T20 વર્લ્ડ કપમાંથી બહાર થયા બાદ હરમનપ્રીત કૌર પાસેથી છીનવાઈ જશે કેપ્ટનસી? હેડ કોચે આપ્યો જવાબ

ICC મહિલા T20 વર્લ્ડ કપ 2026માં હરમનપ્રીત કૌરની આગેવાની હેઠળની ટીમ ઈન્ડિયાની સફર ગ્રુપ સ્ટેજમાં જ સમાપ્ત થઈ ગઈ. રવિવારે લોર્ડ્સમાં ઓસ્ટ્રેલિયા સામે ભારતનો 6 વિકેટથી પરાજય થયો, જેના કારણે સેમીફાઈનલમાં પહોંચવાની તેની આશાઓ ખતમ થઈ ગઈ. સતત બીજા T20 વર્લ્ડ કપમાં ગ્રુપ સ્ટેજમાંથી બહાર થયા બાદ, હરમનપ્રીતની કેપ્ટનશિપ પર પ્રશ્નો ઉભા થયા છે.
દરેકના મનમાં પ્રશ્ન એ છે કે શું T20 વર્લ્ડ કપમાં ખરાબ પ્રદર્શન બાદ હરમનપ્રીત પાસેથી કેપ્ટનશિપ છીનવાઈ જશે. ઓસ્ટ્રેલિયા સામેની હાર બાદ ભારતીય મહિલા ટીમના હેડ કોચ અમોલ મઝુમદારને પણ આ મુદ્દે પ્રશ્ન કરવામાં આવ્યો હતો, જેનો તેણે સીધો અને સ્પષ્ટ જવાબ આપ્યો છે.
હરમનપ્રીત કૌરની કેપ્ટનશીપ વિશે અમોલ મઝુમદારે શું કહ્યું?
ઓસ્ટ્રેલિયા સામેની મેચ પછી પ્રેસ કોન્ફરન્સમાં ભારતીય કોચ અમોલ મઝુમદારને પૂછવામાં આવ્યું હતું કે, "શું તમને લાગે છે કે હરમનપ્રીત કૌર કેપ્ટન તરીકે ચાલુ રહેશે?" આ પ્રશ્નનો જવાબ આપતાં, મઝુમદારે ખુલીને હરમનપ્રીતને ટેકો આપ્યો અને સ્પષ્ટપણે કહ્યું કે તેમના મતે, તેણે ભારતીય મહિલા ટીમની કેપ્ટનશિપ ચાલુ રાખવી જોઈએ..
મઝુમદારે કહ્યું, "કેપ્ટન કોણ રહેશે તે નિર્ણય પસંદગીકારોનો છે. પરંતુ જો મારો વ્યક્તિગત અભિપ્રાય પૂછવામાં આવે તો, મારો જવાબ 'હા' છે. હું ઇચ્છું છું કે હરમનપ્રીત કૌર ભારતીય મહિલા ટીમની કેપ્ટનશિપ ચાલુ રાખે." જોકે, તેણે એ પણ સ્વીકાર્યું કે ભારતની બોલિંગ અને ફિલ્ડિંગમાં આગળ જતાં સુધારાની જરૂર છે.
T20 વર્લ્ડ કપ 2026માં હરમનપ્રીતનું પ્રદર્શન કેવું રહ્યું?
T20 વર્લ્ડ કપ 2026માં હરમનપ્રીત કૌરનું બેટિંગ પ્રદર્શન મિશ્ર રહ્યું. તેણે ટુર્નામેન્ટમાં પાંચ મેચોની પાંચ ઈનિંગ્સમાં 141 રન બનાવ્યા. આ સમયગાળા દરમિયાન, તેની એવરેજ 35.25 રહી અને તેનો સ્ટ્રાઇક રેટ 131.77 રહ્યો. જોકે, તેણે સમગ્ર ટુર્નામેન્ટમાં ફક્ત એક જ અડધી સદી ફટકારી હતી. તેનો સર્વોચ્ચ સ્કોર 56 હતો, જે તેણે ઓસ્ટ્રેલિયા સામેની અંતિમ ગ્રુપ સ્ટેજ મેચમાં બનાવ્યો હતો.
ગ્રુપ સ્ટેજમાં ત્રણ જીત છતાં, ભારત સેમીફાઈનલ માટે ક્વોલિફાય કરવામાં નિષ્ફળ ગયું
T20 વર્લ્ડ કપ 2026 માં, ભારતીય ટીમને ગ્રુપ A માં રાખવામાં આવી હતી. ટીમે પાકિસ્તાન સામે 64 રનની શાનદાર જીત સાથે તેના અભિયાનની શરૂઆત કરી હતી. ત્યારબાદ, ભારતીય ટીમે નેધરલેન્ડ્સને 95 રનથી હરાવીને સતત બીજી જીત નોંધાવી હતી. જોકે, ત્રીજી મેચમાં સાઉથ આફ્રિકા સામેની હારથી ટીમ માટે મુશ્કેલીઓ વધી ગઈ હતી. ત્યારબાદ ભારતે બાંગ્લાદેશને પાંચ વિકેટથી હરાવ્યું હતું, પરંતુ ઓસ્ટ્રેલિયા સામેની અંતિમ ગ્રુપ મેચમાં છ વિકેટથી મળેલી હાર મોંઘી સાબિત થઈ હતી.
પાંચ ગ્રુપ સ્ટેજ મેચમાં ભારતીય ટીમે ત્રણ જીત મેળવી હતી અને બે હારનો સામનો કરવો પડ્યો હતો. 6 પોઈન્ટ સાથે, ટીમ પોઈન્ટ્સ ટેબલમાં ત્રીજા સ્થાને રહી હતી, જેના કારણે તે સતત બીજી વખત મહિલા T20 વર્લ્ડ કપના ગ્રુપ સ્ટેજમાંથી બહાર થઈ ગઈ હતી.

