IND vs NZ / પાંચમી T20Iમાં ફરી બદલાઈ શકે છે ભારતની પ્લેઈંગ ઈલેવન, શું સંજુ સેમસન બહાર થશે?

ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચેની T20I સિરીઝની પાંચમી અને છેલ્લી મેચ તિરુવનંતપુરમમાં રમાશે. ન્યુઝીલેન્ડે ચોથી T20Iમાં શાનદાર વાપસી કરતા 50 રનથી જીત મેળવી હતી. સમગ્ર સિરીઝ દરમિયાન ઉત્તમ ફોર્મમાં રહેલા ટીમ ઈન્ડિયાના બેટિંગ ઓર્ડરને ચોથી મેચમાં ખૂબ જ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો. આ મેચમાં ફક્ત શિવમ દુબે અને રિંકુ સિંહ ફોર્મમાં દેખાયા હતા, શિવમ દુબેએ ઝડપી 65 રન બનાવ્યા હતા, પરંતુ તેના બીજા છેડેથી કોઈ ટેકો ન મળ્યો. હવે સિરીઝની છેલ્લી T20Iમાં ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ ઈલેવનમાં કેટલાક ફેરફારો જોવા મળી શકે છે.
શું ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ ઈલેવનમાં ફરી ફેરફાર થશે?
ચોથી T20Iમાં હાર બાદ ટીમ ઈન્ડિયા સિરીઝની છેલ્લી મેચ માટે તેની પ્લેઈંગ ઈલેવનમાં કેટલાક ફેરફારો કરી શકે છે. સતત 4 મેચમાં સતત નિષ્ફળતાઓ બાદ સંજુ સેમસનને પ્લેઈંગ ઈલેવનમાંથી બહાર કરી શકાય છે. સંજુની જગ્યાએ ઈશાન કિશનને ટીમમાં તક મળી શકે છે.
ઈશાન ઈજાના કારણે ચોથી મેચમાં પ્લેઈંગ ઈલેવનનો ભાગ નહતો. દરમિયાન ઈજાને કારણે છેલ્લી 3 T20I મેચમાં બહાર રહેલો અક્ષર પટેલ સ્વસ્થ થયા પછી ટીમમાં પાછો ફરી શકે છે. જો અક્ષર પાછો ફરે છે, તો હર્ષિત રાણાને બહાર બેસવું પડી શકે છે.
ટીમ ઈન્ડિયા ચોથી મેચ હારી ગઈ
સિરીઝની ચોથી મેચમાં ટીમ ઈન્ડિયા ન્યુઝીલેન્ડ સામે 50 રનથી હારી ગઈ હતી. પ્રથમ બેટિંગ કરતા ન્યુઝીલેન્ડે 20 ઓવરમાં 7 વિકેટ ગુમાવીને 215 રન બનાવ્યા હતા. જોકે, આ ટાર્ગેટ ચેઝ કરતા ભારત 165 રનમાં ઓલઆઉટ થઈ ગયું હતું. ટીમ તરફથી ફક્ત શિવમ દુબેએ 23 બોલમાં 65 રનની તોફાની ઈનિંગ રમી હતી, જ્યારે રિંકુ સિંહે 39 રનનું યોગદાન આપ્યું હતું.
ટીમ ઈન્ડિયાની સંભવિત પ્લેઈંગ ઈલેવન
અભિષેક શર્મા, સંજુ સેમસન/ઈશાન કિશન, સૂર્યકુમાર યાદવ, રિંકુ સિંહ, હાર્દિક પંડ્યા, શિવમ દુબે, અક્ષર પટેલ/હર્ષિત રાણા, રવિ બિશ્નોઈ, અર્શદીપ સિંહ, જસપ્રિત બુમરાહ, કુલદીપ યાદવ.

