અજિંક્ય રહાણેએ અચાનક છોડી દીધી આ ટીમની કેપ્ટનશિપ, સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા કરી જાહેરાત

ભારતીય ક્રિકેટના દિગ્ગજ બેટ્સમેન અજિંક્ય રહાણેએ સત્તાવાર રીતે જાહેરાત કરી છે કે તે હવે મુંબઈ ક્રિકેટ ટીમની કેપ્ટનશિપ નહીં કરે. તેણે એક્સ પર એક લાંબી પોસ્ટ શેર કરીને આ માહિતી આપી. રહાણે માને છે કે હવે ટીમમાં નવી પેઢીનો લીડર તૈયાર કરવાનો અને તેને જવાબદારી સોંપવાનો સમય આવી ગયો છે.
અજિંક્ય રહાણેએ મુંબઈ ટીમની કેપ્ટનશિપ છોડી દીધી
સૈયદ મુશ્તાક અલી ટ્રોફીની છેલ્લી સિઝનમાં મુંબઈને ટાઈટલ અપાવનાર 37 વર્ષીય અજિંક્ય રહાણેએ હવે મુંબઈ ટીમની કેપ્ટનશિપ છોડવાનો નિર્ણય લીધો છે. સોશિયલ મીડિયા પર આ સમાચાર શેર કરતા રહાણેએ લખ્યું, "મુંબઈ ટીમની કેપ્ટનશિપ કરવી અને તેની સાથે ચેમ્પિયનશિપ જીતવી મારા માટે ખૂબ જ સન્માનની વાત રહી છે. નવી ડોમેસ્ટિક સિઝન પહેલા, મને લાગે છે કે નવા યુવા ખેલાડીને તૈયાર કરવાનો આ યોગ્ય સમય છે, તેથી મેં કેપ્ટનની ભૂમિકામાં ન રહેવાનો નિર્ણય લીધો છે."
આ સાથે રહાણેએ લખ્યું, "હું એક ખેલાડી તરીકે મારું શ્રેષ્ઠ પ્રદર્શન કરવા માટે સંપૂર્ણપણે તૈયાર છું અને હું મુંબઈ સાથે મારી સફર ચાલુ રાખીશ અને ટીમને વધુ ટ્રોફી જીતવામાં મદદ કરીશ."
તમને જણાવી દઈએ કે રહાણેના નેતૃત્વમાં, મુંબઈએ ઘરેલુ ક્રિકેટમાં ઘણી સિદ્ધિઓ હાંસલ કરી, જેમાં સૈયદ મુશ્તાક અલી ટ્રોફી જીતવાનો પણ સમાવેશ થાય છે. તે આ ટુર્નામેન્ટમાં સૌથી વધુ રન બનાવનાર ખેલાડી બન્યો હતો. તેણે ટીમને રણજી ટ્રોફીની સેમીફાઈનલમાં પણ પહોંચાડી હતી, પરંતુ ટીમ વિદર્ભ સામે 90 રનથી હારી ગઈ હતી.
અજિંક્ય રહાણેની કેપ્ટનશિપ હેઠળ, મુંબઈએ 7 વર્ષ પછી રણજી ટ્રોફી 2023-24માં ટાઈટલ જીત્યું હતું. મુંબઈના વાનખેડે સ્ટેડિયમ ખાતે રમાયેલી ફાઈનલ મેચમાં, મુંબઈએ વિદર્ભ ક્રિકેટ ટીમને 169 રનથી હરાવી અને રેકોર્ડ 42મી વખત ટ્રોફી પર કબજો કર્યો હતો.
રહાણેની મુંબઈ ક્રિકેટમાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા છે. તેણે ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં મુંબઈ માટે બીજા ક્રમે સૌથી વધુ રન બનાવ્યા છે. તેની આગળ ભૂતપૂર્વ ભારતીય ઓપનર વસીમ જાફર છે. રહાણેએ 76 મેચોમાં 5932 રન બનાવ્યા છે, જેમાં તેણે 19 સદી ફટકારી છે. આ દરમિયાન તેની એવરેજ 52ની રહી હતી.
રહાણે છેલ્લે IPL 2025માં ક્રિકેટના મેદાન પર જોવા મળ્યો હતો, જેમાં તેણે 13 મેચોમાં 390 રન બનાવ્યા હતા. તેની કેપ્ટનશિપ હેઠળ, KKRની ટીમ 2025ની સિઝનમાં છઠ્ઠા સ્થાને રહી હતી.

