VIDEO / ભારતીય મહિલા ટીમે મહાકાલેશ્વર મંદિરમાં દર્શન સાથે કરી નવા વર્ષની શરૂઆત, ભસ્મ આરતીમાં લીધો ભાગ

ભારતીય મહિલા ક્રિકેટ ટીમે નવા વર્ષની શરૂઆત ભગવાનને યાદ કરીને કરી છે. વર્લ્ડ કપ વિજેતા ભારતીય મહિલા ક્રિકેટ ટીમના સભ્યોએ ઉજ્જૈનના મહાકાલેશ્વર જ્યોતિર્લિંગ મંદિરમાં ભસ્મ આરતીમાં ભાગ લીધો હતો. હરમનપ્રીત કૌરની આગેવાની હેઠળની ટીમે વર્ષનો અંત શાનદાર રીતે કર્યો હતો. ભારતીય મહિલા ટીમે તાજેતરમાં 5 મેચની T20I સિરીઝમાં શ્રીલંકાને ક્લીન સ્વીપ કર્યું હતું.
ભારતીય મહિલા ટીમે મહાકાલેશ્વર મંદિરની મુલાકાત લઈને નવા વર્ષની શરૂઆત કરી. સોશિયલ મીડિયા પર શેર કરાયેલા એક વીડિયોમાં સ્મૃતિ મંધાના, શેફાલી વર્મા, રેણુકા સિંહ ઠાકુર, સ્નેહ રાણા, રાધા યાદવ અને અરુંધતી રેડ્ડી સહિતની ખેલાડીઓ મંદિર પરિસરમાં બેસીને પ્રાર્થના કરતી જોવા મળે છે. ખેલાડીઓએ પુજારી પાસેથી આશીર્વાદ પણ મેળવ્યા.
ભારતે તાજેતરમાં તિરુવનંતપુરમના ગ્રીનફિલ્ડ ઈન્ટરનેશનલ સ્ટેડિયમ ખાતે રમાયેલી પાંચમી અને છેલ્લી મેચમાં શ્રીલંકાને 15 રનથી હરાવીને T20I સિરીઝમાં 5-0થી ક્લીન સ્વીપ કર્યું હતું. T20I મેચોમાં આ ભારતનો આ ત્રીજો 5-0થી સિરીઝ વિજય હતો. અગાઉ, તેણે 2019માં વેસ્ટ ઈન્ડિઝ (વિદેશ) અને 2024માં બાંગ્લાદેશ (વિદેશ) સામે પણ આવી સિદ્ધિ હાંસલ કરી હતી.
ભારતીય ટીમ હાલમાં T20 વર્લ્ડ કપ 2026ની તૈયારી કરી રહી છે. હરમનપ્રીત કૌરની ટીમે શ્રીલંકા સામે તેની તૈયારીઓ વધુ મજબૂત બનાવી છે. અગાઉ 2024માં યોજાયેલી આ ટુર્નામેન્ટમાં ભારતીય મહિલા ટીમ ન્યુઝીલેન્ડ અને ઓસ્ટ્રેલિયા સામે હારીને પ્રથમ રાઉન્ડમાંથી બહાર થઈ ગઈ હતી.
ત્યારથી હરમનપ્રીત કૌરની આગેવાની હેઠળની ટીમ એક પણ સિરીઝ નથી હારી. ભારતીય મહિલા ટીમે વેસ્ટ ઈન્ડિઝ (2-1), ઈંગ્લેન્ડ (3-2) અને શ્રીલંકા (5-0) સામે જીત મેળવી હતી. ભારત T20 વર્લ્ડ કપ પહેલા પોતાની તૈયારીઓને અંતિમ સ્વરૂપ આપવા માટે ફેબ્રુઆરી 2026માં ઓસ્ટ્રેલિયા અને મે 2026માં ઈંગ્લેન્ડ સામે ટકરાશે.

