ઈશાન કિશનને T20 વર્લ્ડ કપની સ્કવોડમાં કેમ મળી જગ્યા? ચીફ સિલેક્ટર અજિત અગરકરે આપ્યો જવાબ

બધા ફેન્સ T20 વર્લ્ડ કપ 2026 માટે ભારતીય સ્કવોડની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા, જેની હવે જાહેરાત કરવામાં આવી છે. ભારતીય સ્કવોડને જોવામાં આવે તો તેમાં બધાને ચોંકાવનારું નામ ઈશાન કિશનનું છે. સ્કવોડમાં તેને સ્થાન મળવા પાછળનું મુખ્ય કારણ સ્થાનિક ક્રિકેટમાં તેનું શાનદાર પ્રદર્શન માનવામાં આવે છે, જેમાં 2025 સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં કેપ્ટન અને બેટ્સમેન તરીકે તેનું શાનદાર પ્રદર્શન પણ સામેલ છે. ચીફ સિલેક્ટર અજિત અગરકરે ભારતીય સ્કવોડની જાહેરાત દરમિયાન ઈશાન કિશનના સમાવેશ પાછળનું કારણ જણાવ્યું હતું.
આ કારણે ઈશાન કિશનને વર્લ્ડ કપ સ્કવોડમાં સ્થાન મળ્યું
જ્યારે ચીફ સિલેક્ટર અજિત અગરકરને પ્રેસ કોન્ફરન્સમાં ભારતની T20 વર્લ્ડ કપ 2026 સ્કવોડમાં ઈશાન કિશનના સમાવેશ વિશે પૂછવામાં આવ્યું, ત્યારે તેણે જવાબ આપ્યો, "ઈશાન કિશન મર્યાદિત ઓવરના ફોર્મેટમાં ટોપ ઓર્ડરમાં બેટિંગ કરે છે અને હાલમાં ઉત્તમ ફોર્મમાં છે. તે પહેલા પણ ભારતીય ટીમ માટે રમી ચૂક્યો છે. તે ઘણા સમયથી ટીમનો ભાગ નથી કારણ કે રિષભ પંત અને ધ્રુવ જુરેલથી તેનાથી આગળ છે. વર્લ્ડ કપ ટીમની વાત કરીએ તો, અમને લાગ્યું કે ટોપ ઓર્ડરમાં વિકેટકીપર-બેટ્સમેનની જરૂર છે જે વધુ મજબૂતી આપશે, તેથી જ અમે ઈશાન કિશનને પસંદ કરવાનો નિર્ણય લીધો."
સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં શાનદાર પ્રદર્શન
ઈશાન કિશનને ભારતીય ક્રિકેટના સૌથી પ્રતિભાશાળી વિકેટકીપર-બેટ્સમેનોમાંથી એક માનવામાં આવે છે, જે આંતરરાષ્ટ્રીય ક્રિકેટના ત્રણેય ફોર્મેટમાં ટીમ ઈન્ડિયા માટે રમ્યો છે. દરમિયાન, ઈશાન કિશન જે છેલ્લા બે વર્ષથી ટીમનો ભાગ નહતો, તેણે તાજેતરમાં પૂર્ણ થયેલી સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં 10 મેચમાં 517 રન બનાવીને ટીમ ઈન્ડિયામાં વાપસી માટે મજબૂત દાવો રજૂ કર્યો હતો. હવે ઈશાનની વાપસી સાથે બધાની નજર તેના પર છે કે તેને પ્લેઈંગ ઈલેવનમાં રમવાની તક મળશે કે નહીં.
T20 વર્લ્ડ કપ 2026 માટે ભારતીય સ્કવોડ
સૂર્યકુમાર યાદવ (કેપ્ટન), અભિષેક શર્મા, સંજુ સેમસન (વિકેટકીપર), તિલક વર્મા, હાર્દિક પંડ્યા, શિવમ દુબે, અક્ષર પટેલ (વાઈસ-કેપ્ટન), જસપ્રીત બુમરાહ, હર્ષિત રાણા, અર્શદીપ સિંહ, કુલદીપ યાદવ, વરુણ ચક્રવર્તી, વોશિંગ્ટન સુંદર, ઈશાન કિશન (વિકેટકીપર).

