વૈભવ સૂર્યવંશીએ સાઉથ આફ્રિકા સામે રચ્યો ઈતિહાસ, આવું કરનાર વિશ્વનો પ્રથમ ખેલાડી બન્યો

વૈભવ સૂર્યવંશીએ શનિવાર, 3 જાન્યુઆરીના રોજ બેનોનીના વિલોમૂર પાર્ક ખાતે સાઉથ આફ્રિકા અંડર-19 સામે ત્રણ મેચની યૂથ ODI સિરીઝની પ્રથમ મેચમાં ભારતીય અંડર-19 ક્રિકેટ ટીમનું નેતૃત્વ કરીને રેકોર્ડ બુકમાં પોતાનું નામ નોંધાવ્યું છે. કેપ્ટન તરીકેની તેની પહેલી મેચમાં તે 12 બોલમાં માત્ર 11 રન જ બનાવી શક્યો હતો, પરંતુ આ મેચ તેની યુવા અને ઝડપથી આગળ વધતી કારકિર્દીમાં એક ઐતિહાસિક સિદ્ધિ સાબિત થઈ.
સૂર્યવંશીએ રેકોર્ડ બનાવ્યો
માત્ર 14 વર્ષની ઉંમરે સૂર્યવંશી યૂથ ODIમાં ટીમનું નેતૃત્વ કરનાર વિશ્વનો સૌથી યુવા ખેલાડી બન્યો છે. તેણે 16 વર્ષની ઉંમર પહેલા કોઈપણ ફોર્મેટમાં આંતરરાષ્ટ્રીય અંડર-19 મેચમાં ટીમનું નેતૃત્વ કરનાર પ્રથમ ક્રિકેટર બનીને ઈતિહાસ પણ રચ્યો છે. આ સિદ્ધિ સાથે તેણે પાકિસ્તાનના અહેમદ શહેઝાદનો 19 વર્ષ જૂનો રેકોર્ડ તોડ્યો છે.
નિયમિત કેપ્ટન આયુષ મ્હાત્રે અને વાઈસ-કેપ્ટન વિહાન મલ્હોત્રા ઈજાગ્રસ્ત હોવાને કારણે સૂર્યવંશીને આ ત્રણ મેચની સિરીઝ માટે કેપ્ટનશિપ સોંપવામાં આવી હતી. જોકે, બંને ખેલાડીઓ 15 જાન્યુઆરીથી શરૂ થઈ રહેલા અને ઝિમ્બાબ્વે અને નામિબિયામાં યોજાનારા આગામી અંડર-19 વર્લ્ડ કપ માટે પાછા ફરે તેવી અપેક્ષા છે.
વૈભવે સતત ધમાલ મચાવી રહ્યો છે
અગાઉ, સૂર્યવંશીએ વિજય હજારે ટ્રોફીમાં પોતાની રેકોર્ડબ્રેક અને વિસ્ફોટક બેટિંગથી હેડલાઈન્સ બનાવી હતી. રાંચીમાં અરુણાચલ પ્રદેશ સામે બિહાર માટે રમતા, તેણે માત્ર 36 બોલમાં સદી ફટકારી હતી. 84 બોલમાં 190 રનની તેની વિસ્ફોટક ઈનિંગમાં 16 ચોગ્ગા અને 15 છગ્ગાનો સમાવેશ થાય છે, આ ઈનિંગથી બિહારને અરુણાચલ પ્રદેશ સામે 397 રનની મોટી જીત મેળવવામાં મદદ મળી હતી.
આ ઐતિહાસિક ઈનિંગ દરમિયાન વૈભવ સૂર્યવંશીએ લિસ્ટ A ક્રિકેટમાં સૌથી ઝડપી 150 રન બનાવવાનો એબી ડી વિલિયર્સનો લાંબા સમયથી ચાલતો રેકોર્ડ પણ તોડ્યો હતો. તેણે 10 બોલ પહેલા આ સિદ્ધિ મેળવી હતી. વધુમાં, તેણે પોતાની ઈનિંગમાં ફટકારેલા 15 છગ્ગા લિસ્ટ A ફોર્મેટમાં કોઈપણ ભારતીય બેટ્સમેન દ્વારા ફટકારવામાં આવેલા સૌથી વધુ છગ્ગા છે.
જુનિયર અને ઘરેલુ ક્રિકેટમાં તેના શાનદાર પ્રદર્શનના આધારે, સૂર્યવંશીને તાજેતરમાં 2025-26 રણજી ટ્રોફી સિઝનના પહેલા બે રાઉન્ડ માટે બિહારના વાઈસ કેપ્ટન તરીકે નિયુક્ત કરવામાં આવ્યો હતો. વધુમાં, તેને તાજેતરમાં નવી દિલ્હીના રાષ્ટ્રપતિ ભવનમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ દ્વારા પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાળ પુરસ્કાર (PMRBP) એનાયત કરવામાં આવ્યો હતો. PMRBPએ ભારતનું સર્વોચ્ચ નાગરિક સન્માન છે, જે વિવિધ ક્ષેત્રોમાં અસાધારણ સિદ્ધિ અને શ્રેષ્ઠતા માટે 5થી 18 વર્ષની ઉંમરના બાળકોને આપવામાં આવે છે.

