VIDEO: થરાદ કેનાલ હત્યાકાંડનો ભેદ ઉકેલાયો, RTI કાર્યકર રસિક પરમારની 20 લાખની સોપારી લઈ હત્યાનો ખુલાસો
VIDEO: વાવ-થરાદ જિલ્લાની મેઈન નર્મદા કેનાલમાંથી મળેલા અજાણ્યા યુવકના મૃતદેહનો આખરે ભેદ ઉકેલાઈ ગયો છે. પોલીસ તપાસમાં ખુલ્યું કે મૃતક યુવક અમદાવાદના આરટીઆઈ કાર્યકર રસિક પરમાર હોવાનું સામે આવ્યું છે. તેઓની આત્મહત્યા નહીં પરંતુ સોપારી આપી કરપીણ હત્યા કરી હોવાનો ચકચારી ખુલાસો થયો છે.
મળતી માહિતી અનુસાર, વાવ-થરાદ જિલ્લાની નર્મદા કેનાલમાંથી મૃતદેહ બહાર કાઢ્યા બાદ ગળાના ભાગે કાપા હોવાને કારણે પોલીસે હત્યાની શંકા વ્યક્ત કરી હતી. તપાસ દરમિયાન જાણવા મળ્યું કે અમદાવાદના એક વ્યકિત કમલેશ સોલંકી દ્વારા રૂ. 20 લાખની સોપારી આપી રસિકભાઈની હત્યા કરાવાઈ હતી.રસિકભાઈએ સરકારી આવાસ યોજનામાં થયેલા ભ્રષ્ટાચાર સામે આરટીઆઈ દાખલ કરી આરોપીઓનો પર્દાફાશ કર્યો હતો.
જેના પગલે આરોપીઓ અને તેના સાથીઓએ આગોતરું કાવતરું રચી રસિકભાઈને રિક્ષામાં બેસાડી ગળે ટૂંપો આપી હત્યા કરી અને પછી તેમનો મોબાઈલ ફેંકી મૃતદેહ કેનાલમાં ફેંકી દીધો હતો.પોલીસે આઠ જેટલી ટીમો બનાવી તપાસ હાથ ધરતા સમગ્ર મામલે ભાંડો ફૂટ્યો. અત્યાર સુધીમાં ત્રણ આરોપીઓને ઝડપીને કોર્ટમાં રજૂ કરવાની કાર્યવાહી હાથ ધરી છે. મુખ્ય આરોપી બિલ્ડર રાજુ કરાટે અને કમલેશ સોલંકી હજુ ફરાર છે. તેઓને પકડવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે.

