ચિન્નાસ્વામીમાં નહીં, આ 2 સ્ટેડિયમમાં પોતાની ઘરેલુ મેચ રમેશે RCB, IPL 2026 માટે બદલાઈ જશે હોમ ગ્રાઉન્ડ

IPL 2026 પહેલા RCBના હોમ ગ્રાઉન્ડ અંગે ચર્ચાઓ ચાલી રહી છે. RCB આગામી IPL સિઝન માટે બે વેન્યુ પર તેના હોમ મેચો રમી શકે છે.
ડિફેન્ડીંગ ચેમ્પિયન રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB) આગામી IPL 2026 સિઝન માટે બે અલગ અલગ મેદાનો પર તેના હોમ મેચો રમવા માટે તૈયાર છે. RCBનું હોમ ગ્રાઉન્ડ નવી મુંબઈમાં હશે, જ્યારે તેમની કેટલીક મેચો રાયપુરમાં પણ રમાશે.
IPL 2026 પહેલા RCBનું હોમ ગ્રાઉન્ડ બદલવામાં આવશે
IPL 2026માં RCB તેના હોમ મેચો બેંગલુરુના એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમને બદલે અલગ અલગ વેન્યુ પર રમશે. એક અહેવાલ મુજબ, RCBના હોમ મેચો નવી મુંબઈ અને રાયપુરમાં ખસેડવામાં આવી શકે છે.
આ સમાચાર ફક્ત RCB ફેન્સ માટે જ આઘાતજનક નથી પણ IPL વેન્યુની વ્યૂહરચના પર પણ પ્રશ્નો ઉભા કરે છે. ચિન્નાસ્વામી સ્ટેડિયમ અને RCB વચ્ચે લાંબા સમયથી સંબંધ છે, પરંતુ ગયા વર્ષે IPL 2025ની ફાઈનલમાં RCBની જીત પછી 4 જૂનના રોજ ઉજવણી દરમિયાન ચિન્નાસ્વામી સ્ટેડિયમ નજીક ભાગદોડ મચી ગઈ હતી, જેમાં 11 લોકો માર્યા ગયા હતા. પરિણામે RCBના હોમ ગ્રાઉન્ડને ચિન્નાસ્વામી સિવાય અન્ય જગ્યાએ ખસેડવાનો નિર્ણય લેવામાં આવશે.
નવી મુંબઈ અને રાયપુર જબ કેમ?
નવી મુંબઈમાં DY પાટિલ સ્ટેડિયમ અને રાયપુરમાં શહીદ વીર નારાયણ સિંહ ઈન્ટરનેશનલ સ્ટેડિયમ બંને તેમની વિશ્વ કક્ષાની સુવિધાઓ માટે પ્રખ્યાત છે. DY પાટિલ સ્ટેડિયમે અગાઉ ઘણી સફળ IPL મેચોનું આયોજન કર્યું છે અને અહીંની પિચ હંમેશા બેટ્સમેન અને બોલર બંને માટે અનુકૂળ રહી છે.
બીજી બાજુ રાયપુરનું મેદાન મોટી સંખ્યામાં ફેન્સને સમાવવાની ક્ષમતા રાખે છે અને તે તેના ઉત્તમ આઉટફિલ્ડ માટે જાણીતું છે. છત્તીસગઢમાં ક્રિકેટ ફેન્સ લાંબા સમયથી IPLની વાપસીની રાહ જોઈ રહ્યા છે. જો RCB અહીં તેની મેચ રમે છે, તો ફેન્સ માટે ખૂબ મોટી ગુડ ન્યુઝ હશે.
RRનું પણ હોમ ગ્રાઉન્ડ બદલાશે
RCB એકમાત્ર ફ્રેન્ચાઈઝી નથી જેનું હોમ ગ્રાઉન્ડ બદલાશે. IPL 2026માં રાજસ્થાન રોયલ્સ પણ પુણેના MCA સ્ટેડિયમમાં તેની મેચો રમશે. IPL ફ્રેન્ચાઈઝીનો જયપુરમાં ક્રિકેટ વહીવટી સંસ્થાના અધિકારીઓ સાથે મતભેદ હતો. પરિણામે આગામી IPL સિઝન પહેલા બંને ટીમોને નવા હોમ ગ્રાઉન્ડ મળશે.

