કોણ હશે ટીમ ઈન્ડિયાનો આગામી વિરાટ કોહલી? ઈરફાન પઠાણે મોટું નિવેદન આપતા આ ખેલાડીનું લીધું નામ

ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ ઓલરાઉન્ડર ઈરફાન પઠાણે એક મોટું નિવેદન આપતા કહ્યું છે, તેણે પોતાના વિચારો વ્યક્ત કરતા ટીમ ઈન્ડિયા માટે આગામી વિરાટ કોહલી કોણ બનશે તે જણાવ્યું છે. તેના મતે શુભમન ગિલ ટીમ ઈન્ડિયાનો આગામી વિરાટ કોહલી બનવાની સંપૂર્ણ ક્ષમતા ધરાવે છે. ગિલ હાલમાં ભારતની ટેસ્ટ અને ODI ટીમનો કેપ્ટન છે અને તેને ભારતીય ક્રિકેટના ભવિષ્યના સુપરસ્ટાર તરીકે જોવામાં આવી રહ્યો છે. એટલું જ નહીં, તેણે ટેસ્ટ ફોર્મેટમાં વિરાટ કોહલી દ્વારા ખાલી કરાયેલા નંબર-4 પર બેટિંગ કરવાનું પણ શરૂ કરી દીધું છે.
ઈરફાન પઠાણે જૂના દિવસો યાદ કર્યા
ઈરફાન પઠાણે જૂના દિવસોને યાદ કરતા જણાવ્યું કે, કેવી રીતે વિરાટ કોહલીની કારકિર્દીના શરૂઆતના દિવસોમાં તેની સરખામણી સચિન તેંડુલકર સાથે કરવામાં આવતી હતી. તેવી જ રીતે, હવે શુભમન ગિલની સરખામણી વિરાટ કોહલી સાથે થઈ રહી છે. ઈરફાન પઠાણે કહ્યું, "ગિલ અત્યંત પ્રતિભાશાળી છે. ક્રિકેટમાં સરખામણીઓ તો હંમેશા થતી રહે છે. એક સમય હતો જ્યારે વિરાટની સરખામણી સચિન સાથે થતી હતી, જેમણે 25-30 હજાર રન બનાવ્યા છે. મને લાગે છે કે ગિલમાં પણ આ સિદ્ધિ હાંસલ કરવાની ક્ષમતા છે. તેની પાસે અનેક પ્રકારના શોટ્સ રમવાની આવડત છે. મને લાગે છે કે એક ક્રિકેટર તરીકે તેને જેટલી વધુ જવાબદારીઓ અને પડકારો મળશે, તેટલો જ તે વધુ સારો ખેલાડી બનશે. મેં જોયું છે કે તે ક્રિકેટ માટે હંમેશા તત્પર રહે છે."
પૂર્વ ક્રિકેટરોના અલગ-અલગ મત
જોકે, દરેક વ્યક્તિ પૂર્વ ક્રિકેટર ઈરફાન પઠાણ સાથે સહમત નથી. આ પહેલા ઈંગ્લેન્ડના દિગ્ગજ સ્પિનર મોન્ટી પનેસરે શંકા વ્યક્ત કરી હતી કે શુભમન ગિલ કદાચ ટીમ ઈન્ડિયામાં વિરાટ કોહલીની જગ્યા ક્યારેય નહીં લઈ શકે. ઈરફાન પઠાણનું આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે ODI અને ટેસ્ટ ટીમના કેપ્ટન હોવા છતાં શુભમન ગિલને T20 વર્લ્ડ કપ 2026 માટેની ભારતીય ટીમમાંથી બહાર કરી દેવામાં આવ્યો છે. T20 ટીમના વાઈસ-કેપ્ટન હોવા છતાં વર્લ્ડ કપની ટીમમાં સ્થાન ન મળતા ઘણાને આશ્ચર્ય થયું છે. બીજી તરફ, કેપ્ટન બન્યા બાદ શુભમન ગિલે કહ્યું હતું કે કેપ્ટનશિપની જવાબદારીની તેની રોહિત શર્મા અને વિરાટ કોહલી સાથેની મિત્રતા પર કોઈ અસર નહીં પડે.

