IND vs NZ / બોલર મચાવશે તબાહી કે બેટ્સમેનનો રહેશે દબદબો? જાણો તિરુવનંતપુરમમાં કેવી હશે પિચ

ચોથી T20Iમાં ન્યુઝીલેન્ડ સામે હાર્યા બાદ ટીમ ઈન્ડિયા પાંચમી મેચમાં મજબૂત વાપસી કરવા માંગશે. સૂર્યા અને કંપની પહેલાથી જ સિરીઝ જીતી ચૂકી છે. જોકે, T20 વર્લ્ડ કપ 2026 પહેલા ટીમ ઈન્ડિયા સિરીઝનો અંત જીત સાથે કરવા માંગશે. અભિષેક શર્મા અને સૂર્યકુમાર યાદવ પાસેથી ફરી એકવાર વિસ્ફોટક ઈનિંગ્સની અપેક્ષા રાખવામાં આવશે. ટીમના બોલર્સ પણ સારું પ્રદર્શન કરવા માંગશે.
તિરુવનંતપુરમની પિચ કેવી હશે?
ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે સિરીઝની પાંચમી T20I મેચ તિરુવનંતપુરમના ગ્રીનફિલ્ડ ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમ ખાતે રમાશે. આ મેદાન પર બોલર્સનો દબદબો જોવા મળે છે. બેટ્સમેનને તિરુવનંતપુરમમાં રન બનાવવા માટે સંઘર્ષ કરવો પડે છે. જોકે, ઝાકળ અહીં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે, જેના કારણે રન ચેઝ ખૂબ સરળ બને છે. આનો અર્થ એ છે કે ટોસ જીતનાર કેપ્ટન પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લઈ શકે છે.
આંકડા શું કહે છે?
તિરુવનંતપુરમ મેદાનમાં અત્યાર સુધીમાં કુલ 7 મેચ રમાઈ છે. જેમાંથી પહેલા બેટિંગ કરનારી ટીમે 4 મેચ જીતી છે, જ્યારે પહેલા બોલિંગ કરનારી ટીમે 3 મેચ જીતી છે. અહીં પ્રથમ ઈનિંગનો એવરેજ સ્કોર 155 રન છે. જ્યારે બીજી ઈનિંગનો એવરેજ સ્કોર 143 રન છે. ભારતે આ જ મેદાન પર ઓસ્ટ્રેલિયા સામે 4 વિકેટ ગુમાવીને 235 રન બનાવ્યા હતા, જે આ મેદાન પરનો સૌથી મોટો સ્કોર છે.
ટીમ ઈન્ડિયા ચોથી મેચ હારી ગઈ
સિરીઝની ચોથી T20I મેચમાં ટીમ ઈન્ડિયાની ન્યુઝીલેન્ડ સામે 50 રનથી હાર થઈ હતી. પહેલા બેટિંગ કરતા ન્યુઝીલેન્ડે 20 ઓવરમાં 7 વિકેટ ગુમાવીને 215 રન બનાવ્યા હતા. જોકે, આ ટાર્ગેટ ચેઝ કરતી વખતે ભારત 165 રનમાં ઓલઆઉટ થઈ ગયું હતું. ટીમ તરફથી ફક્ત શિવમ દુબેએ 23 બોલમાં 65 રનની શાનદાર ઈનિંગ રમી હતી. જ્યારે રિંકુ સિંહે 39 રનનું યોગદાન આપ્યું હતું.

