IND vs ENG / પ્લેઈંગ ઈલેવનમાં નહતું નામ, છતાં આ ભારતીય ખેલાડીએ ઈંગ્લેન્ડની ધરતી પર રચ્યો ઈતિહાસ

ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ચોથી ટેસ્ટ મેચના ત્રણ દિવસ પૂર્ણ થયા છે. ઈંગ્લેન્ડની ટીમે મેચમાં પોતાનો દબદબો જાળવી રાખ્યો છે અને તેની તરફથી શાનદાર પ્રદર્શન જોવા મળી રહ્યું છે. આ દરમિયાન, એક ભારતીય ખેલાડીએ ઈંગ્લેન્ડની ધરતી પર ઈતિહાસ રચ્યો છે, જે પ્લેઈંગ ઈલેવનનો ભાગ પણ નહતો. રિષભ પંતની ઈજા બાદ, ધ્રુવ જુરેલને ભારત માટે વિકેટકીપિંગ કરી રહ્યો છે.
ધ્રુવ જુરેલે ઈંગ્લેન્ડની ધરતી પર કરી કમાલ
માન્ચેસ્ટર ટેસ્ટ દરમિયાન બેટિંગ કરતી વખતે રિષભ પંતને પગમાં ઈજા થઈ હતી. તેમ છતાં, તે ફરીથી બેટિંગ કરવા આવ્યો અને 54 રન બનાવ્યા પછી આઉટ થઈ ગયો. પંત ફિટ નથી અને તેથી જ તે વિકેટકીપિંગ કરવા માટે મેદાનમાં નહતો આવ્યો. ધ્રુવ જુરેલ તેની જગ્યાએ સબસ્ટિટ્યુટ ખેલાડી તરીકે મેદાન પર જોવા મળે છે. જુરેલ શરૂઆતની પ્લેઈંગ ઈલેવનનો ભાગ નહતો પરંતુ હાલમાં તે ટીમ માટે સૌથી મહત્ત્વપૂર્ણ ખેલાડીઓમાંનો એક છે, કારણ કે તેના હાથમાં ગ્લોવ્સ છે. સબસ્ટિટ્યુટ વિકેટકીપર તરીકે, ધ્રુવ એક ટેસ્ટ ઈનિંગમાં વિકેટ પાછળથી સૌથી વધુ શિકાર કરનાર ભારતીય ખેલાડી બની ગયો છે. તેણે કુલ 4 બેટ્સમેનોને પવેલિયન મોકલવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે.
કોઈને અપેક્ષા નહતી કે ધ્રુવ જુરેલ માન્ચેસ્ટર ટેસ્ટમાં મેદાન પર જોવા મળશે. જોકે, પંતની ઈજાને કારણે તેને મેદાન પર આવવાની ફરજ પડી. જુરેલે વિકેટ પાછળ સારું પ્રદર્શન કર્યું. તેણે વોશિંગ્ટન સુંદરના બોલ પર હેરી બ્રુકને સ્ટમ્પ આઉટ કર્યો. રવિન્દ્ર જાડેજાના બોલ પર જો રૂટને સ્ટમ્પ આઉટ કર્યો હતો. જ્યારે બેન ડકેટ 94 રને બેટિંગ કરી રહ્યો હતો, ત્યારે અંશુલ કંબોજનો બોલ એજ પર લાગ્યો અને જુરેલે કેચ કર્યો. આ ઉપરાંત, જુરેલે બુમરાહનેજેમી સ્મિથની વિકેટ અપાવવામાં પણ મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી.
ધ્રુવ જુરેલે કેએસ ભરતને પાછળ છોડ્યો
લોર્ડ્સ ટેસ્ટમાં પણ ધ્રુવ જુરેલ સબસ્ટિટ્યુટ વિકેટકીપર તરીકે જોવા મળ્યો હતો. છેલ્લી મેચમાં રિષભના હાથમાં ઈજા થઈ હતી અને ધ્રુવે હાથમાં ગ્લોવ્ઝ લીધા હતા. તે મેચમાં તેણે વિકેટકીપર તરીકે 3 વિકેટ લીધી હતી. 2021માં કાનપુરમાં કેએસ ભરતે ન્યુઝીલેન્ડ સામે સબસ્ટિટ્યુટ વિકેટકીપર તરીકે 3 વિકેટ લીધી હતી. હવે જુરેલે તેનાથી આગળ નીકળી ગયો છે.

