ભારતીય ખેલાડીઓએ હાથ ન મિલાવતા ગુસ્સે થયો પાકિસ્તાની કેપ્ટન, શું ટીમ ઈન્ડિયાને ફટકારવામાં આવશે દંડ?

રવિવારે એશિયા કપ 2025માં ભારતે પાકિસ્તાનને 7 વિકેટથી હરાવ્યું અને ટુર્નામેન્ટમાં સતત બીજી જીત મેળવી. આ જીત સ્કોરકાર્ડ પર ભલે સિમ્પલ લાગી રહી હોય, પરંતુ મેચ પછી દુબઈ ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં જબરદસ્ત ડ્રામા જોવા મળ્યો.
પાકિસ્તાનના કેપ્ટન સલમાન અલી આગાએ પોસ્ટ મેચ પ્રેઝન્ટેશનમાં ભાગ લેવાનો ઈનકાર કર્યો હતો. તેનું કારણ એ હતું કે મેચ પૂરી થયા પછી, ભારતીય ખેલાડીઓએ પાકિસ્તાની ટીમ સાથે હાથ મિલાવવાનો ઈનકાર કર્યો હતો. હવે આ મામલો 'હેન્ડશેક-ગેટ' તરીકે ચર્ચામાં છે, પરંતુ પ્રશ્ન એ છે કે શું ભારતને પાકિસ્તાન સાથે હાથ ન મિલાવવા બદલ દંડ થશે, ચાલો જાણીએ કે નિયમ શું કહે છે.
ભારતીય ખેલાડીઓએ પાકિસ્તાની ટીમ સાથે હાથ ન મિલાવ્યો
આ વિવાદ ત્યારે શરૂ થયો જ્યારે ભારતીય કેપ્ટન સૂર્યકુમાર યાદવે સિક્સ ફટકારીને મેચ સમાપ્ત કરી. સામાન્ય રીતે, મેચ પૂરી થયા પછી વિરોધી ખેલાડીઓ સાથે હાથ મિલાવવાની પરંપરા હોય છે, પરંતુ સૂર્યકુમારે ફક્ત તેના સાથી બેટ્સમેન શિવમ દુબે સાથે હાથ મિલાવ્યો અને આખી ભારતીય ટીમ સીધી ડ્રેસિંગ રૂમમાં પાછી ફરી.
થોડીક સેકન્ડોમાં, ભારતીય ટીમના સ્ટાફે ડ્રેસિંગ રૂમનો દરવાજો પણ બંધ કરી દીધો અને પાકિસ્તાની ખેલાડીઓ મેદાનમાં ઉભા રહીને જોતા રહ્યા. મેચ જીત્યા પછી, ભારતીય ખેલાડીઓએ પાકિસ્તાનનું ખૂબ અપમાન કર્યું, જેનાથી પાકિસ્તાની કેપ્ટન સલમાન આગ ગુસ્સે થઈ ગયો.
પાકિસ્તાનના હેડ કોચ માઈક હેસને પણ ભારતના હાથ ન મિલાવવા પર નારાજગી વ્યક્ત કરી. તેણે કહ્યું કે, "અમે હાથ મિલાવવા માટે તૈયાર હતા. પરંતુ વિરોધી ટીમ ડ્રેસિંગ રૂમમાં જતી રહી. મેચ સમાપ્ત કરવાનો આ ખૂબ જ નિરાશાજનક રસ્તો હતો."
પાકિસ્તાની ખેલાડીઓનું ભારે અપમાન
પાકિસ્તાની ખેલાડીઓ થોડા સમય માટે મેદાન પર ઉભા રહ્યા અને પછી પાછા ફર્યા. હેસન પોતે ભારતીય ડ્રેસિંગ રૂમ તરફ ગયો પરંતુ દરવાજો બંધ જોયો. બાદમાં તે મેચ રેફરી એન્ડી પાયક્રોફ્ટ સાથે વાત કરતોજોવા મળ્યો. આ કારણોસર, કેપ્ટન સલમાન આગાએ પોસ્ટ મેચ પ્રેઝન્ટેશનમાં ભાગ નહતો લીધો.
પાકિસ્તાન ટીમ મેનેજમેન્ટે એક નિવેદન બહાર પાડીને કહ્યું કે ભારતીય ખેલાડીઓનું વર્તન રમતગમતની ભાવના વિરુદ્ધ હતું. આ જ કારણ છે કે કેપ્ટન સલમાન આગાને પોસ્ટ મેચ પ્રેઝન્ટેશનમાં મોકલવામાં નહતો આવ્યો.
બીજી તરફ, ભારત વતી પ્રેસ કોન્ફરન્સમાં સૂર્યકુમાર યાદવે કહ્યું, "ટીમ સરકાર અને BCCI સાથે ઉભી છે. અમે પહેલગામ આતંકવાદી હુમલાના પીડિતો અને તેમના પરિવારો સાથે અમારી એકતા દર્શાવવા માટે પાકિસ્તાન ટીમ સાથે હાથ મિલાવવા ન ગયા. અમે આજની જીત અમારા સશસ્ત્ર દળોને સમર્પિત કરીએ છીએ."
PCBએ વાંધો ઉઠાવ્યો
અહેવાલો અનુસાર, પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB) એ પુષ્ટિ કરી છે કે, પાકિસ્તાન ટીમના મેનેજર નવીદ અખ્તર ચીમાએ ભારતીય ટીમના અયોગ્ય વર્તન સામે વિરોધ નોંધાવ્યો છે. PCBએ કહ્યું કે, "મેનેજર ચીમાએ મેચ રેફરીના વર્તન સામે સત્તાવાર વિરોધ નોંધાવ્યો છે, કારણ કે તેમણે બંને કેપ્ટનોને ટોસ દરમિયાન હાથ ન મિલાવવા વિનંતી કરી હતી."
શું ભારત પર દંડ લાગશે?
તમને જણાવી દઈએ કે ક્રિકેટના કોઈપણ નિયમમાં એવું લખાયેલું નથી કે મેચ પછી હાથ મિલાવવો જરૂરી છે. હાથ મિલાવવો એ કોઈ નિયમ નથી, પરંતુ તેને રમતગમતની ભાવનાનો એક ભાગ માનવામાં આવે છે. હવે જ્યારે આવો કોઈ નિયમ નથી, તો ટીમ ઈન્ડિયા પર કોઈ દંડ લાદી શકાય નહીં.

