બાંગ્લાદેશી ખેલાડીના IPL 2026માં રમવા પર લાગશે પ્રતિબંધ? BCCIએ કર્યો મોટો ખુલાસો

ભારત અને બાંગ્લાદેશ વચ્ચે બગડતા રાજદ્વારી સંબંધો છતાં ફાસ્ટ બોલર મુસ્તાફિઝુર રહેમાનની ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2026માં કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) માટે રમવાની સંભાવના યથાવત છે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) એ હાલમાં બાંગ્લાદેશી ખેલાડીઓ પર પ્રતિબંધ લગાવવાનો ઈનકાર કરતાં 'વેઈટ એન્ડ વોચ' ની નીતિ અપનાવી છે અને આ મામલે સરકારના નિર્દેશોની રાહ જોઈ રહ્યું છે.
9.20 કરોડમાં ખરીદાયો છે મુસ્તાફિઝુર
IPL 2026ના મિની-ઓક્શનમાં વેચાનારા મુસ્તાફિઝુર રહેમાન એકમાત્ર બાંગ્લાદેશી ખેલાડી હતો. તેને કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) એ 9.20 કરોડ રૂપિયાની મોટી રકમમાં ખરીદ્યો હતો. જોકે, આ ખરીદી બાદ KKRને સોશિયલ મીડિયા પર આકરી ટીકાનો સામનો કરવો પડી રહ્યો છે. ફેન્સ અને કેટલાક રાજકીય નેતાઓએ બાંગ્લાદેશમાં પ્રવર્તમાન રાજકીય અસ્થિરતા અને ભારત વિરોધી ભાવનાઓને કારણે બાંગ્લાદેશી ખેલાડીઓના IPLમાં રમવા પર સવાલ ઉઠાવ્યા છે.
BCCIનું સ્પષ્ટ વલણ
BCCIએ સ્પષ્ટ કર્યું છે કે તે ભારત સરકારના આદેશ વિના બાંગ્લાદેશી ખેલાડીઓ પર કોઈ પ્રતિબંધ નહીં લગાવે. BCCIના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે, "સ્થિતિ સંવેદનશીલ છે. અમે સતત સરકારના સંપર્કમાં છીએ. હાલમાં એવું કંઈ નથી કે જેનાથી બાંગ્લાદેશી ખેલાડીઓ પર પ્રતિબંધ લગાવવામાં આવે. મુસ્તાફિઝુર IPL રમશે. બાંગ્લાદેશ કોઈ દુશ્મન દેશ નથી."
ઉલ્લેખનીય છે કે ગયા વર્ષે ઓગસ્ટ 2024માં શેખ હસીનાની સરકાર પડ્યા બાદ બાંગ્લાદેશમાં રાજકીય અસ્થિરતા વધી છે. ડિસેમ્બરમાં ઢાકામાં ભારતીય દૂતાવાસની બહાર થયેલા વિરોધ પ્રદર્શનો બાદ ભારતે પોતાનું વિઝા સેન્ટર બંધ કરી દીધું હતું, જેના જવાબમાં બાંગ્લાદેશે પણ ભારતીય નાગરિકોને વિઝા આપવાનું બંધ કરી દીધું હતું.
NOC અને વિઝાની સમસ્યા
જોકે, મુસ્તાફિઝુરની ઉપલબ્ધતા સંપૂર્ણપણે નિશ્ચિત નથી. એપ્રિલ મહિનામાં બાંગ્લાદેશે ન્યુઝીલેન્ડ સામે ODI અને T20I સિરીઝ રમવાની છે. જો બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડ (BCB) મુસ્તાફિઝુરને નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ (NOC) નહીં આપે, તો તે IPL 2026ની ઘણી મેચો ચૂકી શકે છે. વર્તમાન રાજકીય માહોલને જોતા એ પણ શક્ય છે કે BCB NOC આપવાનો ઈનકાર કરી દે અથવા મુસ્તાફિઝુર પોતે જ ટૂર્નામેન્ટમાંથી ખસી જવાનો નિર્ણય લે.
જોકે, વિઝા મોટી સમસ્યા નહીં બને તેવી શક્યતા છે. IPL પહેલા T20 વર્લ્ડ કપ રમાવાનો છે, જેમાં બાંગ્લાદેશની ટીમ પણ ભાગ લેશે. BCCIના અધિકારીના જણાવ્યા મુજબ, મુસ્તાફિઝુર T20 વર્લ્ડ કપ માટે વિઝા અરજી કરશે, જેને IPL માટે લંબાવવામાં આવશે.
શા માટે વધી રહી છે પ્રતિબંધની માંગ?
તાજેતરમાં બાંગ્લાદેશમાં ત્રણ હિન્દુઓની મોબ લિંચિંગની ઘટના બાદ IPLમાંથી બાંગ્લાદેશી ખેલાડીઓને બહાર કરવાની માંગ વધુ તીવ્ર બની છે. IPL 2025ના ઓક્શનમાં કોઈપણ ફ્રેન્ચાઈઝીએ બાંગ્લાદેશી ખેલાડીઓ પર બોલી નહતી લગાવી, પરંતુ આ વખતે KKR દ્વારા મુસ્તાફિઝુર પર કરોડો રૂપિયા ખર્ચ કરવામાં આવ્યો છે, જેનાથી તે IPL ઈતિહાસનો સૌથી મોંઘો બાંગ્લાદેશી ખેલાડી બની ગયો છે.

