IPL 2026માંથી બહાર થશે બાંગ્લાદેશી ખેલાડી મુસ્તફિઝુર રહેમાન, BCCIએ શાહરૂખ ખાનની ટીમને આપ્યો આદેશ
બાંગ્લાદેશમાં હિન્દુઓ પર અત્યાચાર થઈ રહ્યા છે અને આના રોજ નવા કિસ્સાઓ બહાર આવી રહ્યા છે. KKRએ IPL 2026ના મિની ઓક્શનમાં મુસ્તફિઝુર રહેમાનને સાઈન કર્યો હતો. હવે સિઝન શરૂ થવાના થોડા મહિના પહેલા KKRને સોશિયલ મીડિયા પર ભારે ટીકાનો સામનો કરવો પડ્યો હતો. શાહરૂખ ખાનની ટીમે તેને સાઈન કર્યો તે અંગે બધા નિરાશ હતા. હવે BCCIએ KKRને મુસ્તફિઝુર રહેમાનને રિલીઝ કરવાનો કડક આદેશ જારી કર્યો છે.
મુસ્તફિઝુર રહેમાન IPL 2026 માં રમશે નહીં
મુસ્તફિઝુર રહેમાન IPL 2026ના ઓક્શનમાં વેચાયેલો એકમાત્ર બાંગ્લાદેશી ખેલાડી હતો. આ કારણે KKRના ફેન્સ નિરાશ થયા છે, કારણ કે બાંગ્લાદેશમાં હિન્દુઓ પર અત્યાચારના કિસ્સાઓ સતત બહાર આવી રહ્યા છે. દરમિયાન, ફેન્સે KKRના સહ-માલિક શાહરૂખ ખાનને મુસ્તફિઝુર રહેમાનને રિલીઝ કરવા અપીલ કરી હતી. હવે BCCI સચિવ દેવજીત સૈકિયાએ આ બાબતે અપડેટ આપ્યું છે, જેમાં જણાવ્યું છે કે તેમણે KKRને મુસ્તફિઝુરને મુક્ત કરવા અને તેના બદલામાં એક ખેલાડી શોધવાનો નિર્દેશ આપ્યો છે.
ANI સાથે વાત કરતા, સૈકિયાએ કહ્યું, "તાજેતરના વિકાસને પગલે BCCIએ KKR ફ્રેન્ચાઈઝીને બાંગ્લાદેશી ખેલાડી મુસ્તફિઝુર રહેમાનને તેની ટીમમાંથી રિલીઝ કરવાનો નિર્દેશ આપ્યો છે. BCCIએ તેને એ પણ જાણ કરી છે કે જો તે કોઈ રિપ્લેસમેન્ટની વિનંતી કરશે, તો તેને BCCI દ્વારા પરવાનગી આપવામાં આવશે."
IPLમાં 5 ટીમ માટે રમી ચૂક્યો હતો મુસ્તફિઝુર
મુસ્તફિઝુર રહેમાન બાંગ્લાદેશના શાનદાર બોલર્સમાંથી એક છે અને દુનિયાભરની લીગમાં તે રમતો દેખાય છે. તે IPLમાં 2016થી રમી રહ્યો હતો. અત્યાર સુધી બાંગ્લાદેશનો આ ખેલાડી સનરાઈઝર્સ હૈદરાબાદ, મુંબઈ ઈન્ડિયન્સ, રાજસ્થાન રોયલ્સ, દિલ્હી કેપિટલ્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સ માટે પણ રમી ચૂક્યો હતો. તેણે IPLમાં 60 મેચમાં 65 વિકેટ ઝડપી હતી. આ વખતે IPL 2026 માટે તેને મિની ઓક્શનમાં KKR દ્વારા 9.20 કરોડ રૂપિયામાં ખરીદવામાં આવ્યો હતો. જોકે હવે વિરોધને પગલે તેને કાઢી મૂકવાની ફરજ પડશે.

