શું ICCએ માની લીધી બાંગ્લાદેશની માંગ? ભારતની બહાર યોજાશે T20 વર્લ્ડ કપ 2026ની મેચ?
ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC) બાંગ્લાદેશની T20 વર્લ્ડ કપ મેચને શિફ્ટ કરવા તૈયાર થઈ શકે છે. બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડ (BCB) એ સુરક્ષા ચિંતાઓને ટાંકીને વેન્યુ બદલવાની ઔપચારિક વિનંતી કર્યાના થોડા કલાકો પછી એક નવો અહેવાલ આવ્યો હતો.
આ ઘટનાક્રમ મુસ્તફિઝુર રહેમાનને ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) માંથી બહાર કરવા અંગેના વિવાદ બાદ સામે આવ્યો છે. આ ઘટના બાદ BCBએ ICCને પત્ર લખીને વિનંતી કરી હતી કે તેની T20 વર્લ્ડ કપ મેચ સહ-યજમાન શ્રીલંકામાં શિફ્ટ કરવામાં આવે. જોકે, હજુ સુધી કોઈ અંતિમ નિર્ણય નથી લેવામાં આવ્યો, ત્યારે ICC આ વિનંતી પર ગંભીરતાથી વિચાર કરી રહ્યું હોવાનું માનવામાં આવે છે, જેમાં ખેલાડીઓની સલામતી મહત્ત્વની બાબત છે.
KKRએ રહેમાનને રિલીઝ કર્યો
આ પહેલા શનિવારે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) એ IPL ફ્રેન્ચાઈઝી કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) ને મુસ્તફિઝુર રહેમાનને રિલીઝ કરવાનો નિર્દેશ આપ્યો હતો, જેને મિની ઓક્શનમાં 9.20 કરોડ રૂપિયામાં ખરીદવામાં આવ્યો હતો. આ નિર્ણય ભારતમાં કેટલાક વિરોધ વચ્ચે આવ્યો છે, જેમાં બાંગ્લાદેશમાં હિન્દુ લઘુમતીઓ પરના કથિત હુમલાઓ વચ્ચે બાંગ્લાદેશી ક્રિકેટરને IPLમાં રમવાની મંજૂરી આપવા બદલ BCCIની ટીકા કરવામાં આવી હતી.
બાંગ્લાદેશ સરકારે દરમિયાનગીરી કરી
BCBએ આ નિર્ણયની સખત ટીકા કરી હતી અને ત્યારબાદ બાંગ્લાદેશ સરકારે દરમિયાનગીરી કરી હતી. મુસ્તફિઝુરના રિલીઝ થયા બાદ વચગાળાની સરકારે BCBને ICC સમક્ષ આ મુદ્દો ઉઠાવવા અને વર્લ્ડ કપની મેચને ભારતની બહાર ખસેડવાની માંગ કરવાનો નિર્દેશ આપ્યો હતો.
એક નિવેદનમાં બાંગ્લાદેશના રમતગમત સલાહકાર આસિફ નજરુલે કહ્યું હતું કે દેશ બાંગ્લાદેશ અને તેના ક્રિકેટરોનું અપમાન સહન નહીં કરે. તેણે એ પણ સંકેત આપ્યો હતો કે સરકાર બાંગ્લાદેશમાં IPL મેચોના પ્રસારણને રોકવાનું વિચારી રહી છે.
BCBએ રવિવાર બપોરે ઔપચારિક પત્ર મોકલ્યો હતો. ICC ટૂંક સમયમાં જવાબ આપે તેવી અપેક્ષા છે. જો ICC BCBની વિનંતી સ્વીકારે છે, તો પાકિસ્તાન અને બાંગ્લાદેશ બંને તેમની બધી T20 વર્લ્ડ કપ મેચ શ્રીલંકામાં રમશે.

