પાકિસ્તાનનું નવું નાટક! PCBએ રદ્દ કરી જર્સી લોન્ચ ઈવેન્ટ, T20 વર્લ્ડ કપમાં ભાગ લેવા અંગે સસ્પેન્સ યથાવત

ICC મેન્સ T20 વર્લ્ડ કપ 2026માં પાકિસ્તાનની ભાગીદારી અંગેનો સસ્પેન્સ વધુ ગાઢ બનતો જાય છે. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB) હજુ પણ નક્કી નથી કરી શક્યું કે તેની ટીમ ટુર્નામેન્ટમાં રમશે કે ભારત સામેની હાઈ-વોલ્ટેજ મેચ સ્કિપ કરશે. બાંગ્લાદેશના ટુર્નામેન્ટમાંથી બહાર થયા પછીથી PCBની વ્યૂહરચના પર પ્રશ્નો ઉભા થયા છે.
આ દરમિયાન શનિવારે એક મોટી ઘટના બની જ્યારે PCBએ T20 વર્લ્ડ કપ માટે પાકિસ્તાનની જર્સી લોન્ચની ઈવેન્ટ અચાનક રદ્દ કરી હતી. ઓસ્ટ્રેલિયા સામેની T20I સિરીઝની બીજી મેચમાં ટોસ પછી જર્સી લોન્ચ થવાની હતી, પરંતુ છેલ્લી ઘડીએ તેને રદ્દ કરવામાં આવ્યું.
એક અહેવાલ મુજબ PCBએ જર્સી લોન્ચ રદ્દ કરવાનું કારણ અનિવાર્ય સંજોગોને ગણાવ્યું હતું. જોકે, આંતરિક અહેવાલો સૂચવે છે કે આ નિર્ણય સીધો પાકિસ્તાન સરકાર તરફથી ઔપચારિક મંજૂરીના અભાવ સાથે સંબંધિત છે. PCB હાલમાં સરકારના વલણની રાહ જોઈ રહ્યું છે અને એવું માનવામાં આવે છે કે બોર્ડ અંતિમ નિર્ણય ન આવે ત્યાં સુધી કોઈ જાહેર સંકેત નથી આપવા માંગતું.
સોમવાર સુધીમાં બધું સ્પષ્ટ થઈ જશે
સૂત્રોના જણાવ્યા અનુસાર પાકિસ્તાન T20 વર્લ્ડ કપમાં રમશે કે નહીં તે અંગેની સ્થિતિ સોમવાર સુધીમાં સ્પષ્ટ થઈ શકે છે. આ દિવસે PCBને સરકાર તરફથી અંતિમ સૂચનાઓ મળવાની અપેક્ષા છે. રસપ્રદ વાત એ છે કે, અનિશ્ચિતતા હોવા છતાં PCBએ ટીમની મુસાફરી માટેની તૈયારીઓ પૂર્ણ કરી લીધી છે.
એક સૂત્રએ જણાવ્યું હતું કે, પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે વર્લ્ડ કપ ટીમ માટે 2 ફેબ્રુઆરીની સવારે કોલંબો જવા માટે પહેલેથી જ વ્યવસ્થા કરી લીધી છે. આ નિવેદન સ્પષ્ટપણે દર્શાવે છે કે વહીવટી સ્તરે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ હજુ પણ ટુર્નામેન્ટ રમવાનો વિકલ્પ ખુલ્લો રાખી રહ્યું છે.
સૂત્રએ વધુમાં જણાવ્યું હતું કે, એ ધ્યાનમાં રાખવું જોઈએ કે પાકિસ્તાન T20 વર્લ્ડ કપમાં તેની બધી મેચ શ્રીલંકામાં ર્માનું છે, અને જો ટીમ ફાઈનલમાં પહોંચે છે તો તે મેચ પર શ્રીલંકામાં જ રમાશે. આવી સ્થિતિમાં ટુર્નામેન્ટ અથવા ભારત સામેની મેચનો બહિષ્કાર કરવાનો આધાર શું હશે?
આ નિવેદન PCBની અંદર રહેલી મૂંઝવણને સ્પષ્ટપણે ઉજાગર કરે છે. ભારતમાં કોઈ મેચ રમાવાની નથી, તેથી સુરક્ષા અથવા યજમાની અંગે વાંધાઓનો અવકાશ મર્યાદિત લાગે છે. જો પાકિસ્તાન T20 વર્લ્ડ કપમાંથી બહાર થઈ જાય છે અથવા ભારત સામે નહીં રમે, તો તે ટુર્નામેન્ટના વ્યાપારી મૂલ્ય, બ્રોડકાસ્ટર્સની ભાગીદારી અને ICCની યોજનાઓને અસર કરશે. આ જ કારણ છે કે ICC પરિસ્થિતિ પર નજીકથી નજર રાખી રહ્યું છે.
જર્સી લોન્ચ રદ્દ કરવાથી સંકેત મળે છે કે PCB હજુ પણ અંતિમ નિર્ણય લેવાની સ્થિતિમાં નથી. જોકે, ટીમની મુસાફરીની તૈયારીઓ એ પણ સૂચવે છે કે પાકિસ્તાનની રમવાની શક્યતાઓ હજુ પૂરી નથી થઈ. હવે બધાની નજર સોમવારના નિર્ણય પર છે, જે નક્કી કરશે કે પાકિસ્તાન T20 વર્લ્ડ કપ 2026માં ભાગ લેશે કે નહીં.

