મુસ્તફિઝુર રહેમાનના વિવાદ બાદ BCBએ લીધો મોટો નિર્ણય, ભારતમાં T20 વર્લ્ડ કપ મેચ નહીં રમે બાંગ્લાદેશ!

બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડ (BCB) એ પુષ્ટિ આપી છે કે બાંગ્લાદેશ ક્રિકેટ ટીમ T20 વર્લ્ડ કપ 2026 માટે ભારતનો પ્રવાસ નહીં કરે. IPL 2026 પહેલા કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) ટીમમાંથી મુસ્તફિઝુર રહેમાનને બહાર કર્યા બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે.
BCBએ ટીમના ભારત પ્રવાસ ન કરવાના નિર્ણયનું કારણ સુરક્ષા સંબંધિત ચિંતાઓ ગણાવી હતી. ICCને મોકલવામાં આવેલા ઈ-મેઈલમાં BCBએ જણાવ્યું હતું કે, "સુરક્ષાના કારણોસર T20 વર્લ્ડ કપ માટે ટીમને ભારત મોકલવી શક્ય નથી."
BCBની મીટિંગ યોજાઈ
રવિવારે બપોરે BCBના 17 ડિરેક્ટરોએ મીટિંગ કરી અને T20 વર્લ્ડ કપ અંગે નવો નિર્ણય લીધો. મીટિંગમાં નિર્ણય લેવામાં આવ્યો કે બાંગ્લાદેશ તેની કોઈપણ વર્લ્ડ કપ મેચ ભારતીય ભૂમિ પર નહીં રમે. અગાઉ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) ની વિનંતી પર, કોલકાતા નાઈટ રાઈડર્સે બાંગ્લાદેશી ફાસ્ટ બોલર મુસ્તફિઝુર રહેમાનને ટીમમાંથી બહાર કરી દીધો હતો. રહેમાનને ગયા વર્ષના અંતમાં યોજાયેલા મિની ઓક્શનમાં KKR દ્વારા 9.20 કરોડ રૂપિયામાં ખરીદવામાં આવ્યો હતો.
રહેમાનને IPLમાંથી દૂર કરવામાં આવ્યો
મુસ્તફિઝુરને KKR ફ્રેન્ચાઈઝીમાંથી રિલીઝ કર્યા પછી, બાંગ્લાદેશ રમતગમત મંત્રાલયે BCBને ICCને ઔપચારિક રીતે મેચો શ્રીલંકા ખસેડવા વિનંતી કરવાનો નિર્દેશ આપ્યો. BCBએ તેના ખેલાડીઓની સલામતી અંગે ચિંતા વ્યક્ત કરી છે. સરકારી સલાહકાર આસિફ નઝરુલે જણાવ્યું છે કે જો કોઈ બાંગ્લાદેશી ક્રિકેટર કોન્ટ્રાક્ટ હોવા છતાં ભારતમાં નથી રમી શકતો, તો આખી ટીમ માટે વર્લ્ડ કપ માટે ભારત જવું સલામત નહીં રહે.
ICCની પ્રતિક્રિયાની રાહ
આ ઘટનાક્રમ વચ્ચે ICCએ હજુ સુધી BCBની વિનંતીનો જવાબ નથી આપ્યો. BCCIએ મેચોને શિફ્ટ કરવાના વિચારને "લોજિસ્ટિકલી અશક્ય" ગણાવ્યો છે. આસિફ નઝરુલે સોશિયલ મીડિયા પર એક નિવેદન જારી કરીને આ ઘટનાક્રમની પુષ્ટિ કરી છે અને ભારત પ્રવાસ કરવાની બાંગ્લાદેશની અનિચ્છા જણાવી છે.
નઝરુલે લખ્યું, "બાંગ્લાદેશ વર્લ્ડ કપ રમવા માટે ભારત નહીં જાય. બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડે આજે આ નિર્ણય લીધો છે. ભારતીય ક્રિકેટ બોર્ડની હિંસક સાંપ્રદાયિક નીતિને ધ્યાનમાં રાખીને અમે આ નિર્ણયનું સ્વાગત કરીએ છીએ." બાંગ્લાદેશે રવિવારે T20 વર્લ્ડ કપ માટે તેની ટીમની જાહેરાત કરી હતી. જેમાં લિટન દાસને કેપ્ટન અને સૈફ હસનને વાઈસ-કેપ્ટન બનાવવામાં આવ્યા છે.
વધુમાં, BCBએ તાત્કાલિક અસરથી IPLમાં રમવા માટે મુસ્તફિઝુર રહેમાનની પરવાનગી (NOC) રદ્દ કરવાનો નિર્ણય લીધો છે. આ નિર્ણય BCB અધિકારીઓ અને સંબંધિત અધિકારીઓ વચ્ચેની મીટિંગમાં લેવામાં આવ્યો હતો. આનો અર્થ એ થયો કે જો KKR પોતાનો નિર્ણય બદલશે તો પણ BCB સુરક્ષા ચિંતાઓને કારણે મુસ્તફિઝુર રહેમાનને IPLમાં રમવાની મંજૂરી નહીં આપે.
બાંગ્લાદેશનું વર્લ્ડ કપ શેડ્યૂલ
- બાંગ્લાદેશ vs વેસ્ટ ઈન્ડિઝ: 7 ફેબ્રુઆરી, કોલકાતા
- બાંગ્લાદેશ vs ઇટાલી: 9 ફેબ્રુઆરી, કોલકાતા
- બાંગ્લાદેશ vs ઇંગ્લેન્ડ: 14 ફેબ્રુઆરી, કોલકાતા
- બાંગ્લાદેશ vs નેપાળ: 17 ફેબ્રુઆરી, મુંબઈ
અગાઉ બાંગ્લાદેશમાં વધતા રાજકીય તણાવ વચ્ચે BCCIએ ભારતીય ટીમના બાંગ્લાદેશ પ્રવાસને મુલતવી રાખવાનો નિર્ણય લીધો હોવાના અહેવાલ છે. ભારતીય ટીમના પ્રવાસ અંગે અંતિમ નિર્ણય લેતા પહેલા BCCI સરકારની મંજૂરી લેશે. ભારત અને બાંગ્લાદેશ વચ્ચેના ક્રિકેટ સંબંધો ભારત અને પાકિસ્તાન જેવા જ બનતા જાય છે. હાલના સંજોગોમાં ભારત અને બાંગ્લાદેશ વચ્ચે દ્વિપક્ષીય ક્રિકેટ સંકટનો સામનો કરી રહ્યું છે.

