શું ICC સંજુ સેમસન સામે કરી શકે છે મોટી કાર્યવાહી? જાણો એવું શું થયું જેને લઈને ચાલી રહી છે ચર્ચા

ICC મેન્સ T20 વર્લ્ડ કપ 2026ની સુપર-8 મેચમાં ભારતે વેસ્ટ ઈન્ડિઝને હરાવીને સેમીફાઈનલમાં પ્રવેશ કર્યો છે. જોકે, આ જીત બાદ માત્ર સ્કોરલાઈન વિશે જ નહીં, પરંતુ એક સેલિબ્રેશન વિશે પણ ચર્ચા થઈ રહી છે. 1 માર્ચે ઈડન ગાર્ડન્સ ખાતે રમાયેલી મેચમાં ટીમ ઈન્ડિયાને જીતવા માટે અંતિમ ઓવર્સમાં મોટા શોટ્સની જરૂર હતી અને સંજુ સેમસન એ જવાબદારી નિભાવી. દબાણથી ભરેલી મેચમાં સંજુ સેમસનએ શાનદાર 97* રન બનાવ્યા, જેનાથી ટીમ ઈન્ડિયા મેચ જીતી ગઈ
દબાણ હેઠળ શાનદાર ઈનિંગ રમી
સંજુએ મુશ્કેલ પરિસ્થિતિઓમાં પણ સંયમ સાથે બેટિંગ કરીને અણનમ 97 રન બનાવ્યા અને ટીમને જીત તરફ દોરીને પવેલિયન પરત ફર્યો. આ ઈનિંગ માત્ર આંકડાકીય રીતે મોટી જ નહતી, પરંતુ મેચના સંદર્ભમાં પણ મહત્ત્વપૂર્ણ હતી. અંતિમ રન બનાવ્યા પછી સંજુએ પોતાનું હેલ્મેટ ઉતાર્યું, હવામાં ફેંક્યું અને ભગવાનનો આભાર માનવા લાગ્યો. મેદાન પર હાજર દર્શકોએ આ ક્ષણનું ખૂબ જ ઉત્સાહથી સ્વાગત કર્યું, પરંતુ હવે આ પ્રતિક્રિયા પર પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે.
શું સંજુ ICCના નિયમોમાં ફસાઈ શકે છે?
ક્રિકેટના નિયમો મુજબ મેદાન પર આ રીતે બેટ કે હેલ્મેટ ફેંકવું એ રમતની ભાવના વિરુદ્ધ માનવામાં આવી શકે છે. ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC) ખેલાડીઓના મેદાન પરના વર્તન અંગે કડક માર્ગદર્શિકા આપે છે. જો કોઈ ખેલાડીની ઉજવણી 'અયોગ્ય વર્તન' ની શ્રેણીમાં આવે છે, તો તેને મેચ ફીનો દંડ ફટકારવામાં આવી શકે છે અથવા ડિમેરિટ પોઈન્ટ આપી શકાય છે.
પહેલા પણ બન્યો છે આવો મામલો
આ પહેલીવાર નથી જ્યારે કોઈ ભારતીય ખેલાડીની ઉજવણી તપાસ હેઠળ આવી હોય. લખનૌ સુપર જાયન્ટ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ વચ્ચેની IPL મેચમાં LSGના આવેશ ખાને મેચ જીત્યા પછી પોતાનું હેલ્મેટ જમીન પર ફેંકી દીધું હતું, જેના માટે તેને સત્તાવાર રીતે ચેતવણી આપવામાં આવી હતી.
હવે સેમીફાઈનલ પર નજર
હાલમાં આ મામલે કોઈ સત્તાવાર પ્રતિક્રિયા જારી નથી કરવામાં આવી, પરંતુ ટીમ ઈન્ડિયા માટે રાહતની વાત એ છે કે આ જીત તેને સેમીફાઈનલમાં લઈ ગઈ છે. જેમાં 5 માર્ચે ટીમ મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં ઈંગ્લેન્ડ સાથે ટકરાશે.

