Asia Cup 2025 / સૂર્યકુમાર યાદવે પહેલગામ હુમલાના પીડિતોને સમર્પિત કરી જીત, મેચ પછી નિવેદનથી જીત્યા બધાના દિલ

એશિયા કપ 2025ની લીગ સ્ટેજ મેચમાં ભારતે પાકિસ્તાનને 7 વિકેટથી હરાવ્યું. આ જીત પછી, ભારતીય ટીમના કેપ્ટન સૂર્યકુમાર યાદવે એક જોરદાર નિવેદન આપ્યું છે. સૂર્યકુમારે પાકિસ્તાન સામેની આ જીત પહેલગામ આતંકવાદી હુમલાના પીડિતોને સમર્પિત કરી છે. આ સાથે, સૂર્યાએ કહ્યું કે, "આ જીત ભારતીય સેના માટે છે, જે આપણા દેશની શક્તિ અને બહાદુરી દર્શાવે છે." સૂર્યકુમાર યાદવે મેચ પછી કહ્યું કે, "અમે પહેલગામ આતંકવાદી હુમલાના પીડિતો સાથે મજબૂત રીતે ઉભા છીએ."
સૂર્યકુમાર યાદવે પાકિસ્તાનને જવાબ આપ્યો
એશિયા કપ 2025 સંયુક્ત આરબ અમીરાત (UAE) માં યોજાઈ રહ્યો છે. ભારતીય કેપ્ટન સૂર્યકુમાર યાદવે પાકિસ્તાન સામેની જીત પહેલગામ આતંકવાદી હુમલાના પીડિતોને સમર્પિત કરીને પાકિસ્તાનને યોગ્ય જવાબ આપ્યો છે. સૂર્યકુમાર યાદવે ટોસ દરમિયાન પણ પાકિસ્તાન ટીમના કેપ્ટન સલમાન અલી આગા સાથે હાથ નહતો મિલાવ્યો. મેચ જીત્યા પછી પણ, ભારતીય ખેલાડીઓએ પાકિસ્તાની ખેલાડીઓ તરફ જોયું પણ નહીં અને હાથ મિલાવ્યા વિના ડ્રેસિંગ રૂમમાં પાછા ફર્યા.
મેચ જીત્યા પછી, સૂર્યકુમાર યાદવે કહ્યું કે, "અમે પહેલગામ આતંકવાદી હુમલાના પીડિતો સાથે અમારી એકતા વ્યક્ત કરીએ છીએ. અમે આ જીત ભારતીય સશસ્ત્ર દળોને સમર્પિત કરીએ છીએ, જેમણે હિંમત બતાવી છે. મને આશા છે કે તેઓ અમને આ રીતે પ્રેરણા આપતા રહેશે અને અમે હંમેશા તેમને મેદાન પરથી સ્માઈલ કરવાની તક આપીશું. જ્યારે પણ અમને તક મળશે, અમે તેમના ચહેરા પર ખુશી લાવીશું." સૂર્યકુમાર યાદવે આ નિવેદન સાથે આતંકવાદ સામે ભારતની એકતાનું ઉદાહરણ રજૂ કર્યું છે.

