચાલતો આતંકવાદ બંધ કરવો પડશે. પાકિસ્તાનના તમામ પેંતરા નિષ્ફળ ગયા બાદ, તે ફરી પોતાની જૂની અને જાણીતી હરકતો પર ઉતરી આવ્યું છે. ભારતને પોકળ ધમકી આપતા પાકિસ્તાન કહી રહ્યું છે કે, જો ભારતે પાણી રોકવાનો પ્રયાસ કર્યો તો ઈસ્લામાબાદ તેનો જવાબ આપવા તૈયાર છે.
પહલગામ આતંકી હુમલા બાદ ભારતે સિંધુ જળ સંધિને સ્થગિત (સસ્પેન્ડ) કરી દીધી હતી. તેના આશરે ૧૪ મહિના બાદ હવે પાકિસ્તાન ધમકીઓ આપી રહ્યું છે. શહબાઝ શરીફ સરકારમાં સામેલ 'પાકિસ્તાન પીપલ્સ પાર્ટી'ના ચેરમેન બિલાવલ ભુટ્ટો ઝરદારીએ કહ્યું છે કે ઈસ્લામાબાદ આ બાબત સહન નહીં કરે. પાકિસ્તાનની નેશનલ એસેમ્બલીમાં બોલતા બિલાવલ ભુટ્ટોએ ભારત પર પાકિસ્તાનનું પાણી રોકવાનો આરોપ લગાવ્યો હતો. તેણે કહ્યું, "અમે નદીઓના પાણીમાં અમારા કાયદેસરના હિસ્સા સાથે કોઈ બાંધછોડ નહીં કરીએ. પાકિસ્તાન પોતાના પાણીના હિસ્સા અને અધિકારો માટે લડશે. પાણીના પ્રવાહને રોકવાના કોઈપણ પ્રયાસનો મજબૂતીથી જવાબ આપવામાં આવશે."
બિલાવલ ભુટ્ટોએ પહેલા પણ આપ્યું હતું આવું નિવેદન
પાકિસ્તાનના પૂર્વ વિદેશ મંત્રી બિલાવલ ભુટ્ટોએ સિંધુ કરાર પર પહેલીવાર આવું નિવેદન નથી આપ્યું. આ પહેલા પણ તેણે નદીઓમાં લોહી વહાવવા જેવા વિવાદાસ્પદ નિવેદનો આપ્યા છે. ગયા વર્ષે એપ્રિલમાં પહલગામમાં થયેલા આતંકી હુમલા બાદ ભારતે કડક પગલાં લીધા હતા, જેમાં સિંધુ જળ સંધિને સ્થગિત કરવાનો પણ સમાવેશ થાય છે. વર્ષ ૧૯૬૦માં થયેલી આ સંધિ ભારત અને પાકિસ્તાન વચ્ચે નદીઓના પાણીની વહેંચણી નક્કી કરે છે. ભારતના આ પગલાથી પાકિસ્તાનમાં જળ સંકટ ઊભું થવાનો મોટો ખતરો છે, જેના કારણે ઈસ્લામાબાદ અકળાયેલું છે અને આને યુદ્ધ જેવી કાર્યવાહી ગણાવી રહ્યું છે.
ભારતે સંયુક્ત રાષ્ટ્ર (UN)માં આપ્યો પાકિસ્તાનને જવાબ
ભારતે આંતરરાષ્ટ્રીય મંચો પર વારંવાર સ્પષ્ટ કર્યું છે કે પાકિસ્તાન આતંકવાદીઓને આશ્રય અને ટ્રેનિંગ આપે છે. જ્યાં સુધી તે આતંકીઓનો ખાતમો નહીં કરે, ત્યાં સુધી સિંધુ જળ સંધિ પુનઃસ્થાપિત કરવામાં આવશે નહીં. સંયુક્ત રાષ્ટ્રમાં ગઈકાલે જ (૧૮ જૂનના રોજ) ભારતના સ્થાયી મિશનના ફર્સ્ટ સેક્રેટરી અનુપમા સિંહે UNSCના ૬૨મા સત્રમાં બોલતા સ્પષ્ટ કરી દીધું છે કે નવી દિલ્હી સિંધુ જળ સંધિ (IWT) પર પોતાના વલણ પર અડગ રહેશે. તેમણે જણાવ્યું કે, ૧૯૬૦માં થયેલા કરારને હંમેશા માટે મળેલો એવો અધિકાર ન માની શકાય, જે જવાબદારી અને આજની વાસ્તવિકતાથી તદ્દન દૂર હોય.
પાકિસ્તાને યુરોપમાં પણ સિંધુ જળ સંધિનું રોદણું રડ્યું
પાકિસ્તાને યુરોપમાં બેસીને પણ સિંધુ જળ સંધિ અંગે આક્રંદ કર્યું છે. બેલ્જિયમની રાજધાની બ્રસેલ્સમાં પાકિસ્તાની હાઈ કમિશન અને યુરોપિયન થિંક ટેન્ક 'સેન્ટર ફોર યુરોપિયન પોલિસી સ્ટડીઝ' (CEPS) દ્વારા સિંધુ સંધિના મુદ્દે 'ટ્રાન્સબાઉન્ડ્રી વોટર રિસોર્સિસ: એ વેપનાઇઝ્ડ ગ્લોબલ કોમન' નામની કોન્ફરન્સ યોજવામાં આવી હતી. આ કોન્ફરન્સમાં પાકિસ્તાનના ડેપ્યુટી PM અને વિદેશ મંત્રી ઈશાક ડારે સિંધુ, ચિનાબ અને રાવી નદી પર ચાલી રહેલા ભારતના પ્રોજેક્ટ્સનો ઉલ્લેખ કરતા કહ્યું કે, આના કારણે પાકિસ્તાન તરસ્યું મરી શકે છે.
ડારે આક્ષેપ કર્યો કે, સિંધુ જળ સંધિ સ્થગિત કર્યા બાદ ભારત સાવલકોટ, કિર્થાઈ અને ક્વાર જેવા નવા પ્રોજેક્ટ્સ પર કામ કરી રહ્યું છે. બગલિહાર અને સલાલ જેવા પ્રોજેક્ટ્સના વિસ્તરણ પર કામ કરવાની સાથે ભારત સિંધુ, ચિનાબ અને રાવી નદીઓનો પ્રવાહ પણ વાળી રહ્યું છે, જેનાથી જળ સંસાધનો પર ભારતનું વર્ચસ્વ સ્થાપિત થઈ જશે.

