શુભમન ગિલ નહીં આ સ્ટાર ખેલાડીને ODI કેપ્ટન બનાવવા ઈચ્છે છે BCCI! રોહિત શર્માના નિર્ણયની જોવાઈ રહી છે રાહ

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે (BCCI) શુભમન ગિલને ટેસ્ટ કેપ્ટન બનાવ્યા પછી એવા અહેવાલો વહેતા થયા છે કે, તેને ભારતના ત્રણેય ફોર્મેટની કેપ્ટનશિપ સોંપવામાં આવી શકે છે. જ્યારે શુભમન ગિલને આગામી એશિયા કપ 2025ની ટીમમાં વાઈસ કેપ્ટન તરીકે પ્રવેશ મળ્યો, ત્યારે નિષ્ણાતોનું માનવા લાગ્યા કે ચીફ સિલેક્ટર અજિત અગરકર અને કોચ ગૌતમ ગંભીર પણ આવું જ વિચારી રહ્યા છે. પરંતુ એક અહેવાલ અનુસાર, BCCI શુભમન ગિલને નહીં પરંતુ શ્રેયસ અય્યરને આગામી ODI કેપ્ટન તરીકે જોઈ રહ્યું છે.
અહેવાલો અનુસાર, શ્રેયસ અય્યરનું પ્રદર્શન છેલ્લા કેટલાક સમયથી 50 ઓવરના ફોર્મેટમાં શાનદાર રહ્યું છે. આ વર્ષની શરૂઆતમાં યોજાયેલી ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભારતની જીતમાં તેણે મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. તે IPLમાં પંજાબ કિંગ્સનો કેપ્ટન છે અને ઘરેલુ ક્રિકેટમાં પણ નેતૃત્વનો અનુભવ ધરાવે છે. તેની કુશળતાને ધ્યાનમાં રાખીને, BCCI આ નિર્ણય લઈ શકે છે. જોકે, ચેમ્પિયન્સ ટ્રોફીમાં શુભમન ગિલ વાઈસ કેપ્ટન હતો.
શુભમન ગિલના વર્કલોડની ચિંતા
શુભમન ગિલનો ODIમાં ખૂબ જ સારો રેકોર્ડ છે અને તે તાજેતરમાં આ ફોર્મેટમાં વાઈસ કેપ્ટન પણ રહ્યો છે, પરંતુ તેને ODI કેપ્ટન તરીકે કેમ નથી જોવામાં આવી રહ્યો? આ અંગે BCCIના સૂત્રોએ જણાવ્યું હતું કે "તે પાંચ ટેસ્ટ મેચની સિરીઝ 2-2થી ડ્રો કર્યા પછી જ આવ્યો છે. પહેલા એવું માનવામાં આવતું હતું કે તેને ત્રણેય ફોર્મેટમાં કેપ્ટન બનાવવો જોઈએ પરંતુ સતત ટુર્નામેન્ટને ધ્યાનમાં લેતા, આ શક્ય નથી. ખેલાડી તરીકે ત્રણેય ફોર્મેટમાં રમવું અને કેપ્ટન તરીકે ત્રણેય ફોર્મેટમાં રમવું એ અલગ વાત છે. કેપ્ટને ઘણા નિર્ણયો લેવા પડે છે. શારીરિક ઉપરાંત, તેણે માનસિક રીતે પણ ધ્યાન કેન્દ્રિત કરવું પડે છે. જો તમે કોઈને કેપ્ટન બનાવો છો, તો તમે અપેક્ષા રાખો છો કે તે તે ફોર્મેટમાં સતત રમે."
શુભમન ગિલ આવતા મહિને એશિયા કપમાં ભાગ લેશે ત્યારબાદ તે ઓક્ટોબરમાં વેસ્ટ ઈન્ડિઝ સામે બે મેચની ટેસ્ટ સિરીઝમાં ટીમનું નેતૃત્વ કરશે. ભારતનો ઓસ્ટ્રેલિયા પ્રવાસ પણ 18મી ઓક્ટોબરથી શરૂ થઈ રહ્યો છે, જ્યાં ODI સિરીઝ ઉપરાંત 5 મેચની T20 સિરીઝ પણ રમવાની છે. આ પછી ભારતીય ટીમ નવેમ્બરમાં સાઉથ આફ્રિકાની યજમાની કરશે. આવી સ્થિતિમાં શુભમન ગિલના વર્કલોડ પર અસર પડી શકે છે.
રોહિત શર્માના નિર્ણયની રાહ જોવાઈ રહી છે
હિટમેન રોહિત શર્મા 2027ના વર્લ્ડ કપ સુધી રમવા માંગે છે, પરંતુ એવા અહેવાલો છે કે ઓસ્ટ્રેલિયા પ્રવાસ પરની ODI સિરીઝ રોહિત શર્મા અને વિરાટ કોહલી બંને માટે છેલ્લી હોઈ શકે છે. નોંધનીય છે કે, બંને ખેલાડી T20I અને ટેસ્ટમાંથી નિવૃત્તિ લઈ ચૂક્યા છે. ઘણી બધી બાબતો તેમના ભવિષ્ય અંગે શું નિર્ણય લે છે તેના પર નિર્ભર રહેશે. રોહિત પોતાના ભવિષ્ય અંગે શું નિર્ણય લે છે તે શ્રેયસ ક્યારે કેપ્ટન બનશે તે નક્કી કરશે. એ વાત ચોક્કસ છે કે BCCI અને ટીમ મેનેજમેન્ટ 2027 ODI વર્લ્ડ કપ સુધી શ્રેયસને કેપ્ટન તરીકે જોઈ રહ્યા છે.

