ICCએ બાંગ્લાદેશના રિપ્લેસમેન્ટની જાહેરાત કરી, T20 વર્લ્ડ કપ 2026માં સામેલ થઈ આ ટીમ

ICCએ T20 વર્લ્ડ કપ 2026 માટે બાંગ્લાદેશની જગ્યાએહવે એક નવી ટીમને ગ્રુપ Cમાં સામેલ કરી છે. સુરક્ષા ચિંતાઓને ટાંકીને BCBએ વિનંતી કરી હતી કે તેની મેચો શ્રીલંકામાં શિફ્ટ કરવામાં આવે, જે વિનંતી ICCએ અગાઉ ફગાવી દીધી હતી. આ પછી BCBએ જાહેરાત કરી કે જો તેની મેચો ભારતમાં યોજાશે, તો તે ટુર્નામેન્ટનો બહિષ્કાર કરશે. ICCએ હવે બાંગ્લાદેશના રિપ્લેસમેન્ટ તરીકે સ્કોટલેન્ડનો સમાવેશ કર્યો છે.
એક અહેવાલ મુજબ, સ્કોટલેન્ડને સત્તાવાર રીતે T20 વર્લ્ડ કપ 2026માં સમાવવામાં આવ્યું છે, જે બાંગ્લાદેશને ગ્રુપ Cમાં રિપ્લેસ કરશે. આનો અર્થ એ છે કે સ્કોટલેન્ડ તેની શરૂઆતની ત્રણ મેચ 7 ફેબ્રુઆરીએ (વેસ્ટ ઈન્ડિઝ સામે), 9 ફેબ્રુઆરીએ (ઈટાલી સામે) અને 14 ફેબ્રુઆરીએ (ઈંગ્લેન્ડ સામે) કોલકાતાના ઈડન ગાર્ડન્સ ખાતે રમશે. સ્કોટલેન્ડ 17 ફેબ્રુઆરીએ મુંબઈમાં નેપાળ સામે ટકરાશે.
ICCએ બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડને પોતાનો નિર્ણય જણાવવા માટે 24 કલાકનો સમય આપ્યો, ત્યારબાદ ICCએ સ્કોટલેન્ડને ટુર્નામેન્ટમાં સામેલ કર્યું. ઘણા દિગ્ગજો બાંગ્લાદેશના નિર્ણયને મૂર્ખાઈ ભર્યો માને છે, કારણ કે આનાથી આશરે 300 કરોડ રૂપિયાનું નુકસાન થઈ શકે ચે.
વિવાદ ક્યાંથી શરૂ થયો?
બાંગ્લાદેશમાં બે હિન્દુ યુવાનોની હત્યા બાદ KKR ફ્રેન્ચાઈઝીએ મુસ્તફિઝુર રહેમાનને 9.20 કરોડ રૂપિયામાં ખરીદવા માટે ભારતમાં વિરોધનો સામનો કરવો પડ્યો. ત્યારબાદ KKRએ જાહેરાત કરી કે BCCIએ બાંગ્લાદેશી ખેલાડીને રિલીઝ કરવાનો આદેશ આપ્યો છે. આ પછી BCBએ એક ઈમરજન્સી મીટીંગ બોલાવી અને તેની T20 વર્લ્ડ કપ મેચ શ્રીલંકામાં રમવાની માંગ કરવાનો નિર્ણય લીધો. જોકે BCCIએ સ્પષ્ટ કર્યું કે લોજિસ્ટિક્સ અને હોટેલ બુકિંગને કારણે શેડ્યૂલમાં ફેરફાર હવે લગભગ અશક્ય છે, પરંતુ BCB પોતાની વાત પર મક્કમ રહ્યું.
ICCના એક અધિકારી BCBના અધિકારી સાથે વાત કરવા માટે બાંગ્લાદેશ પણ ગયા અને સમજાવ્યું કે તેની ટીમ ભારતમાં સંપૂર્ણપણે સુરક્ષિત રહેશે, પરંતુ બાંગ્લાદેશે ઈનકાર કર્યો. ICCએ વેન્યુ બદલવાની વિનંતીને નકારી કાઢી અને BCBને તેનો અંતિમ નિર્ણય જાહેર કરવા માટે સમયમર્યાદા આપી. બાંગ્લાદેશે ટુર્નામેન્ટનો બહિષ્કાર કરવાનો નિર્ણય લીધો. તેથી ICCએ T20 વર્લ્ડ કપ 2026માં સ્કોટલેન્ડને સ્થાન આપ્યું.

