રવિ શાસ્ત્રીને મળશે મોટું સન્માન, આ ઐતિહાસિક સ્ટેડિયમમાં તેના નામ પર રાખવામાં આવશે સ્ટેન્ડ

ભારતીય ટીમના પૂર્વ ખેલાડી અને પૂર્વ હેડ કોચ રવિ શાસ્ત્રીને એક મોટું સન્માન મળવા જઈ રહ્યું છે. મુંબઈ ક્રિકેટ એસોસિએશને જાહેરાત કરી છે કે ઐતિહાસિક વાનખેડે સ્ટેડિયમમાં એક સ્ટેન્ડનું નામ રવિ શાસ્ત્રીના નામ પર રાખવામાં આવશે. 27 ફેબ્રુઆરી, 2026ના રોજ યોજાયેલી એપેક્સ કાઉન્સિલની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો. આ જ બેઠકમાં વાનખેડે સ્ટેડિયમના ત્રણ ગેટના નામ દિલીપ સરદેસાઈ, એકનાથ સોલકર અને ડાયના એડુલજીના નામ પર રાખવાનો નિર્ણય પણ લેવામાં આવ્યો હતો.
શાસ્ત્રીના યોગદાનનું સન્માન
MCAએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, "આ મુંબઈ અને ભારતીય ક્રિકેટમાં એક ખેલાડી અને કોચ બંને તરીકે તેમના ઉત્કૃષ્ટ યોગદાનને માન્યતા આપવા માટે છે. આ દિગ્ગજોએ મુંબઈના સમૃદ્ધ ક્રિકેટ વારસાને મજબૂત બનાવવામાં મુખ્ય ભૂમિકા ભજવી છે અને ઉચ્ચ સ્તરે ભારતીય ક્રિકેટમાં મહત્ત્વપૂર્ણ યોગદાન આપ્યું છે. આ પહેલનો ઉદ્દેશ્ય તેમની સિદ્ધિઓને હંમેશા યાદ રાખવાનો અને સ્ટેડિયમની મુલાકાત લેનારા ક્રિકેટર્સ અને ફેન્સની ભાવિ પેઢીઓને પ્રેરણા આપવાનો છે.
રવિ શાસ્ત્રી 1983ની વર્લ્ડ કપ વિજેતા ટીમનો ભાગ હતો અને ભારત અને મુંબઈ માટે એક તેજસ્વી ઓલરાઉન્ડર તરીકે જાણીતો હતો. બાદમાં તેણે ટીમ ઈન્ડિયાને યાદગાર જીત અપાવી, ખાસ કરીને વિદેશમાં ટેસ્ટ મેચોમાં. તેણે 'મેન ઈન બ્લુ' ના હેડ કોચ તરીકે પણ ખૂબ જ સારું પ્રદર્શન કર્યું છે અને તે એક લોકપ્રિય અંગ્રેજી ક્રિકેટ કોમેન્ટેટર પણ છે.
આ નિર્ણય શા માટે લેવામાં આવ્યો?
આ નિર્ણય પર બોલતા MCA પ્રમુખ અજિંક્ય નાઈકે કહ્યું, "મુંબઈ ક્રિકેટ દિગ્ગજો દ્વારા નાખેલા પાયા પર બનેલું છે. શહેર અને દેશને ગૌરવ અપાવનારાઓનું સન્માન કરવું અમારી જવાબદારી છે." પ્રેસ બોક્સ નીચે લેવલ 1 સ્ટેન્ડનું નામ રવિ શાસ્ત્રીના નામ પર રાખવાનો પ્રસ્તાવ ખેલાડી, નેતા અને કોચ તરીકેના તેના અપાર યોગદાનનું સન્માન છે.
આ ત્રણ દિગ્ગજોના નામ પર ગેટ
તેણે વધુમાં કહ્યું, "વાનખેડે સ્ટેડિયમના દરવાજા દિલીપ સરદેસાઈ, એકનાથ સોલકર અને ડાયના એડુલજીને સમર્પિત કરવાથી ખાતરી થાય છે કે સ્ટેડિયમની મુલાકાત લેનાર દરેક ફેનને તે દિગ્ગજોની યાદ આવે જેમણે ભવ્ય ક્રિકેટ વારસો બનાવ્યો હતો." તમને જણાવી દઈએ કે ગયા વર્ષે MCAએ રોહિત શર્મા, અજિત વાડેકર અને ભૂતપૂર્વ BCCI પ્રમુખ શરદ પવારના નામ પર સ્ટેન્ડનું નામકરણ કર્યું હતું.

