ROKOના ફેન્સ માટે ગુડ ન્યૂઝ! આ દિવસે ઈન્ટરનેશનલ ક્રિકેટમાં વાપસી કરશે બંને દિગ્ગજો; BCCIએ જાહેર કર્યું શેડ્યૂલ

ભારતીય ટીમ હાલમાં T20 વર્લ્ડ કપ રમવામાં વ્યસ્ત છે, જેમાં ટીમ સેમીફાઈનલમાં પહોંચી ગઈ છે. આ દરમિયાન ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) એ સોમવારે (2 માર્ચ) અફઘાનિસ્તાનના ભારત પ્રવાસનું શેડ્યૂલ જાહેર કર્યું છે. અફઘાનિસ્તાનની ટીમ યજમાન ભારત સામે એક ટેસ્ટ અને ત્રણ ODI મેચ રમશે.
એકમાત્ર ટેસ્ટ મેચ 6 જૂને ન્યુ ચંદીગઢ (મુલ્લાનપુર) માં શરૂ થશે. ત્યારબાદ 14, 17 અને 20 જૂને ત્રણ ODI મેચ રમાશે. પહેલી ODI ધર્મશાળાલામાં, બીજી લખનૌમાં અને ત્રીજી ચેન્નાઈમાં રમાશે. નોંધનીય છે કે આ પ્રવાસમાં કોઈ T20I મેચનો સમાવેશ નથી થતો, કારણ કે આ સિરીઝ વર્લ્ડ કપના થોડા મહિના પછી જ યોજાવાની છે.
2027ના ODI વર્લ્ડ કપને ધ્યાનમાં રાખીને, આ ત્રણ મેચ ભારતીય ટીમ માટે પ્રયોગ કરવા અને સંતુલન શોધવાની એક શ્રેષ્ઠ તક હશે. ટીમ મેનેજમેન્ટ બેટિંગ ઓર્ડર, ઓલરાઉન્ડ ઓપ્શન અને બોલિંગ કોમ્બિનેશનને અંતિમ સ્વરૂપ આપવા માટે કામ કરશે. આ સિરીઝમાં અનુભવી બેટ્સમેન વિરાટ કોહલી અને રોહિત શર્મા પણ રમશે તેવી શક્યતા છે. રોહિત અને કોહલી 2027ના વર્લ્ડ કપ પહેલા પોતાની લય અને ફિટનેસ જાળવી રાખવાનો પ્રયાસ કરશે.
અફઘાનિસ્તાનનો ભારત પ્રવાસનું શેડ્યૂલ
- ટેસ્ટ મેચ: 6 જૂન, ન્યુ ચંદીગઢ, સવારે 9:30
- પ્રથમ ODI: 14 જૂન, ધર્મશાલા, બપોરે 1:30
- બીજી ODI: 17 જૂન, લખનૌ, બપોરે 1:30
- ત્રીજી ODI: 20 જૂન, ચેન્નાઈ, બપોરે 1:30
ટીમ ઈન્ડિયા હાલમાં ICC મેન્સ T20 વર્લ્ડ કપ 2026માં વ્યસ્ત છે. કોલકાતાના ઈડન ગાર્ડન્સ ખાતે રમાયેલી સુપર-8ની છેલ્લી મેચમાં ભારતે વેસ્ટ ઈન્ડિઝને પાંચ વિકેટથી હરાવીને સેમીફાઈનલમાં પ્રવેશ કર્યો. સંજુ સેમસને 50 બોલમાં અણનમ 97 રનની મેચવિનિંગ ઈનિંગ રમી. ભારતે 19.2 ઓવરમાં 196 રનનો ટાર્ગેટ ચેઝ કર્યો હતો..
અફઘાનિસ્તાન સામેની આગામી સિરીઝ ભારતીય ક્રિકેટ ટીમ માટે મહત્ત્વપૂર્ણ રહેશે. જ્યારે T20નો હાલનો ઉત્સાહ સ્પષ્ટ છે, ત્યારે ભવિષ્યના ODI લક્ષ્યો માટે નક્કર તૈયારીઓ પણ શરૂ થઈ ગઈ છે. ભારતીય ટીમ વર્તમાન જીત અને ભવિષ્યની તૈયારીઓ બંનેને કેવી રીતે સંતુલિત કરે છે તે જોવું રસપ્રદ રહેશે.

