વોશિંગ્ટન સુંદર T20 વર્લ્ડ કપ 2026માં રમશે કે નહીં? આ દિવસે લેવામાં આવશે અંતિમ નિર્ણય

T20 વર્લ્ડ કપ 2026 પહેલા ભારતીય ટીમની સૌથી મોટી ચિંતા વોશિંગ્ટન સુંદરની ફિટનેસ છે. ઈજાને કારણે લાંબા સમયથી મેદાનથી ગેરહાજર રહેલા ઓલરાઉન્ડર અંગે હજુ સુધી કોઈ સ્પષ્ટ નિર્ણય નથી લેવામાં આવ્યો. ટીમ ઈન્ડિયા 7 ફેબ્રુઆરીએ USA સામેની મેચથી પોતાનું અભિયાન શરૂ કરશે અને એવું માનવામાં આવે છે કે સુંદરની ભાગીદારી કે ગેરહાજરી અંગે અંતિમ નિર્ણય તેના લગભગ 72 કલાક પહેલા લેવામાં આવી શકે છે.
4 ફેબ્રુઆરીએ લેવામાં આવશે નિર્ણય
એક અહેવાલ મુજબ વોશિંગ્ટન સુંદરનો ફિટનેસ ટેસ્ટ 4 ફેબ્રુઆરીએ બેંગલુરુમાં BCCI સેન્ટર ઓફ એક્સેલન્સ ખાતે લેવામાં આવશે. આ ટેસ્ટ નક્કી કરશે કે તે T20 વર્લ્ડ કપ માટે સંપૂર્ણપણે ફિટ છે કે નહીં. સુંદર 11 જાન્યુઆરીએ ન્યુઝીલેન્ડ સામેની ODI મેચ દરમિયાન ઈજાગ્રસ્ત થયો હતો અને ત્યારથી તે રિકવરીની પ્રક્રિયામાં છે.
સિલેક્ટર્સ શા માટે રાહ જોઈ રહ્યા છે?
T20 વર્લ્ડ કપ માટે ટીમમાં ફેરફાર કરવાની અંતિમ તારીખ 30 જાન્યુઆરી છે, પરંતુ ICC નિયમો ઈજાના કિસ્સામાં થોડી રાહત આપે છે. જો કોઈ ખેલાડી સંપૂર્ણપણે ફિટ ન હોય, તો ટેકનિકલ સમિતિની મંજૂરીને આધીન, ટુર્નામેન્ટ દરમિયાન પણ ફેરફારો શક્ય છે. આ કારણોસર સિલેક્ટર્સ ઉતાવળમાં નથી અને મેડિકલ રિપોર્ટની રાહ જોઈ રહ્યા છે.
સુંદર ઈજામાંથી સ્વસ્થ થવાનો પ્રયાસ કરી રહ્યો છે
તાજેતરના દિવસોમાં સુંદરની ફિટનેસ અંગે કેટલાક સકારાત્મક સંકેતો જોવા મળ્યા છે. તેણે હળવી ટ્રેનિંગ શરૂ કરી છે. તેણે 28 જાન્યુઆરીએ નેટમાં બેટિંગ કરી હતી, પરંતુ બીજા દિવસે કોઈપણ પ્રકારની ફુલ ડ્રિલ અથવા મેચ સિમ્યુલેશનથી દૂર રહ્યો હતો.
વર્લ્ડ કપ પહેલા ભારતીય ટીમની તૈયારીઓ
ભારતીય ટીમ 3 ફેબ્રુઆરીએ મુંબઈમાં ભેગીથશે, અને તે દિવસે પ્રેક્ટિસ સેશન શરૂ થશે. સાઉથ આફ્રિકા સામેની પહેલી વોર્મ-અપ મેચ 4 ફેબ્રુઆરીએ રમાશે. સુંદરનો ફિટનેસ ટેસ્ટ પણ તે જ દિવસે નક્કી કરવામાં આવ્યો છે, જે થોડી સ્પષ્ટતા પ્રદાન કરી શકે છે.
બેકઅપ પ્લાન પણ તૈયાર છે
જો વોશિંગ્ટન સુંદર ફિટનેસ ટેસ્ટ પાસ કરવામાં નિષ્ફળ જાય, તો સિલેક્ટર્સ બેકઅપ વિકલ્પ પર વિચાર કરી શકે છે. આવી સ્થિતિમાં રિયાન પરાગને ટીમમાં સામેલ કરવામાં આવે તેવી શક્યતા છે.

