IPL 2026 / શું જયપુરમાં નહીં રમાય RRની મેચ? પુણે અંગે ચર્ચાઓ વચ્ચે રાજ્ય બોર્ડે BCCI સમક્ષ કરી આ માંગ

ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2026 માટે રાજસ્થાન રોયલ્સ (RR) ના હોમ વેન્યુ અંગેનો સસ્પેન્સ સતત વધી રહ્યો છે. આ દરમિયાન રાજસ્થાન ક્રિકેટ એસોસિએશન (RCA) એ ઔપચારિક રીતે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) નો સંપર્ક કર્યો છે અને માંગ કરી છે કે જયપુરનું સવાઈ માનસિંહ સ્ટેડિયમ રાજસ્થાન રોયલ્સનું હોમ ગ્રાઉન્ડ રહે. ફ્રેન્ચાઈઝી તેની કેટલીક હોમ મેચ પુણે ખસેડવાનું વિચારી રહી હોવાના અહેવાલો બહાર આવ્યા બાદ આ પગલું લેવામાં આવ્યું છે.
RCAનો BCCIને પત્ર
રાજ્ય સરકાર દ્વારા નિયુક્ત એડહોક કમિટીના અધ્યક્ષ ડીડી કુમાવતના નેતૃત્વમાં RCAએ BCCI અને IPL અધિકારીઓને એક વિગતવાર પત્ર મોકલ્યો છે. તેમાં કહેવામાં આવ્યું છે કે એસોસિએશન તમામ સંબંધિત પક્ષો સાથે વાતચીત દ્વારા આ મામલાનો ઉકેલ લાવવા માંગે છે. RCAએ ખાતરી આપી છે કે તે પારદર્શિતા અને સહયોગ સાથે તમામ મુદ્દાઓનું નિરાકરણ લાવવા માટે તૈયાર છે.
સુરક્ષા અને માળખાગત સુવિધા
RCAએ BCCI અને રાજસ્થાન રોયલ્સને ખાતરી આપી છે કે IPL 2026 પહેલા સવાઈ માનસિંહ સ્ટેડિયમમાં તમામ સલામતી, માળખાકીય અને માળખાગત ધોરણોનું સંપૂર્ણ પાલન કરવામાં આવશે. એસોસિએશને સ્પષ્ટપણે જણાવ્યું હતું કે તૈયારીઓ BCCI પ્રોટોકોલ, સરકારી નિયમો અને આંતરરાષ્ટ્રીય ધોરણો અનુસાર કરવામાં આવશે, જેથી દર્શકો અને ખેલાડીઓની સલામતી સાથે કોઈ ચેડા ન થાય.
પુણેના અહેવાલો સામે વાંધો
પુણેમાં મેચો યોજાઈ રહી હોવાના અહેવાલોના જવાબમાં, RCAએ જણાવ્યું હતું કે તેને જયપુર સ્ટેડિયમના કોઈપણ મૂલ્યાંકનની જાણ કરવામાં નહતી આવી કે તે કોઈપણ સ્વતંત્ર નિરીક્ષણ પ્રક્રિયાનો ભાગ નહતું. RCAનું કહેવું છે કે સરકારી માલિકીના સ્ટેડિયમનું મૂલ્યાંકન સ્થાપિત નિયમનકારી પ્રક્રિયાઓ અનુસાર અને સંબંધિત સરકારી એજન્સીઓ સાથે સંકલનમાં થવું જોઈએ.
સવાઈ માનસિંહ સ્ટેડિયમનો બચાવ
RCAએ સવાઈ માનસિંહ સ્ટેડિયમની સ્થિતિનો મજબૂત રીતે બચાવ કર્યો અને કહ્યું કે મેદાન માળખાકીય રીતે સલામત અને કાર્યરત રીતે સક્ષમ છે. એસોસિએશને યાદ અપાવ્યું હતું કે સ્ટેડિયમ વર્ષોથી કોઈપણ મોટી સુરક્ષા સમસ્યાઓ વિના IPL, ઘરેલુ અને આંતરરાષ્ટ્રીય મેચોનું આયોજન કરે છે.
વિજય હજારે ટ્રોફીનું ઉદાહરણ
પોતાના દાવાને મજબૂત બનાવવા માટે RCAએ રાજસ્થાનમાં ચાલી રહેલી વિજય હજારે ટ્રોફીનો ઉલ્લેખ કર્યો, જ્યાં જયપુર સહિત અનેક સ્થળોએ મોટી ભીડ હોવા છતાં કોઈ ઘટના નહતી બની. RCAના મતે, આ સાબિત કરે છે કે જયપુર એક મોટી ટુર્નામેન્ટનું આયોજન કરવા માટે સંપૂર્ણપણે તૈયાર છે.
જયપુર અને RRનો સંબંધ
પત્રમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે જયપુર લાંબા સમયથી રાજસ્થાન રોયલ્સનું પરંપરાગત હોમ ગ્રાઉન્ડ રહ્યું છે અને અહીંના ફેન્સે હંમેશા ટીમને જબરદસ્ત સમર્થન આપ્યું છે. આના આધારે RCAએ BCCIને IPL 2026માં રાજસ્થાન રોયલ્સની હોમ મેચ જયપુરમાં ફાળવવા વિનંતી કરી છે.

