T20 World Cup 2026 / શુભમન ગિલને કેમ પડતો મૂકાયો? ટીમમાંથી બહાર થયા 3 ખેલાડીઓ

BCCI દ્વારા 2026ના T20 વર્લ્ડ કપ માટે ભારતીય ટીમની જાહેરાત કરવામાં આવી છે, જેમાં અનેક ચોંકાવનારા નિર્ણયો લેવામાં આવ્યા છે. ચીફ સિલેક્ટર અજીત અગરકર અને કેપ્ટન સૂર્યકુમાર યાદવે શનિવારે જાહેર કરેલી આ ટીમમાં સ્ટાર બેટર શુભમન ગિલને બહારનો રસ્તો બતાવવામાં આવ્યો છે, જે આ જાહેરાતનું સૌથી મોટું આશ્ચર્ય માનવામાં આવે છે.
જિતેશ શર્માને પણ તક ના મળી
આગામી T20 વર્લ્ડ કપ માટે જાહેર કરાયેલી 15 સભ્યોની ભારતીય ટીમમાં મોટા ફેરફાર જોવા મળ્યા છે. ટીમમાં લાંબા સમયથી વાઈસ-કેપ્ટન અને ઓપનિંગની જવાબદારી સંભાળી રહેલા શુભમન ગિલને ખરાબ ફોર્મને કારણે પડતો મૂકવામાં આવ્યો છે. તેની સાથે જિતેશ શર્મા અને શાહબાઝ અહમદનું પત્તું પણ કપાયું છે.
શુભમન ગિલને કેમ પડતો મૂકાયો?
પ્રેસ કોન્ફરન્સ દરમિયાન અજીત અગરકરે સ્પષ્ટતા કરી હતી કે શુભમન ગિલને બહાર કરવાનો નિર્ણય ટીમના કોમ્બિનેશનને ધ્યાનમાં રાખીને લેવામાં આવ્યો છે. અગરકરે ગિલના ફોર્મ અંગે ચિંતા વ્યક્ત કરતા જણાવ્યું કે આ વર્ષે T20માં તેનું પ્રદર્શન અત્યંત નિરાશાજનક રહ્યું છે અને તે એક પણ અડધી સદી ફટકારી શક્યો નથી. સિલેક્ટર્સના મતે જો ટોપ ઓર્ડરમાં વિકેટકીપર બેટર હોય તો મિડલ ઓર્ડરમાં અન્ય ખેલાડીઓને વધુ તક આપી શકાય છે.
ચોંકાવનારી એન્ટ્રી અને નવી જવાબદારી
ટીમમાં સૌથી મોટું સરપ્રાઈઝ ઈશાન કિશનની વાપસી છે. ઈશાન લાંબા સમયથી ટીમની બહાર હતો, પરંતુ સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં શાનદાર પ્રદર્શનને કારણે તેને ફરી તક મળી છે. આ ઉપરાંત, અનુભવી ઓલરાઉન્ડર અક્ષર પટેલને ટીમનો વાઈસ-કેપ્ટન બનાવવામાં આવ્યો છે, જે એક મોટો બદલાવ છે. ફિનિશર તરીકે રિંકુ સિંહની પસંદગી પણ ટીમની તાકાતમાં વધારો કરશે.
T20 વર્લ્ડ કપ 2026 માટે ટીમ ઈન્ડિયા
સૂર્યકુમાર યાદવ (કેપ્ટન), અક્ષર પટેલ (વાઈસ-કેપ્ટન), અભિષેક શર્મા, સંજુ સેમસન, તિલક વર્મા, હાર્દિક પંડ્યા, શિવમ દુબે, રિંકુ સિંહ, જસપ્રીત બુમરાહ, હર્ષિત રાણા, અર્શદીપ સિંહ, કુલદીપ યાદવ, વરુણ ચક્રવર્તી, વોશિંગ્ટન સુંદર અને ઈશાન કિશન.

