રોહિત-વિરાટ બાદ હવે જસપ્રીત બુમરાહ પણ ટેસ્ટમાંથી લેશે નિવૃત્તિ? ટીમ ઈન્ડિયાના પૂર્વ ખેલાડીએ કર્યો મોટો દાવો

જસપ્રીત બુમરાહ વિશે એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. ટીમ ઈન્ડિયાના એક પૂર્વ ક્રિકેટરે દાવો કર્યો છે કે બુમરાહ ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ લઈ શકે છે. તેણે તેનું કારણ પણ જણાવ્યું છે. લોર્ડ્સ ટેસ્ટ મેચમાં 7 વિકેટ લેનાર ટીમ ઈન્ડિયાનો આ ફાસ્ટ બોલર માન્ચેસ્ટર ટેસ્ટ મેચમાં સંપૂર્ણપણે ફિક્કો દેખાતો હતો. જસપ્રીત બુમરાહ અત્યાર સુધી આ ટેસ્ટ મેચની પહેલી ઈનિંગમાં માત્ર એક જ વિકેટ લઈ શક્યો છે. તે આ સમય દરમિયાન પોતાની લય શોધવા માટે સંઘર્ષ કરતો જોવા મળ્યો હતો. તે સંપૂર્ણપણે ફિટ નહતો દેખાતો, જેના કારણે તે ફુલ સ્પીડથી બોલિંગ નહતો કરી શકતો. હવે પૂર્વ ક્રિકેટર મોહમ્મદ કૈફે તેના વિશે ચોંકાવનારો દાવો કર્યો છે.
મોહમ્મદ કૈફે દાવો કર્યો
ટીમ ઈન્ડિયાના પૂર્વ બેટ્સમેન મોહમ્મદ કૈફે જસપ્રીત બુમરાહ વિશે મોટો દાવો કર્યો છે. તેનું કહેવું છે કે બુમરાહ ટૂંક સમયમાં ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ લઈ શકે છે. કૈફે કહ્યું, "મને લાગે છે કે ટીમ ઈન્ડિયાનો ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ આગામી ટેસ્ટ મેચોમાં રમતા નહીં જોવા મળે અને તે નિવૃત્તિ પણ લઈ શકે છે". તેણે કહ્યું કે બુમરાહ ઈજાથી ઝઝૂમી રહ્યો છે. એટલા માટે તે પોતાની લયમાં નથી દેખાઈ રહ્યો. બુમરાહ એક ખુદ્દાર વ્યક્તિ છે, જો તેને લાગે કે તે 100 ટકા નથી આપી શકતો, દેશ માટે મેચ નથી જીતી શકતો, તો તે પોતે રમવાનો ઈનકાર કરશે, તેવું મને લાગે છે."
કૈફે આગળ કહ્યું કે, "વિકેટ ન મળવી એ અલગ વાત છે, પરંતુ માન્ચેસ્ટર ટેસ્ટમાં તે જે સ્પીડથી બોલિંગ કરી રહ્યો હતો તે ખૂબ જ ઓછી હતી. માન્ચેસ્ટર ટેસ્ટ મેચમાં વિકેટકીપર દ્વારા તેના બોલ પર ડાઇવ કરીને જે કેચ લેવામાં આવ્યો હતો તે દર્શાવે છે કે બુમરાહ સંપૂર્ણપણે ફિટ નથી. જો બુમરાહ ફિટ રહે છે, તો તે જ્યારે ઈચ્છે ત્યારે વિકેટ લઈ શકે છે."
કૈફે કહ્યું, "બુમરાહમાં હજુ પણ દેશ માટે રમવાનો એ જ જુસ્સો છે, પરંતુ તે તેના શરીરથી હારી ગયો છે, તે તેની ફિટનેસથી હારી ગયો છે. તેનું શરીર તેનો સાથ નથી આપી રહ્યું. આવી સ્થિતિમાં, મને લાગે છે કે તે ટેસ્ટ ક્રિકેટ રમવાનો ઈનકાર કરી શકે છે."
ફેન્સે તેની આદત પાડવી પડશે
તેણે કહ્યું કે, "રોહિત શર્મા, વિરાટ કોહલી અને અશ્વિન પછી, બુમરાહને ભવિષ્યમાં ટેસ્ટ ટીમમાં રમતો નહીં જોઈ શકાય. ફેન્સે તેના વિના ટેસ્ટ ક્રિકેટ જોવાની આદત પાડવી પડશે." કૈફે વધુમાં કહ્યું કે, "હું પ્રાર્થના કરું છું કે મારી ગટ ફિલિંગ ખોટી હોય અને બુમરાહ ભવિષ્યમાં પણ ટેસ્ટ ક્રિકેટ રમતો જોવા મળે, પરંતુ તે આ સમયે ટેસ્ટ ક્રિકેટનો બિલકુલ આનંદ નથી માણી રહ્યો, તેનું શરીર હારેલું લાગે છે." જસપ્રીત બુમરાહએ આ ટેસ્ટ સિરીઝમાં અત્યાર સુધી 13 વિકેટ લીધી છે, પરંતુ માન્ચેસ્ટર ટેસ્ટ મેચમાં તે બિલકુલ લયમાં નથી દેખાતો.

