VIDEO / ઈજામાંથી પાછા ફર્યા બાદ રિષભ પંતે આપ્યું નિવેદન, જણાવ્યું ફરીથી કેવી રીતે થયો ફિટ

ટીમ ઈન્ડિયાનો સ્ટાર વિકેટકીપર-બેટ્સમેન રિષભ પંત એન્ડરસન-તેંડુલકર ટ્રોફીની ચોથી ટેસ્ટ મેચમાં ઈજાગ્રસ્ત થયો હતો, જેના કારણે તે લાંબા સમય સુધી ક્રિકેટથી દૂર રહ્યો હતો. પંત ટીમ ઈન્ડિયામાં વાપસી કરવા માટે ખૂબ જ મહેનત કરી રહ્યો છે. સેન્ટર ઓફ એક્સેલન્સમાં ખૂબ મહેનત કર્યા પછી, પંત હવે મેદાનમાં પાછો ફર્યો છે. મેદાનમાં પાછા ફર્યા બાદ, પંતે જણાવ્યું કે તે ફરીથી સંપૂર્ણપણે ફિટ કેવી રીતે થયો. BCCI એ સોશિયલ મીડિયા પર પંતનો એક વીડિયો શેર કર્યો છે.
રિષભ પંતે જણાવ્યું ફરીથી કેવી રીતે થયો ફિટ
રિષભ પંત છેલ્લા કેટલાક વર્ષોમાં અસંખ્ય ઈજાઓ સામે સંઘર્ષ કરી રહ્યો છે, જેના કારણે બધાની નજર તેની વાપસી પર ટકેલી હોય છે. જોકે, પંત હંમેશા ધમાકેદાર રીતે મેદાનમાં પાછો ફરે છે. સાઉથ આફ્રિકા સામેની સિરીઝ માટે પણ આવી જ અપેક્ષાઓ છે. ફિટ થયા બાદ રિષભ પંતે કહ્યું, "મને લાગે છે કે શરૂઆતથી જ મારા માટે તે ખૂબ પડકારજનક હતું. ઈંગ્લેન્ડમાં મારા પગમાં ફ્રેક્ચર થવું અને આખી પ્રક્રિયામાંથી પસાર થવું એ એક મોટો પડકાર હતો. પ્રક્રિયાનો પહેલો ભાગ હીલિંગનો હતો. પહેલા છ અઠવાડિયા સુધી, પહેલા તમારા ફ્રેક્ચરમાંથી સજા થવાનું હતું અને પછી COEમાં આવવાનું હતું. તે યોજના હતી, અને મેં બરાબર એ જ કર્યું."
વાપસી પછી પહેલી ઈનિંગમાં નિષ્ફળ ગયો પંત
રિષભ પંતે ઈન્ડિયા-A માટે વાપસી કરી છે. તે પહેલી ઈનિંગમાં બેટ સાથે માત્ર 17 રન બનાવીને પવેલિયન પાછો ફર્યો હતો. પંત આ મેચનું ઈન્ડિયા-A ટીમની કેપ્ટનશિપ પણ કરી રહ્યો છે. નોંધનીય છે કે સાઉથ આફ્રિકા-A સામેની બીજી મેચ પણ પંતની કેપ્ટનશિપ હેઠળ રમાશે. પંત 14 નવેમ્બરથી શરૂ થતી સાઉથ આફ્રિકા સામેની બે મેચની સિરીઝ પહેલા ફોર્મ પાછું મેળવવાનો પ્રયાસ કરશે. જેથી તે આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રથમ ઈનિંગથી ધમાલ મચાવી શકે.

