એશિયા કપમાં આ ખેલાડીની પસંદગી ના થતા ભડક્યો અશ્વિન, શુભમન ગિલનું નામ લઇને સાધ્યું નિશાન

ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ ઓફ સ્પિનર રવિચંદ્રન અશ્વિને એશિયા કપ 2025 માટે જાહેર કરવામાં આવેલી ટીમ ઇન્ડિયાને લઇને નારાજગી વ્યક્ત કરી છે. અશ્વિને એક ખેલાડીને પસંદ ના કરવાને લઇને સિલેક્ટર્સ અને ટીમ મેનેજમેન્ટ પર સવાલ ઉઠાવ્યા છે અને શુભમન ગિલનું નામ લઇને નિશાન સાધ્યું છે.
ગિલની ટી-20 ટીમમાં વાપસી થઇ છે. ગિલને એશિયા કપમાં વાઇસ કેપ્ટન પણ બનાવવામાં આવ્યો છે. ગિલને પસંદ કરવા પાછળ તેનું સારૂ ફોર્મ છે. એવામાં અશ્વિને આ વાતને આધાર બનાવીને શ્રેયસ અય્યરને ટીમમાં પસંદ ના કરવાનો વિરોધ કર્યો છે.
અય્યરે શું ભૂલ કરી?
અશ્વિને પોતાની યૂ ટ્યુબ ચેનલ 'એશ કી બાત' પર અય્યરને ટીમમાં પસંદ ના કરવાને લઇને વાત કરી છે. અશ્વિને કહ્યું કે જો ગિલને પસંદ કરવા પાછળ તેનું ફોર્મ છે તો પછી અય્યરે શું ગુનો કર્યો છે? અશ્વિને કહ્યું, 'શ્રેયસ અય્યરનો પક્ષ ઘણો મજબૂત હતો. તે ટીમની બહાર છે પરંતુ તેને તમને ચેમ્પિયન્સ ટ્રોફી જીતાડી છે. જો તમે તર્ક આપો છો કે શુભમન ગિલ સારા ફોર્મમાં છે તો પછી શ્રેયસ અય્યર પણ સારા ફોર્મમાં છે. આ સવાલોનો જવાબ કોણ આપશે? શ્રેયસ અય્યરે શું ભૂલ કરી?
IPL ફોર્મનો આપ્યો હવાલો
અશ્વિને કહ્યું કે શ્રેયસ અય્યરે IPLમાં કોલકાતા નાઇટ રાઇડર્સ અને પંજાબ કિંગ્સ માટે રમતા રન બનાવ્યા છે અને પોતાની શોર્ટ બોલની કમીને દૂર કરી છે. અશ્વિને કહ્યું, 'અય્યરે KKR માટે રમતા સારૂ ફોર્મ બતાવ્યું હતું અને ટ્રોફી પણ જીતાડી હતી. તે હરાજીમાં પણ ગયો. પંજાબને તે 2014 બાદ પ્રથમ વખત ફાઇનલમાં લઇ ગયો.IPLમાં કાગિસો રબાડા અને જસપ્રીત બુમરાહને આસાનીથી રમ્યો. હું તેના અને યશસ્વી જયસ્વાલ માટે દુ:ખી છું. આ ઘણું ખોટુ છે.'
એશિયા કપ 2025 માટે ભારતીય ટીમ
સૂર્યકુમાર યાદવ (કેપ્ટન), શુભમન ગિલ (વાઇસ કેપ્ટન), અભિષેક શર્મા, તિલક વર્મા, રિન્કુ સિંઘ, હાર્દિક પંડયા, શિવમ દુબે, અક્ષર પટેલ, જિતેશ શર્મા, સંજુ સેમસન, અર્શદીપ સિંઘ, વરૂણ ચક્રવર્તી, કુલદીપ યાદવ, જસપ્રીત બુમરાહ, હર્ષિત રાણા

