વર્લ્ડ ચેમ્પિયન ઈન્ડિયા: ત્રણવાર ટી20 વર્લ્ડકપ જીતનારો એકમાત્ર દેશ બન્યું ભારત, PM મોદીએ ટીમ વર્કને બિરદાવ્યું

T20 વર્લ્ડકપની ફાઈનલ મેચમાં ન્યૂઝીલેન્ડને હરાવી ભારતે ઈતિહાસ રચ્યો છે. ટીમ ઈન્ડિયા ત્રીજી વખત વિશ્વ વિજેતા બનનાર એકમાત્ર ટીમ બની છે. આ જીત બદલ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટીમ ઈન્ડિયાને અભિનંદન પાઠવ્યા છે. તેમણે ચેમ્પિયન બનવા બદલ ભારતીય ટીમને ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા છે. તેમણે એમ પણ કહ્યું છે કે, આ જીતથી ભારતીયનું હૃદય ગૌરવ અને આનંદથી ભરાઈ ગયું છે.
શાબાશ, ટીમ ઈન્ડિયા! : ભારતીય ટીમને PM મોદીના અભિનંદન
વડાપ્રધાન મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર ટ્વિટ કરીને લખ્યું છે કે, ‘આઈસીસી મેન્સ ટી20 વર્લ્ડ કપ જીતવા બદલ ભારતીય ટીમને ખૂબ ખૂબ અભિનંદન! આ નોંધપાત્ર વિજય અસાધારણ કૌશલ્ય, નિશ્ચય અને ટીમ વર્કનું પ્રતિબિંબ છે. તેઓએ સમગ્ર ટૂર્નામેન્ટ દરમિયાન ઉત્કૃષ્ટ મનોબળ બતાવ્યું છે. આ જીતથી દરેક ભારતીયનું હૃદય ગૌરવ અને આનંદથી ભરાઈ ગયું છે. શાબાશ, ટીમ ઈન્ડિયા!’
ભારતીય ટીમ ત્રણ વખત વિશ્વ વિજેતા બનનારી એકમાત્ર ટીમ
ઉલ્લેખનીય છે કે, અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાયેલી ટી20 વર્લ્ડકપની ફાઈનલ મેચમાં ભારતે ન્યૂઝીલેન્ડને હરાવી ચેમ્પિયન બન્યું છે. આ સાથે ભારતીય ટીમ ત્રણ વખત વિશ્વ વિજેતા બનનારી એકમાત્ર ટીમ પણ બની ગઈ છે. આજની મેચમાં ભારતે નિર્ધારીત 20 ઓવરમાં પાંચ વિકેટે 255 રન નોંધાવ્યા હતા, જેના જવાબમાં ન્યૂઝીલેન્ડની ટીમ માત્ર 159 રનમાં ઓલઆઉટ થઈ ગઈ છે
ફાઈનલમાં મોટો સ્કોર નોંધાવી ભારતે ઈતિહાસ રચ્યો
ભારત તરફથી સંજૂ સેમસને 46 બોલમાં પાંચ ફોર અને આઠ સિક્સ ફટકારી 89 રન નોંધાવીને મોટું યોગદાન આપ્યું હતું, તો અભિષેક શર્માએ પણ 21 બોલમાં છ ફોર અને ત્રણ સિક્સ સાથે 52 રન નોંધાવતા ટીમ મજબૂત સ્થિતિ પર પહોંચી શક્યું હતું, ત્યારબાદ ઈશાન કિશને પણ 25 બોલમાં ચાર ફોર અને ચાર સિક્સ ફટકારી 54 રન ફટકાર્યા હતા. આ ત્રણે બેટરોના કારણે ટીમ ઈન્ડિયા ટી20 વર્લ્ડકપની ફાઈનલ મેચમાં સૌથી મોટો સ્કોર નોંધાવી ઈતિહાસ રચ્યો છે.

