Asia Cup 2025 / શુભમન ગિલ બન્યો વાઈસ કેપ્ટન, શ્રેયસ અય્યરની ફરી અવગણના; જાણો ટીમ ઈન્ડિયાની પસંદગીની 5 મોટી બાબતો

એશિયા કપ 2025 માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત કરવામાં આવી છે. સિલેક્ટર્સે સૂર્યકુમાર યાદવની કેપ્ટનશિપ હેઠળ 15 સભ્યોની ટીમની જાહેરાત કરી છે. શ્રેયસ અય્યરને ફરી એકવાર T20 ટીમમાં સ્થાન નથી આપવામાં આવ્યું. શુભમન ગિલે વાપસી કરી છે અને તેને વાઈસ કેપ્ટનની જવાબદારી સોંપવામાં આવી છે. યશસ્વી જયસ્વાલ પણ ટીમમાં પોતાનું સ્થાન બનાવવામાં નિષ્ફળ રહ્યા છે. ચાલો તમને એશિયા કપ માટે પસંદ કરાયેલ ટીમ ઈન્ડિયાની પસંદગી વિશે પાંચ મોટી બાબતો જણાવીએ.
શુભમન ગિલને વાઈસ કેપ્ટન બનાવવામાં આવ્યો
શુભમન ગિલ એશિયા કપ 2025 માટે T20 ટીમમાં વાપસી કરી છે. વાપસીની સાથે, ગિલને વાઈસ કેપ્ટનની જવાબદારી પણ સોંપવામાં આવી છે. તાજેતરના ઈંગ્લેન્ડ પ્રવાસ પર ટેસ્ટ કેપ્ટન તરીકે ગિલનું પ્રદર્શન અદ્ભુત રહ્યું જતું. તેણે 5 ટેસ્ટ મેચમાં 754 રન બનાવ્યા હતા.
જસપ્રીત બુમરાહની વાપસી
જસપ્રીત બુમરાહ એશિયા કપમાં રમશે કે નહીં તે અંગે સતત સસ્પેન્સ હતું. જોકે, ટુર્નામેન્ટ માટે પસંદ કરાયેલી ટીમ ઈન્ડિયામાં બુમરાહને તક આપવામાં આવી છે. ટીમમાં જસ્સી હોવાથી બોલિંગ એટેક ખૂબ જ મજબૂત દેખાય છે. પેસ એટેકમાં અર્શદીપ સિંહ અને હર્ષિત રાણા બુમરાહને સપોર્ટ આપતા જોવા મળશે.
શ્રેયસ અય્યરની અવગણના
ઘરેલુ ક્રિકેટ અને પછી IPL 2025માં સારું પ્રદર્શન કરવા છતાં, શ્રેયસ અય્યરને ફરી એકવાર સિલેક્ટર્સ દ્વારા અવગણવામાં આવ્યો છે. અય્યરે ટીમ ઈન્ડિયા માટે તેની છેલ્લી T20 મેચ 2023માં ઓસ્ટ્રેલિયા સામે રમી હતી. એવું માનવામાં આવતું હતું કે તેના અદ્ભુત ફોર્મને જોતાં, અય્યરને ટીમમાં સ્થાન આપી શકાય છે. જોકે, એવું બન્યું નહીં.
મોહમ્મદ સિરાજને આરામ આપવામાં આવ્યો
એશિયા કપ માટે પસંદ કરાયેલી ટીમ ઈન્ડિયામાં મોહમ્મદ સિરાજનો સમાવેશ નથી કરવામાં આવ્યો. તાજેતરમાં ઈંગ્લેન્ડ પ્રવાસ પર સિરાજનું પ્રદર્શન શાનદાર રહ્યું હતું. સિરાજ લાંબા સમયથી ટીમ ઈન્ડિયા માટે સતત ક્રિકેટ રમી રહ્યો હતો. આ જ કારણ છે કે આ ટુર્નામેન્ટમાં તેને આરામ આપવામાં આવ્યો છે.
સ્ટેન્ડબાયમાં આ 5 ખેલાડીઓ
મુખ્ય ટીમની સાથે, સિલેક્ટર્સે પાંચ ખેલાડીઓને પણ સ્ટેન્ડબાય તરીકે પસંદ કર્યા છે. તેમાં પ્રસિદ્ધ કૃષ્ણા, વોશિંગ્ટન સુંદર, રિયાન પરાગ, ધ્રુવ જુરેલ અને યશસ્વી જયસ્વાલનો સમાવેશ થાય છે. જો કોઈ ખેલાડી ઘાયલ થાય છે, તો આ ખેલાડીઓને ટીમમાં ઉમેરી શકાય છે.

