ધ્રુવ જુરેલને શાનદાર પ્રદર્શનનું મળશે ઈનામ, સાઉથ આફ્રિકા સામે રમવું લગભગ નિશ્ચિત; આ ખેલાડીનું કપાશે પત્તું

વિકેટકીપર-બેટ્સમેન રિષભ પંતને પણ 14 નવેમ્બરથી શરૂ થતી સાઉથ આફ્રિકા સામેની બે મેચની ટેસ્ટ સિરીઝ માટે ભારતીય ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. પંતને આ સિરીઝ માટે વાઈસ કેપ્ટન બનાવવામાં આવ્યો છે. પંતની વાપસી સાથે, એ સ્પષ્ટ થઈ ગયું છે કે તે આગામી ટેસ્ટ સિરીઝમાં વિકેટકીપિંગની જવાબદારી સંભાળશે.
રિષભ પંતની ગેરહાજરીમાં ધુવ જુરેલને પ્લેઈંગ ઈલેવનમાં સામેલ કરવામાં આવ્યો હતો અને તેણે વિકેટકીપિંગ પણ કર્યું હતું. જુરેલ પણ સાઉથ આફ્રિકા સામેની સિરીઝ માટે ભારતીય ટેસ્ટ ટીમનો ભાગ છે. જુરેલ ઉત્તમ ફોર્મમાં છે, તેથી તેને પ્લેઈંગ ઈલેવનમાંથી બહાર રાખવો યોગ્ય રહેશે. જુરેલના ઉત્તમ ફોર્મને જોતા ટીમ મેનેજમેન્ટ અને સિલેકશન કમિટી તેને બાકાત રાખવાના પક્ષમાં નથી.
સમાચાર એજન્સી PTIના અહેવાલ મુજબ, આગામી ટેસ્ટ સિરીઝમાં ધ્રુવ જુરેલને સ્પેશિયાલિસ્ટ બેટ્સમેન તરીકે પ્લેઈંગ ઈલેવનમાં સામેલ કરી શકાય છે. જુરેલ માટે બેટિંગ ક્રમમાં બે સ્થાનો પર વિચાર કરવામાં આવ્યો હતો. વેસ્ટ ઈન્ડિઝ સામેની ટેસ્ટ સિરીઝમાં સાઈ સુદર્શને નંબર 3 પર સારું પ્રદર્શન કર્યું હતું, તેથી તેનું સ્થાન યથાવત રહેશે. આ કિસ્સામાં, જુરેલને નીતિશ કુમાર રેડ્ડીના સ્થાને મિડલ ઓર્ડરમાં સામેલ કરી શકાય છે. ભારતીય પરિસ્થિતિઓમાં નીતિશની બોલિંગની ઓછી જરૂર પડશે, જે જુરેલના દાવાને મજબૂત બનાવે છે.
ટીમ મેનેજમેન્ટ સુદર્શનને વધુ તકો આપવા માંગે છે
BCCIના એક સૂત્રએ જણાવ્યું હતું કે, "ધ્રુવ જુરેલ સ્પેશિયાલિસ્ટ બેટ્સમેન તરીકે રમે તેવી શક્યતા છે. બે સ્થાનો છે જેમાં તે ફિટ થઈ શકે છે. એક નંબર 3 છે, જ્યાં સાઈ સુદર્શન બેટિંગ કરે છે. સુદર્શને તેની છેલ્લી ટેસ્ટમાં અડધી સદી ફટકારી હતી અને ટીમ મેનેજમેન્ટ આ સ્થાન પર સાતત્ય ઈચ્છે છે. બીજું સ્થાન નીતિશ કુમાર રેડ્ડીનું છે. નીતિશને જુરેલથી આગળ નથી રમાડી શકાતો, કારણ કે ભારતીય પરિસ્થિતિઓમાં તેની બોલિંગની વધુ જરૂર નહીં રહે."
ધ્રુવ જુરેલે છેલ્લા કેટલાક મહિનામાં ઘરેલુ મેચોમાં સતત સારું પ્રદર્શન કર્યું છે. તેણે તેની છેલ્લી આઠ ફર્સ્ટ-ક્લાસ ઈનિંગ્સમાં ત્રણ સદી, એક અડધી સદી અને એક 40 પ્લસ સ્કોર બનાવ્યો છે. સાઉથ આફ્રિકા-A સામેની બીજી ફર્સ્ટ-ક્લાસ મેચમાં, જુરેલે બંને ઈનિંગ્સમાં સદી ફટકારી. આ મજબૂત ફોર્મ પ્લેઈંગ ઈલેવનમાં સ્થાન અપાવવા માટે પૂરતું છે. હેડ કોચ ગૌતમ ગંભીર 8 નંબર સુધી મજબૂત બેટિંગ લાઈન-અપની તરફેણ કરે છે, જ્યારે ત્રણ સ્પિનર અને બે ફાસ્ટ બોલર સાથે મેદાનમાં ઉતારવાની યોજના છે.
ભારતીય ટેસ્ટ ટીમે અગાઉ પણ બે વિકેટકીપરને એકસાથે રમતા જોયા છે. 1986માં, કિરણ મોરે અને ચંદ્રકાંત પંડિત પ્લેઈંગ ઈલેવનનો ભાગ હતા. ગયા વર્ષે, ધ્રુવ જુરેલ અને રિષભ પંત ઓસ્ટ્રેલિયા સામે પર્થ ટેસ્ટમાં સાથે રમ્યા હતા. મર્યાદિત ઓવરના ક્રિકેટમાં મહેન્દ્ર સિંહ ધોની સાથે પણ દિનેશ કાર્તિક અથવા રિષભ પંત રમ્યા છે.

