મુસ્તફિઝુરના IPLમાંથી બહાર થયા બાદ બાંગ્લાદેશનો બીજો મોટો નિર્ણય, સરકારે લીગના પ્રસારણ પર લગાવ્યો પ્રતિબંધ

ક્રિકેટમાં બાંગ્લાદેશ પણ હવે પાકિસ્તાનની રાહ પર ચાલી રહ્યું છે. એક દિવસ અગાઉ બાંગ્લાદેશે જાહેરાત કરી હતી કે તેમની ટીમ T20 વર્લ્ડકપ માટે ભારત નહીં આવે. હવે IPLના પ્રસારણ પર પણ રોક લગાવવાના આદેશ આપ્યા છે.
બાંગ્લાદેશની સરકારે શું કહ્યું?
બાંગ્લાદેશની સરકારે કહ્યું કે, "આગામી IPLમાં કોલકાતા નાઈટ રાઈડર્સ ટીમમાંથી બાંગ્લાદેશ ક્રિકેટર મુસ્તફિઝુર રહેમાનને કાઢી મૂકવાના નિર્ણયથી અમે દુ:ખી અને આક્રોશમાં છીએ. જેથી આગામી આદેશ સુધી IPLની મેચ અને તેને લગતાં તમામ કાર્યક્રમો પર પ્રતિબંધ લગાવવાના આદેશ આપીએ છીએ."
શું છે સમગ્ર મામલો?
બાંગ્લાદેશ અને ભારતના સંબંધો થોડા સમયથી સતત વણસી રહ્યા છે. બાંગ્લાદેશમાં હિન્દુઓ વિરુદ્ધ વધતી હિંસાના કારણે ભારતમાં બાંગ્લાદેશી ક્રિકેટરનો વિરોધ થઈ રહ્યો હતો. વિરોધને જોતાં BCCIએ કોલકાતા નાઈટ રાઈડર્સને બાંગ્લાદેશી ક્રિકેટરને રીલીઝ કરવાનો આદેશ આપ્યો. જે બાદથી જ બાંગ્લાદેશ ગુસ્સે ભરાયું છે. જોકે હવે સમગ્ર મામલા પર રાજકારણ શરૂ થઈ ગયું છે અને બાંગ્લાદેશની સરકાર પણ સક્રિય થઈ ગઈ છે.

