Asia Cup 2025 / સૂર્યાએ જણાવ્યું હાથ ન મિલાવવાનું કારણ, કહ્યું- 'કેટલીક બાબતો રમતની ભાવનાથી...'

ભારતીય ક્રિકેટ T20I ટીમના કેપ્ટન સૂર્યકુમાર યાદવે એશિયા કપ 2025 દરમિયાન ટોસ વખતે પાકિસ્તાની કેપ્ટન સલમાન અલી આગા સાથે હાથ નહતો મિલાવ્યો. જે મામલે વિવાદ થતા તેણે પોતાના નિર્ણયનો બચાવ પણ કર્યો છે. એટલું જ નહીં, મેચ પછી પણ ભારતીય ખેલાડીઓએ પાકિસ્તાની ટીમ સાથે હાથ નહતો મિલાવ્યો, જ્યારે પાકિસ્તાની ખેલાડીઓ બાઉન્ડ્રી પાસે લાઈનમાં રાહ જોઈ રહ્યા હતા. પરંતુ ભારતીય ખેલાડીઓએ ડ્રેસિંગ રૂમનો દરવાજો બંધ કરી દીધો. આ એક પરંપરા છે, જેમાં બંને ટીમના ખેલાડીઓ મેચ સમાપ્ત થયા પછી એકબીજા સાથે હાથ મિલાવતા હોય છે.
સૂર્યકુમારે શું કહ્યું?
એક પત્રકારે સૂર્યકુમારને પૂછ્યું કે, "શું તમને લાગે છે કે પાકિસ્તાની ટીમ સાથે હાથ મિલાવવાનો ઇનકાર કરવો રમતની ભાવના વિરુદ્ધ છે?" આના જવાબમાં સૂર્યાએ કહ્યું કે, "કેટલીક બાબતો રમતની ભાવનાથી ઉપર હોય છે." જોકે, અગાઉ સૂર્યકુમારે પોસ્ટ મેચ પ્રેઝન્ટેશનમાં કહ્યું હતું કે, "અમે પહલગામના પીડિત પરિવારો સાથે ઉભા છીએ. અમે પીડિતો સાથે એકજૂટતા વ્યક્ત કરીએ છીએ, આ જીત અમારા તમામ સશસ્ત્ર દળોને સમર્પિત કરવા માંગીએ છીએ. આશા છે કે તેઓ અમને પ્રેરણા આપતા રહેશે."
વિવાદ અંગે શું કહ્યું?
પાકિસ્તાની ટીમ સાથે હાથ ન મિલાવવાના નિર્ણય અંગે સૂર્યાએ કહ્યું કે, "અમારી સરકાર અને BCCI આ નિર્ણય પર એકમત હતા. અમે અહીં ફક્ત રમત રમવા માટે આવ્યા હતા અને મને લાગે છે કે અમે તેમને યોગ્ય જવાબ આપ્યો છે." ઉલ્લેખનીય છે કે પાકિસ્તાનના કેપ્ટન સલમાન અલી આગા પોસ્ટ મેચ પ્રેઝન્ટેશનમાં હાજર નહતો રહ્યો. પાકિસ્તાનના હેડ કોચ માઈક હેસને કહ્યું હતું કે ભારતીય ટીમ દ્વારા હાથ મિલાવવાનો ઇનકાર કરવાથી પાકિસ્તાની ટીમ નિરાશ થઈ હતી અને તેથી જ સલમાન આગા પોસ્ટ મેચ પ્રેઝન્ટેશનમાં હાજર ન રહ્યો.
સૂર્યાને ભારે વિરોધનો સામનો કરવો પડ્યો હતો
ગયા અઠવાડિયે દુબઈમાં ટુર્નામેન્ટ પહેલાની પ્રેસ કોન્ફરન્સમાં કેપ્ટનોની બેઠક દરમિયાન જ્યારે સૂર્યકુમાર પાકિસ્તાની કેપ્ટન સલમાન સાથે હાથ મિલાવતા જોવા મળ્યો ત્યારે તેની સોશિયલ મીડિયા પર પણ ટીકા થઈ હતી. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના વડા મોહસીન નકવી સાથે હાથ મિલાવવા બદલ પણ તેને ટીકાનો સામનો કરવો પડ્યો હતો.

