IND vs ZIM / ઝિમ્બાબ્વે સામે શાનદાર જીત છતાં ખુશ નથી કેપ્ટન સૂર્યા! ટીમની સૌથી મોટી ભૂલનો કર્યો ખુલાસો

ટીમ ઈન્ડિયાએ T20 વર્લ્ડ કપ 2026માં ઝિમ્બાબ્વે સામે 72 રનથી શાનદાર જીત નોંધાવી હતી. ચેન્નાઈમાં બેટ્સમેનોએ મેચ પર પ્રભુત્વ જમાવ્યું હતું. પહેલા ભારતીય ટીમે 256 રન બનાવ્યા હતા અને પછી ઝિમ્બાબ્વેના ખેલાડીઓએ પણ રનોનો વરસાદ કર્યો હતો. જોકે, ભારતે મોટા માર્જિનથી જીત મેળવી હતી. આમ છતાં, કેપ્ટન સૂર્યકુમાર યાદવ નાખુશ દેખાતો હતો. મેચ પછી તેણે ટીમ ઈન્ડિયાની સૌથી મોટી ભૂલ વિશે ખુલાસો કર્યો હતો અને આગામી મેચમાં તેના પર કામ કરવાનું વચન આપ્યું હતું.
જીત છતાં કેપ્ટન સૂર્યા કેમ ખુશ નથી?
ભારતની જીત પછી કેપ્ટન સૂર્યકુમાર યાદવે પોસ્ટ મેચ પ્રેઝન્ટેશનમાં હાજરી આપી હતી. જેમાં તેણે બેટિંગ ઓર્ડરની પ્રશંસા કરી હતી, પરંતુ બોલિંગથી સંતુષ્ટ નહતો. તેને લાગ્યું કે ભારતીય બોલર્સ થોડા નિષ્ફળ રહ્યા હતા. તેણે કહ્યું, "ટોપ ઓર્ડરથી લઈને નંબર 7 સુધી અમારા પ્રદર્શનમાં ભાગ્યે જ કોઈ ખામી હતી. પ્રમાણિકપણે, અમે બોલિંગમાં થોડા સારા થઈ શક્યા હોત. આખરે જીત જ મહત્ત્વની છે અને હવે અમારું ધ્યાન આગામી મેચો પર છે."
સૂર્યાએ વધુમાં કહ્યું, "વેસ્ટ ઈન્ડિઝ સામેની મેચ પહેલા અમે બધું સુધારવાનો પ્રયાસ કરીશું. હું ઝિમ્બાબ્વેના બેટ્સમેનોનો શ્રેય નથી છીનવવા માંગતો. તેઓએ શાનદાર બેટિંગ કરી. બોલિંગની દૃષ્ટિએ અમે નિર્ણાયક ક્ષણોમાં થોડા વધુ હોશિયાર બની શક્યા હોત. આવી પરિસ્થિતિઓમાં તમારે તમારા નિર્ણયો સાથે વધુ હિંમતવાન બનવું પડે છે."
વેસ્ટ ઈન્ડિઝ સામેની મેચ ભાગ્ય નક્કી કરશે
26 ફેબ્રુઆરી, 2026ના રોજ સાઉથ આફ્રિકાએ વેસ્ટ ઈન્ડિઝને કારમી હાર આપી, જ્યારે ટીમ ઈન્ડિયા ઝિમ્બાબ્વે સામે જીતી ગઈ. સાઉથ આફ્રિકા સામે કારમી હારનો સામનો કર્યા બાદ વેસ્ટ ઈન્ડિઝ અને ભારત હવે 1-1 જીત સાથે બરાબર છે. બંને ટીમો વચ્ચેની મેચ 1 માર્ચે યોજાશે. જેમાં જીતનારી ટીમ T20 વર્લ્ડ કપ 2026ની સેમીફાઈનલ માટે ક્વોલિફાય થશે.

