ભારતીય ક્રિકેટ ફેન્સ માટે આવી ગુડ ન્યૂઝ, શ્રેયસ અય્યરને હોસ્પિટલમાંથી મળી રજા; BCCI એ આપ્યું હેલ્થ અપડેટ

ભારતીય ટીમના બેટર શ્રેયસ અય્યરને શનિવારે (01 નવેમ્બર) સિડનીની હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) એ આ અંગે માહિતી આપી છે. ઓસ્ટ્રેલિયા સામેની ત્રીજી ODI મેચમાં શ્રેયસ અય્યરને પાંસળીમાં ઈજા પહોંચી હતી. જેના કરાણે તેને ઇન્ટેન્સિવ કેર યુનિટ (ICU) માં દાખલ કરવામાં આવ્યો હતો, પરંતુ BCCI એ પુષ્ટિ આપી કે તે હવે સ્વસ્થ છે અને તેને રજા આપવામાં આવી છે.
BCCI એ શ્રેયસ અય્યરના સ્વાસ્થ્ય અંગે અપડેટ આપ્યું છે. બોર્ડના જણાવ્યા અનુસાર, શ્રેયસ અય્યરને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે, પરંતુ તે હાલ સિડનીમાં જ રહેશે. શ્રેયસની તબિયત સારી થઈ રહી છે. આ ઉપરાંત BCCI એ શ્રેયસની સારવાર કરનારા ડોકટર્સનો આભાર માન્યો હતો.
કેચ બાદ તરત જ હોસ્પિટલ ખસેડાયો હતો
ભારતીય ODI ટીમના વાઈસ કેપ્ટન શ્રેયસ અય્યરને ઓસ્ટ્રેલિયા સામે સિડનીમાં રમાયેલી ત્રીજી ODI (26 ઓક્ટોબર) દરમિયાન પાંસળીમાં ગંભીર ઈજા પહોંચી હતી. એલેક્સ કેરીનો કેચ ઝડપતી વખતે ડાબી પાંસળીમાં થયેલી આ ઈજાને કારણે આંતરિક રક્તસ્રાવ (Internal Bleeding) થતા, તેને સિડનીની એક હોસ્પિટલના ઇન્ટેન્સિવ કેર યુનિટ (ICU) માં દાખલ કરવામાં આવ્યો હતો.
અહેવાલો અનુસાર, એલેક્સ કેરીનો કેચ ઝડપ્યા બાદ તે પીડામાં હોવાનું જણાતા તેને તરત જ ડ્રેસિંગ રૂમમાં લઈ જવામાં આવ્યો હતો. BCCIની મેડિકલ ટીમે ડ્રેસિંગ રૂમમાં પ્રાથમિક તપાસ બાદ પરિસ્થિતિની ગંભીરતા જોતા તાત્કાલિક કાર્યવાહી કરી અને અય્યરને હોસ્પિટલમાં મોકલવામાં આવ્યો હતો. અય્યર વધુ પરીક્ષણો માટે હમણાં સિડનીમાં રહેશે અને મુસાફરી કરવા માટે સ્વસ્થ થયા પછી ભારત પરત ફરશે.

