Mozambique Boat Accident: મોઝામ્બિકમાં બોટ પલટી જતા 3 ભારતીયોનાં મોત, 5નો બચાવ, 5 હજી ગુમ

Mozambique Boat Accident: મોઝામ્બિકના બીરા બંદર નજીક શુક્રવારે એક બોટ પલટી ગઈ હતી. આ બોટમાં 14 ભારતીય ખલાસીઓ સવાર હતા, જે એક ટેન્કર પર ક્રૂ બદલવા માટે જઈ રહ્યા હતા. અકસ્માતનું કારણ હજુ સ્પષ્ટ નથી, પરંતુ તપાસ શરૂ કરી દેવાઈ છે.
ભારતીય હાઈ કમિશને જણાવ્યું હતું કે બોટ પલટી ગયા બાદ પાંચ ખલાસીઓને સુરક્ષિત રીતે બચાવી લેવામાં આવ્યા હતા. તેમાંથી એકની હાલત ગંભીર છે અને તેને બીરાની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. બાકીના નવમાંથી ત્રણના મોત થયા છે અને પાંચ હજુ પણ ગુમ છે. કોન્સ્યુલર અધિકારીઓ હોસ્પિટલમાં હાજર છે અને પીડિતોને શક્ય તમામ સહાય પૂરી પાડી રહ્યા છે. હાઈ કમિશને જણાવ્યું હતું કે તેઓ મૃતકોના પરિવારો સાથે સતત સંપર્કમાં છે અને તાત્કાલિક જાણ કરવામાં આવી રહી છે.
ભારતીય ખલાસીઓ કોણ હતા?
અહેવાલો અનુસાર, આ બોટ ભારતીય ક્રૂ મેમ્બરોને લઈને ટેન્કર સુધી લઈ જઈ રહી હતી. આ ક્રૂ મેમ્બરો લાંબા સમયથી દરિયાઈ મુસાફરીમાં કામ કરી રહ્યા હતા, અને મોટાભાગનાને દરિયાઈ ક્રૂ તરીકેનો અનુભવ હતો. હાઈ કમિશને જણાવ્યું હતું કે મૃતકો અને ગુમ થયેલા ખલાસીઓની ઓળખ કરવાની પ્રક્રિયા ચાલુ છે.
શોધ અને બચાવ ચાલુ
સ્થાનિક અધિકારીઓ અને દરિયાઈ એજન્સીઓ સાથે ભારતીય મિશન મળીને ગુમ થયેલા ખલાસીઓની શોધખોળ કરી રહ્યું છે. હાઈ કમિશને ઇમરજન્સી નંબરો જાહેર કર્યા છે જેથી પરિવાર અને અન્ય લોકો પરિસ્થિતિ અંગે અપડેટ મેળવી શકે.
બોટ પલટી ગયા પછી ભારે પવન અને દરિયાઈ મોજાને કારણે બચાવ કામગીરી મુશ્કેલ બની ગઈ છે. તેમ છતાં, શોધખોળ ચાલુ છે, અને સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય એજન્સીઓ પ્રયાસોનું સંકલન કરી રહી છે.

